અમરનાથ જેવું જ પુણ્ય: જ્યાં મણિસ્વરૂપે દર્શન આપે છે શિવજી, જાણો ક્યાં આવેલું છે ‘શિવધામ’?
૧૩,૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું છે આ શિવધામ, જ્યાં પડે છે સૂર્યકિરણોનું દિવ્ય મણિ

આજથી ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાની શરુઆત થઈ રહી છે, જ્યારે ગુજરાતી શ્રાવણ મહિનાની 13 ઓગસ્ટથી શરુ થશે, પરંતુ દેશમાં એવા કેટલાય શિવધામ છે, જ્યાં ભક્તો ભોળાનાથને ભજવવા માટે દર્શન કરવા જાય છે. આજથી પૂરા એક મહિના માટે ભગવાનની આરાધના કરશે. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ માફક હિમાચલ પ્રદેશનું મણિમહેશ કૈલાશ લોકપ્રિય છે.
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આવેલું મણિમહેશ કૈલાશ મંદિરનું કનેક્શન ભગવાન શિવજી અને માતા પાર્વતી સાથેનું છે. મણિમહેશ કૈલાશ મંદિરની નજીક એક લેક પણ આવેલું છે, જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. એવું પણ કહેવાય છે કે અમરનાથના માફક અહીં ભગવાન શિવજીનો વાસ છે.
ચંબા જિલ્લામાં આવેલું મણિમહેશના મંદિરમાં મહાદેવજીના દર્શન મણિ સ્વરુપમાં થાય છે, તેથી તેનું નામ મણિમહેશ આપવામાં આવ્યું છે. અહીં હજારો વર્ષોથી ભક્તો મહાદેવજીના દર્શન માટે આવે છે અને પૂજાપાઠ પણ કરવામાં આવે છે. કહેવાય છે કે અહીં ભગવાન શિવજીએ સદીઓથી તપસ્યા કરે છે. દરિયાની સપાટીથી લગભગ 13,500 ફૂટની ઊંચાઈ પર આવેલું મણિમહેશ મંદિર નજીક પવિત્ર લેક આવેલું છે.
મણિમહેશના મંદિર માટે એવી કથા છે, જ્યાં માતા પાર્વતી સાથે લગ્ન કર્યા પછી ભગવાન શિવજીએ મણિમહેશ નામના પર્વત બનાવ્યો હતો, જે દરિયાની સપાટીથી લગભગ એની ચોટી 18,564 ફૂટની ઊંચાઈ પર આવેલ છે. મણિમહેશ પર્વત શિખર પરથી પડતા સૂર્યકિરણો લેકમાં જોવા મળતા દિવ્ય અનુભૂતિ થાય છે. સૂર્યના કિરણો તળાવ પર પડે છે ત્યારે તેને ભોલેનાથ કૈલાશ પર્વત પર બેઠા હોય એવી પ્રતિતિ કરવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે એ અલૌકિક પ્રકાશ શેષનાગનું મણિ છે. અહીં શ્રાવણ મહિના સિવાય પણ લોકો વિશેષ દર્શનાર્થે આવે છે.
હિંદુ ધર્મગ્રંથો અનુસાર હિમાલયના ધૌલાધાર, પાંગી અને ઝંસ્કાર શ્રેણીથી ઘેરાયેલા કૈલાશ પર્વત મણિમહેશ-કૈલાશ નામથી જાણીતું છે. અહીં ગૌરીકુંડ પહોંચ્યા પહેલા કૈલાશ શિખરના દર્શન કરવામાં આવે છે. ગૌરીકુંડ માતા ગૌરીનું સ્નાન સ્થળ માનવામાં આવે છે. યાત્રા કરનારા મહિલાઓ પણ અહીં અચૂક સ્નાન કરે છે, જ્યાંથી લગભગ દોઢેક કિલોમીટર ઉપર સીધું ચઢાણ છે, ત્યાર પછી મણિમહેશ લેક સુધી પહોંચાય છે. અહીં આવેલું તળાવની ચારેબાજુ પહાડો છે, જે કુદરતી સુંદરતા મનમોહક છે.
