ગુજરાતમાં ‘ગોબરધન’ ક્રાંતિ: 14,000થી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત, જાણો કઈ રીતે મેળવવી 25,000 સબ્સિડી
સ્વચ્છતા અને સમૃદ્ધિનો નવો આધાર: ગુજરાતમાં સ્થાપાશે વધુ ૨૦ હજાર બાયોગેસ પ્લાન્ટ, મહિલાઓને મળશે LPGમાંથી મુક્તિ
ગાંધીનગરઃ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત રાજ્યમાં ‘ગોબરધન યોજના’ પશુપાલકો અને ખેડૂતોના જીવનમાં નવો ઉજાસ લાવી રહી છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં વર્ષ ૨૦૨૩-૨૪થી અત્યાર સુધીમાં કુલ ૮૮ ક્લસ્ટરોમાં ૧૪ હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે આ યોજનાને સતત અમલીકરણ સ્વરૂપે આગળ ધપાવીને રાજ્યમાં રૂ. ૨૫ કરોડના ખર્ચે વધુ ૨૦ હજાર વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પરિણામે ગ્રામીણ સ્વચ્છતા, સ્વચ્છ ઊર્જા, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ અને સર્ક્યુલર ઇકોનોમીને નવી ઊંચાઈ મળશે. આમ, ગોબરધન યોજના એ ગ્રામીણ ગુજરાતના ‘ગ્રીન’ ફ્યુચર તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે. નોંધનીય છે કે, તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે રૂ. ૨૩,૭૩૧ કરોડના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયોએનર્જી સ્કીમ ‘GOBARdhan’ને મંજૂરી આપી છે.
10,000 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનો લક્ષ્યાંક
ગુજરાતે આ યોજનાના અસરકારક અમલીકરણ માટે ખાસ ક્લસ્ટર મોડલ અપનાવ્યું છે. જે અંતર્ગત રાજ્યમાં ફેઝ-૧માં ૩૮ ક્લસ્ટર હેઠળ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB), અમૂલ, બનાસ અને દૂધસાગર ડેરી જેવી નોડલ એજન્સીઓ મારફતે ૭,૪૨૩ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યા છે.
જ્યારે ફેઝ-૨માં રાજ્ય સરકારના ૧૦૦ ટકા ફાળા હેઠળ ૫૦ ક્લસ્ટરમાં ૧૦ હજાર વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત GCMMF અને જિલ્લા દૂધ સંઘોના સંકલન સાથે અત્યાર સુધીમાં ૭૦ ટકા જેટલા એટલે કે ૭ હજાર જેટલા બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થઈ ચૂક્યા છે. આમ, બંને તબક્કામાં કુલ ૧૪ હજાર કરતાં વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.
નવીનીકરણીય ઊર્જાને નવું બળ પૂરું પાડ્યું છે
પ્લાન્ટ માટે રૂ. 25,000ની સબ્સિડી અને 5,000 લાભાર્થીને ભરવાના
HDPE મટીરીયલથી બનેલા આ ડાયજેસ્ટરનું ઇન્સ્ટોલેશન સરળ
આ યોજના હેઠળ રાજ્યમાં ૨ ઘનમીટર ક્ષમતા ધરાવતા આધુનિક ફ્લેક્સી પ્રકારના બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા HDPE મટીરીયલથી બનેલા આ ડાયજેસ્ટરનું ઇન્સ્ટોલેશન ખૂબ જ સરળ અને જાળવણીનો ખર્ચ નહિવત રહે છે.
