દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી 2026: ફેબ્રુઆરીમાં ક્યારે રાખવામાં આવશે ગણેશજીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને સાચી પૂજા વિધિ…
સનાતન ધર્મમાં દર મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ અત્યંત વિશેષ માનવામાં આવે છે. આ તિથિ વિઘ્નહર્તા અને પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશને સમર્પિત છે. ફાગણ મહિનાની સંકષ્ટી ચતુર્થી ‘દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી’ તરીકે ઓળખાય છે. ભગવાન ગણેશના ‘દ્વિજપ્રિય’ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોના જીવનમાંથી તમામ સંકટો દૂર થાય છે અને સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે.
વૈદિક પંચાંગ અનુસાર, આ વર્ષે ફાગણ માસની આ ચતુર્થી ગુરુવારે આવતી હોવાથી તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. આજે આપણે આ સ્ટોરીમાં ફાગણ માસની સંકષ્ટિ ચતુર્થી ક્યારે છે એ વિશે જાણીશું…
ક્યારે છે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી?
વાત કરીએ ક્યારે છે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી તો વૈદિક પંચાંગ મુજબ, ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ પાંચમી ફેબ્રુઆરી, 2026ના રોજ મધ્યરાત્રિએ 12.09 કલાકે છે અને છઠ્ઠી ફેબ્રુઆરીના રાતે 12.22 કલાકે સમાપ્ત થશે. વ્રતની તારીખની વાત કરીએ તો ઉદયાતિથિના નિયમ મુજબ, દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનું વ્રત પાંચમી ફેબ્રુઆરી 2026, ગુરુવારના રોજ રાખવામાં આવશે.
આ છે પૂજા માટેના શુભ મુહૂર્ત
. જો તમે આ દિવસે ગણેશ પૂજા કરવા માંગતા લોકો માટે આ પ્રમાણે છે પૂજાના મુહૂર્ત-
. બ્રહ્મ મુહૂર્ત: સવારે 05.22 કલાકથી 06.15 કલાક સુધી
. શુભ-ઉત્તમ મુહૂર્ત: સવારે 07.07 કલાકથી 08.29 કલાક સુધી
. અભિજિત મુહૂર્ત: બપોરે 12.12 કલાકથી 12.57 કલાક સુધી
કેવી રીતે કરશો ગણેશજીને પ્રસન્ન?
. સવારે વહેલા સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને મંદિરની સફાઈ કરો.
. હાથમાં જળ લઈને વ્રતનો સંકલ્પ કરો.
. એક ચોકી પર પીળું કપડું બિછાવી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો.
. ગણેશજીને સિંદૂર, ચંદન, અક્ષત, ફળ, ફૂલ અને ખાસ કરીને દૂર્વા અર્પણ કરો.
. ઘીનો દીવો પ્રગટાવી મોદક કે લાડુનો ભોગ લગાવો.
. સંકષ્ટી ચતુર્થીની વ્રત કથા વાંચો અને આરતી કરો.
. આખો દિવસ ફળાહાર કરો અને રાત્રે ચંદ્રદર્શન પછી ચંદ્રને અર્ધ્ય આપી વ્રતના પારણા કરો.
દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનું મહત્વ
દ્વિજપ્રિય એટલે કે ‘જે બે વાર જન્મેલા (બ્રાહ્મણ/વિદ્વાન)ને પ્રિય છે’. આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી જ્ઞાન, બુદ્ધિ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં ધન-ધાન્યના ભંડાર ભરેલા રહે છે.
