વેનેઝુએલા પર હુમલા બાદ અમેરિકાની ભારતને ખુલ્લી ધમકી: વધુ ટેરિફ લાદવાની આપી ચેતવણી
વેનેઝુએલા પરના હુમલા અને રાજકીય ઉથલપાથલ બાદ વૈશ્વિક સમીકરણો બદલાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે અમેરિકાએ ભારત સામે આકરા તેવર બતાવ્યા છે. વોશિંગ્ટન દ્વારા સંકેત આપવામાં આવ્યા છે કે જો ભારત તેની વેપાર અને વિદેશ નીતિમાં ફેરફાર નહીં કરે, તો તેના પર ભારે ‘ઈમ્પોર્ટ ટેરિફ’ લાદવામાં આવશે. આ મુદ્દે આજે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશે તો ભારત પર ટૂંક સમયમાં વધુ ટેક્સ લાદવામાં આવશે.
આ મુદ્દે ટ્રમ્પે ફરી કહ્યું છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સારા માણસ છે અને મને ખુશ રાખવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. તેઓ મને ખુશ રાખવા ઈચ્છતા હતા. વડા પ્રધાન મોદી એક સારા વ્યક્તિ છે. તેઓ જાણે છે કે હું ખુશ નહોતો, પણ મહત્ત્વની વાત એ હતી કે મને એ ખુશ કરે. તેઓ વેપાર કરે છે અને અમે ટૂંક સમયમાં વધુ ટેક્સ લાદીશું. અગાઉ અમેરિકાએ ભારત પર પચાસ ટકા ટેરિફ લાદ્યો છે, જેમાં 25 ટકા પેનલ્ટી ટેરિફ છે. ભારત પર અમેરિકા દ્વારા લગાવેલો ટેક્સ સૌથી વધુ છે. સાતમી ઓગસ્ટના 25 ટકાથી વધારીને પચાસ ટકા કર્યો હતો.
ચિંતાની બાબત
વેનેઝુએલામાં ચાલી રહેલી સૈન્ય અથવા રાજકીય કાર્યવાહી બાદ અમેરિકા ઈચ્છે છે કે ભારત તેના તેલ આયાત અને રાજદ્વારી સંબંધોમાં અમેરિકાના પક્ષમાં રહે. જોકે બીજી બાજુ અમેરિકાએ ભારતીય ઉત્પાદનો (જેમ કે સ્ટીલ, એલ્યુમિનિયમ અને આઈટી સેવાઓ) પર ટેરિફ વધારવાની ધમકી આપી છે, જે ભારતીય નિકાસકારો માટે ચિંતાનો વિષય છે.
શું અસરો થઈ શકે
ભારત હંમેશા પોતાની સ્વાયત્ત વિદેશ નીતિ (Strategic Autonomy) પર ભાર મૂકે છે. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે રશિયા અને વેનેઝુએલા જેવા દેશો સાથેના સંબંધો જાળવી રાખવા માંગે છે. જો અમેરિકા ટેરિફ લાદે છે, તો ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં મોટો ઘટાડો થઈ શકે છે. તેની સીધી અસર શેરબજાર અને ડોલર સામે રૂપિયાના મૂલ્ય પર પડી શકે છે.