આ પ્લાન્ટ સ્થાપવા માટે લાભાર્થીને બાયોગેસ કીટ સાથે બાયોડાયજેસ્ટર, જિયો ટેક્સસ્ટાઈલ શીટ, ગેસ પાઇપ, H₂S ફિલ્ટર, બે બર્નર ગેસ સ્ટવ, પ્રેશર રેગ્યુલેટર વાલ્વ અને લાઈટર જેવી સંપૂર્ણ સાધન-સામગ્રી પૂરી પાડવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ લાભાર્થીને બાયોગેસ પ્લાન્ટ માટે રૂ. ૨૫ હજારની સબસીડી આપવામાં આવે છે, જયારે રૂ. ૫ હજાર લાભાર્થીએ પોતે ભરવાના રહે છે.
રાજ્ય સરકારે પશુના છાણ અને જૈવિક કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન દ્વારા સ્વચ્છ ઊર્જા (બાયોગેસ) તથા સેન્દ્રિય ખાતર ઉત્પાદિત કરીને ગ્રામીણ સ્વચ્છતા, ઓડીએફ પ્લસ ગામોની વિભાવના અને નવીનીકરણીય ઊર્જાને નવું બળ પૂરું પાડ્યું છે.
ગોબરધન યોજનાથી સ્વચ્છતા અને સમૃદ્ધિ
સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં આવેલા રંગપુર ગામના રહેવાસી મંજુલાબેન દેડાભાઈ બારડનો પરિવાર પશુપાલન સાથે જોડાયેલો છે. અગાઉ પશુઓના છાણનો જાહેરમાં સંગ્રહ થવાને કારણે ગંદકી, દુર્ગંધ અને માખી-મચ્છરોનો ઉપદ્રવ વધતો હતો, જે પર્યાવરણ અને આરોગ્ય માટે ચિંતાનો વિષય બન્યો હતો. વર્ષ ૨૦૨૫-૨૬માં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ, સરકારના સહયોગથી તેમના ઘરે ગોબરધન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો.
સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવતું એક પ્રેરણાદાયી મોડેલ
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા અમલીકૃત અને GCMMF વતી જૂનાગઢની સાવજ ડેરીના સહયોગથી તૈયાર કરાયેલા આ પ્લાન્ટની જાળવણી મંજુલાબેન પોતે જ કરે છે. આ ગોબરધન પ્લાન્ટ દ્વારા છાણનો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરીને સ્વચ્છ બાયોગેસ અને જૈવિક ખાતર (સ્લરી) મેળવવામાં આવી રહ્યું છે, જે “વેસ્ટ ટુ વેલ્થ” અભિગમનું એક ઉત્તમ ઉદાહરણ છે. હવે મંજુલાબેન રસોઈ માટે આ સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ કરીને અને સ્લરીનો ખેતીમાં ઉપયોગ વધારીને યુરિયા ખાતરનો વપરાશ ઘટાડી શક્યા છે. આ સફળ પહેલે માત્ર તેમના પરિવારને જ સ્વચ્છ ઊર્જા નથી આપી, પરંતુ ગામના અન્ય પશુપાલકો માટે પણ છાણના યોગ્ય ઉપયોગ અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવતું એક પ્રેરણાદાયી મોડેલ પૂરું પાડ્યું છે.
જાણો ગોબરધન યોજના અને બાયોગેસ પ્લાન્ટના ફાયદા
યુનિસેફ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર, ૨ ઘનમીટર ક્ષમતાના એક બાયોગેસ પ્લાન્ટ દ્વારા વાર્ષિક:
. ૮ થી ૧૦ એલ.પી.જી. સિલિન્ડરની બચત.
. ૧૮,૨૫૦ કિલોગ્રામ પશુજન્ય કચરાનું વૈજ્ઞાનિક સંચાલન.
. ૮૩૪ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ (CO₂)ના ઉત્સર્જનમાં ઘટાડો.
. રસોડાના ધુમાડામાંથી મુક્તિ મળતા ગ્રામીણ મહિલાઓના આરોગ્યમાં સુધારો.
. બાયોસ્લરી-સેન્દ્રિય ખાતરના ઉપયોગથી રાસાયણિક ખાતરનો વપરાશ ઘટતાં કુદરતી ખેતીને વેગ મળે છે.
