દિલ્હીમાં AC બ્લાસ્ટને કારણે નવનાં મોત, એસીમાં વિસ્ફોટને કઈ રીતે રોકશો?
દેશમાં ગરમીનો પારો રોજેરોજ ઊચકાતો જાય છે, જ્યારે વીજ વપરાશમાં વધારો થઈ રહ્યો છે. વધતી વીજળીની માગ વચ્ચે વીજળીના પુરવઠા સંબંધિત વધઘટને કારણે સ્પાર્કિંગ સાથે આગનું પ્રમાણ વધી રહ્યું છે. દેશમાં ઉનાળાની શરુઆતથી આગના કિસ્સા વધ્યા છે, જ્યારે આગને કારણે ભીષણ વિષ્ફોટ અને મોટી જાનહાનિના પણ સમાચાર છે. દિલ્હીના શાહદરા વિસ્તારના વિવેકવિહાર એપાર્ટમેન્ટમાં એસીમાં બ્લાસ્ટને કારણે નવ લોકોનાં મોત થયા છે, જ્યારે 12 લોકો દાઝી ગયા છે, પરંતુ ફાયર બ્રિગેડના જવાનની સૂઝબૂઝને કારણે 20 લોકોને બચાવવામાં સફળતા મળી હતી.
આજે વહેલી સવારના શાહદરાસ્થિત વિવેક વિહારમાં એસી બ્લાસ્ટ પછી આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ચાર માળની બિલ્ડિંગમાં આગમાં અનેક લોકો ભોગ બન્યા હતા. આગમાં નવ લોકોના તો ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે નવ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આગની જાણ બાદ તાત્કાલિક પોલીસ અને ફાયરબ્રિગેડની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક સાક્ષીએ કહ્યું હતું કે ફાયર બ્રિગેડના જવાનોની સૂઝબૂઝને કારણે બાલ્કનીના રસ્તેથી લગભગ 20 લોકો બચાવી લેવામાં મદદ મળી હતી. જો એમ ન થયું હોત તો મોટી જાનહાનિ થઈ હોત.
માહિતી મળ્યા પછી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને નિયંત્રણમાં લાવવાના પ્રયાસ કર્યા હતા. સખત મહેનત કર્યા પછી લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં અસરગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હજુ લોકોની હાલત ગંભીર છે, જેમાં મૃતકની સંખ્યામાં વધારો થઈ શકે છે. આગ લાગવા પાછળના પ્રાથમિક કારણ શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે. વિવેકવિહારના સ્થાનિક ચરણજીત સિંહે કહ્યું હતું કે આગ લાગ્યા પછી તાત્કાલિક ઘટનાસ્થળે ફાયરબ્રિગેડ પહોંચી હતી, જેમાં જવાનોએ બાલ્કનીના માર્ગે ઘૂસીને લોકોને બચાવવાની મોટી જહેમત કરી હતી.
દર વર્ષે આગના કેટલા બનાવ બને છે
અહીં એ જણાવવાનું દિલ્હી ફાયર સર્વિસના આંકડા અનુસાર 2025માં દિલ્હીમાં 17,000થી વધુ આગની ઘટના ઘટી હતી, જેમાં 75 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે, ફાયર બ્રિગેડના જવાનોની મહેનતને કારણે 529 લોકોના જીવ બચાવામાં સફળતા મળી હતી. 2024માં આગ લાગવાની 21,000થી વધુ બનાવ બન્યા હતા, જેમાં 113 લોકોનાં મોત થયા હતા. સમગ્ર દેશની વાત કરીએ તો એનસીઆરબીના આંકડા અનુસાર દર વર્ષે દેશમાં આગના 1.60 લાખથી વધુ બનાવો બને છે, જ્યારે 12,000થી 27,000 લોકો આગમાં મોતને ભેટે છે.
એસીમાં બ્લાસ્ટ થવાના કારણો જાણો
એસીમાં વિસ્ફોટ યા શોર્ટ-સર્કિટ પછી આગના બનાવ બને છે, જેમાં ખાસ કરીને ગેસ લીકેજ, કોમ્પ્રેસર ગરમ થવાની સાથે ખરાબ મેઈન્ટેનન્સ. આ ઉપરાંત, વીજળીના પુરવઠાની વધઘટ, ખરાબ ઈન્સ્ટોલેશનના પરિબળો પણ જવાબદાર છે. એસીમાં આગ યા વિસ્ફોટને રોકવા માટે ખાસ કરીને રેગ્યુલર છ મહિને સર્વિસ કરાવવી જરુરી બને છે. ડાયરેક્ટ સૂર્ય પ્રકાશ આવે એવી જગ્યાએ પણ એસી રાખવું જોઈએ નહીં. 10 વર્ષથી જૂના એસીને પણ બદલી નાખવાનું ફાયદાકારક રહે છે.
