કેદારનાથ પછી બદ્રીનાથના કપાટ ખૂલ્યા, કેમ કહેવાય છે ‘ધરતી પરનું વૈકુંઠ’?
મંદિર તારું વિશ્વ રુપાળુઃ ભગવાન વિષ્ણુના સાક્ષાત્ નિવાસસ્થાનનું જાણો પૌરાણિક મહત્વ

ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પર ભક્તોનું મહેરામણ ઊમટ્યું છે. બદ્રીનાથ ધામના કપાટ ખૂલ્યા પછી ચારધામ યાત્રાની પકડ ધીમે ધીમે વધી રહી છે. આ અગાઉ અક્ષય તૃતિયાના દિવસે યમુનોત્રી ધામ અને ગંગોત્રી ધામના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા, જ્યારે 22 એપ્રિલના બુધવારે કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. હવે ગુરુવારે બદ્રીનાથ ધામના કપાટ ખૂલતા હવે ચારધામની સંપૂર્ણ યાત્રા ઓન ટ્રેક એટલે ભવ્યતા ચાલુ થઈ છે. પહેલા દિવસથી ભક્તોનો મોટી સંખ્યામાં ધસારો વધ્યો છે, જે દર વર્ષે ઉત્તરોઉત્તર વધી પણ રહ્યો છે.
બદ્રીનાથ મંદિરને 25 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું, જેમાં વિદેશી ફૂલોની મહેક સાથે કપાટ ખોલવાની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. ભારત સહિત દુનિયાભરના શિવભક્તો આગામી છ મહિના સુધી ભગવાન વિષ્ણુના અવતારના દર્શન કરી શકશે. ચારધામ યાત્રાએ પહોંચ્યા પછી પણ એના નીતિ-નિયમોનું પાલન કરો.
વાસ્તવમાં બદ્રીનાથ ધામને ધરતીનું વૈકુંઠ કહેવાય છે, જે એક માન્યતા નથી, પરંતુ ધાર્મિક આસ્થા અને પૌરાણિક કથા સાથે જોડાયેલ વિશ્વાસ છે. શાસ્ત્રોમાં બદ્રીનાથ ધામને ધરતીનું વૈકુંઠ એટલે ભગવાન વિષ્ણુનું પૃથ્વી પરનું ઘર કહેવાય છે. એવું પણ માન્યતા છે કે સતયુગમાં ભગવાન વિષ્ણુએ અહીં આકરી તપસ્યા કરી હતી. આ જગ્યા ભગવાન વિષ્ણુને એટલી પ્રિય માનવામાં આવે છે કે એ સાક્ષાત નિવાસસ્થાન છે.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે આકાશ, પૃથ્વી અને પાતાળમાં પણ અનેક તીર્થો આવેલા છે, પરંતુ બદ્રીનાથ જેવું તીર્થ ના તો પહેલા કોઈ હતું કે ભવિષ્યમાં બનશે. અહીં ભગવાનના દર્શનથી જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળે છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુ તપસ્યા કરી રહ્યા હતા ત્યારે માતા લક્ષ્મીજીએ વરસાદ-ગરમીથી બચવા માટે બદરી વૃક્ષનું રુપ ધારણ કર્યું હતું. માતાના સમર્પણ ભાવને કારણે આ સ્થળનું નામ બદ્રીનાથ પડ્યું હતું.
ચારેય ધામોમાં બદ્રીનાથ ધામનું સ્થાન ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ ધામ અલકનંદા નદીના કિનારે આવેલું છે અને હિમાલયના ખોળામાં વસેલું આ તીર્થસ્થળ આત્મિક શાંતિનો અદભૂત અનુભવ કરાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, બદ્રીનાથ ધામના દર્શન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ સ્થાન ૧૦૮ દિવ્ય વૈષ્ણવ તીર્થોમાં સામેલ છે, જેને ‘દિવ્ય દેશમ’ પણ કહેવામાં આવે છે. આદિ શંકરાચાર્યે આ ધામનો પુનરોદ્ધાર કરીને તેને મુખ્ય તીર્થસ્થળ તરીકે સ્થાપિત કર્યું હતું, જેનાથી તેનું મહત્વ વધુ વધી ગયું.
દર વર્ષે કેટલા શ્રદ્ધાળુ કરે છે દર્શન?
ચાર ધામની યાત્રા કરવાનું હિંદુ ધર્મના લોકો માટે વિશેષ મહત્ત્વ છે, જ્યાં દર વર્ષે દર્શન કરનારા ભક્તોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. 2024માં લગભગ 50 લાખથી વધુ શ્રદ્ધાળુએ દર્શન કર્યા હતા, જ્યારે 2025માં 51.04 લાખ લોકોએ દર્શન કર્યાં હતા, પરંતુ 2026માં 56 લાખ લોકોએ દર્શન કર્યા હતા. દર વર્ષે મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે, તેથી મેનેજમેન્ટ માટે શ્રદ્ધાળુઓને દર્શન કરાવવાનું પણ પડકારજનક બની રહ્યું છે. ઉપરાંત, મંદિરના દર્શન માટે મોબાઈલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
