હિમાચલમાં કુદરતનો કોપ: ભારે વરસાદ અને પૂર વચ્ચે 150થી વધુના મોત, ₹ 886 કરોડનું નુકસાન
ભૂસ્ખલન અને પૂરના કારણે હિમાચલમાં 250થી વધુ રસ્તા બંધ

હિમાચલ પ્રદેશમાં આ વખતે ભારે વરસાદને કારણે તબાહીનું નિર્માણ થયું છે. જાનમાલનું ભયંકર નુકસાન થયું છે, જેમાં રસ્તા, પુલ તૂટવાનો પણ સમાવેશ થાય છે. હિમાચલ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડની નદીઓમાં પૂર આવેલા છે, ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગોને અસર થવાથી વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. 30 જૂનથી નવમી ઓગસ્ટ સુધીમાં હિમાચલ પ્રદેશમાં એકલા 150થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 250થી વધુ લોકોને ઈજા પહોંચી છે.
રોડ અકસ્માતનો સૌથી વધુ લોકો ભોગ બન્યા
હિમાચલ પ્રદેશમાં વીતેલા અઠવાડિયામાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં મૃતકની સંખ્યા 89 હતી. મોટા ભાગના લોકો રસ્તા પરના અકસ્માતનો ભોગ બન્યા હતા, જ્યારે 68 લોકોના મોત ભૂસ્ખલન, ડૂબવા સહિત સાપના કરડવા સહિતનો સમાવેશ થાય છે. રાજ્યમાં ખાસ કરીને કુદરતી આફતને કારણે સૌથી વધુ મોત થયા હતા, જેમાં એકલા ચમ્બા જિલ્લામાં 24 મોતનો સમાવેશ થાય છે. ચમ્બા પચી કુલ્લુ અને કાંગડામાં 21-21 લોકો તથા શિમલામાં 20 તેમ જ સ્પિતિ અને લાહોલમાં અઢાર-અઢાર લોકોનો ભોગ લેવાયો હતો.
વરસાદને લીધે 886 કરોડની સંપત્તિ થઈ ગઈ બરબાદ
હવામાન વિભાગના અહેવાલ અનુસાર હજુ પણ અનેક જિલ્લામાં વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે, જેમાં પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હિમાચલ સરકારના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (એસઈઓસી)ના અહેવાલ અનુસાર આ વર્ષના વરસાદને કારણે 900 પ્રોપર્ટી અને જાહેર બાંધકામોને નુકસાન પહોંચ્યું છે, જેમાં લગભગ 886 કરોડ રુપિયાની સંપત્તિ બરબાદ થઈ ગઈ છે.
ગેરકાયદે બાંધકામો બની રહ્યા છે આફત
શું જળવાયુ પરિવર્તન (આબોહવા પરિવર્તન) અને અવિજ્ઞાનિક બાંધકામની પ્રવૃત્તિઓ હિમાચલ પ્રદેશમાં આપત્તિઓનું કારણ બની રહી છે, લોકસભામાં પૂછાયેલા આ સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે જળવાયુ પરિવર્તનને કારણે હિમાલયી વિસ્તારમાં ખૂબ ભારે વરસાદની ઘટનાઓ થવા લાગી છે અને હવે આ સામાન્ય વાત બની ગઈ છે.
જોકે, સરકાર એ પણ માને છે કે માનવ પ્રવૃત્તિઓથી પણ આપત્તિનું જોખમ વધી રહ્યું છે. વરસાદને કારણે ભૂસ્ખલન થવાનું જોખમ વધી રહ્યું છે. રાજ્યમાં ભૂસ્ખલન સંબંધિત ઘટનાને કારણે 250થી વધુ રસ્તા બંધ છે, જ્યારે મંડીમાં સૌથી વધુ અસર થઈ છે, ત્યાર પછી શિમલા અને કુલુ પ્રભાવિત છે.
