સોનમ વાંગચુકને 6 મહિના પછી જેલમાંથી છોડવાનું કારણ શું?
રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળની અટકાયત તાત્કાલિક અસરથી રદ, સંવાદના નવા દ્વાર ખુલશે
24 સપ્ટેમ્બર 2025ના રોજ શાંતિપૂર્ણ શહેર લેહમાં ઉભી થયેલી ગંભીર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સોનમ વાંગચુકને 26 સપ્ટેમ્બર 2025ના રોજ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) ની જોગવાઈઓ હેઠળ જાહેર વ્યવસ્થા જાળવવાના ઉદ્દેશ્યથી લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. સોનમ વાંગચુક ઉપરોક્ત કાયદા હેઠળ તેમના અટકાયત સમયગાળાનો લગભગ અડધો ભાગ પહેલાથી જ વિતાવી ચૂક્યા છે. સરકારે અચાનક લદ્દાખમાં શાંતિ માટે વાંગચુકને છોડવાની જાહેરાત કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે, પરંતુ તેમાં અનેક દાવા કરવામાં આવ્યા હતા.
સરકાર લદ્દાખના લોકોની આકાંક્ષાઓ અને ચિંતાઓને સંબોધવા માટે વિવિધ હિસ્સેદારો અને નાગરિક સમાજના નેતાઓ સાથે સક્રિય રીતે સંપર્કમાં છે. જોકે, બંધ અને વિરોધ પ્રદર્શનનું વર્તમાન વાતાવરણ સમાજના શાંતિપૂર્ણ સ્વભાવ માટે હાનિકારક સાબિત થયું છે અને વિદ્યાર્થીઓ, નોકરી શોધનારાઓ, વ્યવસાયો, પર્યટન સંચાલકો અને પ્રવાસીઓ તેમજ લદ્દાખના અર્થતંત્ર સહિત સમુદાયના વિવિધ વર્ગો પર ગંભીર અસર કરી છે.
સરકાર લદ્દાખમાં શાંતિ, સ્થિરતા અને પરસ્પર વિશ્વાસનું વાતાવરણ બનાવવા માટે પ્રતિબદ્ધ છે જેથી તમામ હિસ્સેદારો સાથે રચનાત્મક અને અર્થપૂર્ણ વાતચીત થઈ શકે. આ ઉદ્દેશ્ય તરફ અને યોગ્ય વિચાર-વિમર્શ પછી, સરકારે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને સોનમ વાંગચુકની અટકાયત તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર લદ્દાખની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં પૂરા પાડવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. તે આશા રાખે છે કે પ્રદેશને લગતા મુદ્દાઓ રચનાત્મક સહયોગ અને સંવાદ દ્વારા ઉકેલવામાં આવશે, જેમાં ઉચ્ચ સ્તરીય સમિતિ અને અન્ય યોગ્ય મંચોનો સમાવેશ થાય છે.
કઈ રીતે ધરપકડ કરી અને કોણ છે વાંગચુક?
લદ્દાખ પ્રશાસને 24 સપ્ટેમ્બર 2025ના લેહ હિંસા ભડકાવવાના આરોપમાં 26 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ વાંગચુકને અટકાયતમાં લીધા હતા. ત્યારથી તેઓ જોધપુર જેલમાં લઈ જવામાં આવ્યા હતા. આ હિંસામાં 4 લોકોના મોત થયા હતા અને 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. લગભગ સાડા પાંચ મહિના થઈ ચૂક્યા છે. લગભગ 170 દિવસ પછી જેલમાંથી મુક્ત કરવાના નિર્ણયને અનેક એજન્સીએ આવકાર્યો હતો, જ્યારે સરકારની આકરી ટીકા પણ કરી હતી.
હવે સવાલ કોણ છે વાંગચુક તો લદ્દાખના જાણીતા એન્જિનિયર અને સામાજિક કાર્યકર છે. સોનમ વાંગચુક લાંબા સમયથી શિક્ષણ અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ પર સક્રિય રહ્યા છે. વાંગચુકે લદ્દાખમાં શિક્ષણ સુધારણા અને સ્થાનિક પર્યાવરણ સંરક્ષણ માટે અનેક અભિયાન ચલાવ્યા છે. બોલીવૂડની જાણીતી ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’માં આમિર ખાનનું પાત્ર ફુન્સુક વાંગડુ પણ સોનમ વાંગચુક પરથી પ્રેરિત છે.
