હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાત આવનારા જહાજ પર હુમલો: ભારત સરકારની અપીલ, હુમલા રોકો
કંડલા આવી રહેલા થાઈલેન્ડના જહાજ ‘મયુરી નારી’ પર હુમલા બાદ વિદેશ મંત્રાલયે વ્યક્ત કરી ગંભીર ચિંતા
હોર્મુઝ સ્ટ્રેટમાં થાઈલેન્ડના એક કાર્ગો જહાજ પર હુમલા પછી ભારત સરકારે આકરી ટીકા કરી છે. ભારતે પશ્ચિમ એશિયાના કમર્શિયલ જહાજો પર વધતા હુમલાની આકરી ટીકા કરી છે અને તાત્કાલિક હુમલા રોકવાની પણ અપીલ કરી છે. ગુજરાતના કંડલા પોર્ટ આવી રહેલા કાર્ગો જહાજ પર ઈરાનના હુમલા પછી ભારતની પ્રતિક્રિયા આવી છે. આ જહાજને ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (આઈઆરજીસી)એ નિશાન સાધ્યું હતું.
એના પછી વિદેશી મંત્રાલયે પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે 11 માર્ચના હોર્મુઝ જલડમરુ સ્થિત થાઈના જહાજ મયુરી નારી પર થયેલા હુમલાને જોયો છે. આ જહાજ ભારતના કંડલા પોર્ટ આવી રહ્યું હતું. ભારત પશ્ચિમ એશિયામાં શરુ થયેલા સંઘર્ષમાં કમર્શિયલ કાર્ગો પરના લશ્કરી હુમલાને ટાર્ગેટ કરવાની વાતની ટીકા કરે છે. વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું છે કે આ યુદ્ધના શરુઆતના તબક્કામાં અનેક હુમલામાં ભારતીયોએ જીવ ગુમાવ્યા છે અને હુમલા વધી રહ્યા છે. ભારત ફરી આ મુદ્દે કહે છે કે કમર્શિયલ કાર્ગોને નિશાન બનાવવા, નિર્દોષ ક્રૂ પર હુમલા કરવા યા નૌકાદળ અથવા ટ્રેડ સ્વતંત્રતામાં અવરોધ ઊભા કરવાથી બચવું જોઈએ.
આ અગાઉ બુધવારે ઈરાન તરફથી હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ જહાજ પર એટેક કરવામાં આવ્યો હતો, જેમાં એક જહાજ મયુરી નારી હતું. આ કાર્ગો જહાજ યુએઈના ખલિફાથી એક પોર્ટ જવા નીકળ્યું હતું. આ જહાજ પર થાઈલેન્ડનો ધ્વજ હતો તથા સવારના અગિયાર વાગ્યાના સુમારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા પછી રોયલ થાઈ નેવી બચાવ કામગીરીમાં જોતરાઈ હતી, જ્યારે 20 ક્રૂને બચાવી લેવામાં આવ્યા હતા. આ હુમલામાં ત્રણ સભ્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે. થાઈ સેનાએ કહ્યું કે આ હુમલાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ હુમલાને કારણે દરિયાઈ કોરિડોરના પરિવહનમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે એટલું નક્કી.
ઈરાનમાં 9,000 ભારતીય નાગરિક
મધ્ય એશિયામાં વધતા લશ્કરી સંઘર્ષ વચ્ચે ભારત સરકારે કહ્યું છે કે ખાડી દેશોમાં ભારતના લગભગ 1 કરોડ ભારતીય વસે છે, જેમની સુરક્ષા અને કલ્યાણની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વિદેશ મંત્રાલયની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેરળના પ્રવાસ વખતે કહ્યું હતું કે ખાડી દેશોમાં રહેલા ભારતીયોને એકલા છોડવામાં આવશે નહીં. પશ્ચિમ એશિયામાં સંકટ વચ્ચે એક હુમલામાં બે ભારતીયના મોત થયા છે, જેમાં એક ગુમ છે. આમ છતાં વિદેશમાં રહેલા ભારતીય સુરક્ષા અને કલ્યાણની અમારી પ્રાથમિકતા છે. એના સિવાય યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ભારતના 9,000 નાગરિક છે, જ્યારે યુએઈ, કતાર, સઉદી અરેબિયા, ઓમાન, બહેરિન, કુવૈત, જોર્ડન અને ઈઝરાયલ સહિતના દેશમાં ભારતીયોને સુરક્ષિત લાવવા પણ સરકારે જણાવ્યું હતું.
