આઈએએસ પૂજા ખેડકર હવે નવા વિવાદમાં સપડાઈ
મુંબઈઃ મહારાષ્ટ્ર કેડરની આઈએએસ પૂજા ખેડકર અત્યારે લાઈમલાઈટમાં છે. અગાઉ પોતાના હોદ્દાનો ઉપયોગ કરીને વીઆઈપી નંબર માગી હતી, ત્યારબાદ પોતાની ઓડી કાર પર લાલ લાઈટ, વીઆઈપી નંબરપ્લેટ લગાવી હતી. એટલું જ નહીં, પુણેના ક્લેક્ટરની ચેમ્બર પણ છીનવી લીધી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પ્રોબેશન પિરિયડમાં પણ અનેક પ્રકારની ડિમાન્ડ કરીને પ્રશાસનના નાકમાં દમ કરી દીધો હતો.
હવે એક નવો ચોંકાવનારો આરોપ મૂકવામાં આવ્યો છે કે દિવ્યાંગનું પ્રમાણપત્ર પણ બનાવટી બનાવ્યું હતું. આ અહેવાલને લઈને આઈએએસ લોબીમાં ખળભળાટ મચી ગયો છે. પૂજા ખેડકર 2023 બેચની આઈએએસ અધિકારી છે, જ્યારે ગયા મહિના દરમિયાન સરકારે પૂજા ખેડકરની ટ્રાન્સફર પુણેથી વાશિમ કરી હતી.
એક કરતા અનેક વિવાદો વચ્ચે 2023 બેચની પૂજા ખેડકરની ટ્રાન્સફર કર્યા પછી હજુ પણ વિવાદો અટકતા નથી. કોણ છે આ આઈએએસ અધિકારી વિગતે જાણીએ. પૂજા મનોરમા દિલીપ ખેડકરે મસુરીથી ટ્રેનિંગ મળ્યા પછી પુણેમાં કલેક્ટર તરીકે નિમણૂક કરી હતી, જ્યાં તેની આસિસ્ટંટ ક્લેક્ટર તરીકેની નિમણૂક કરી હતી. અહીં નિમણૂક કરવામાં આવ્યા પછી અલગ કેબિન, અલગ કાર અને રહેઠાણની માગણી કરી હતી. જોકે, પ્રોબેશન હોવાથી તેને આ બધી સુવિધા આપવામાં આવતા નથી, પરંતુ કલેક્ટર કચેરીથી જણાવાયું હતું કે તેને ઘર આપવામાં આવશે.
ત્રીજી જૂનથી 14 જૂન, 2024 સુધી પુણે કાર્યાલયમાં રહી હતી. એ વખતે તેની પાસે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે કલેક્ટર કચેરી, કલેક્ટર, રેસિડન્ટ ક્લેક્ટર અને અન્ય અધિકારીઓ સાથે બેસીને ચર્ચા કરશે અને તેમની પાસે કામ કરવાનો અનુભવ પણ લેશે, પરંતુ આટલા દિવસોમાં એટલા બધા વિવાદો થયા હતા કે ત્યાંથી ટ્રાન્સફર કરવામાં આવી હતી.
દરમિયાન પૂજા ખેડકરે પોતાની ઓડી કારમાં પણ રેડ લાઈટ લગાવી હતી, ત્યારબાદ દિવ્યાંગ સર્ટિફિકેટ પણ બનાવટી બનાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ મુદ્દે પૂજા ખેડકરે કોઈ પ્રતિક્રિયા આપી નથી. એવો દાવો કરવામાં આવે છે કે તેના પિતાએ લોકસભાના ચૂંટણી માટેના સોગંદનામામાં કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. ઓબીસીના ક્રિમિલેયર હોવાની વાત હતી. એટલું જ નહીં, પૂજા ખેડકરને યુપીએસસીની પરીક્ષામાં 821મો રેન્ક મળ્યો હતો. ઓબીસી કેટેગરી અન્વયે તેને યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી.
