શારદીય નવરાત્રિઃ કઈ તારીખે છે અષ્ટમી, મહાનવમી અને કન્યા પૂજનનું શુભ મુહૂર્ત?
નવરાત્રિમાં દેવીની કૃપા મેળવવાનો આ ઉત્તમ સમય રહેશે

હિંદુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે અને આખા વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે જેમાંથી બે ગુપ્ત નવરાત્રિ હોય છે અને બાકીની બે ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિ. શારદીય નવરાત્રિ આસો મહિનામાં આવે છે અને આ નવરાત્રિનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વખતે 22મી સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ચાલો જાણીએ ક્યારે છે અષ્ટમી અને શું છે કન્યા પૂજનનું મૂહુર્ત.
શારદીય નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી દેવીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ વખત નોરતા દસ દિવસ રહેશે. ધાર્મિક માન્યતા અનુસાર શારદીય નવરાત્રિમાં મા દુર્ગાની આરાધના કરવાથી ભક્તના જીવનમાં આવનારા તમામ દુઃખ અને સંકટ દૂર થાય છે. શારદીય નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરુપની પૂજા કરવામાં આવે છે. આ નવરાત્રીમાં માતાજીની પૂજા કરવાથી ભક્તોના જીવનમાં બધા દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે અને માતાજીની કૃપા હંમેશા રહે છે.
વાત કરીએ નવરાત્રિની તારીખોની તો 22મી સપ્ટેમ્બરના રાતે 01.23 કલાકથી પ્રતિપદા તિથિનો પ્રારંભ થશે અને 23મી સપ્ટેમ્બરના 02.55 કલાક સુધી પૂરી થશે. આવી સ્થિતિમાં 22મી સપ્ટેમ્બરના શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે. દુર્ગાષ્ટમી ક્યારે છે એની વાત કરીએ તો 29મી સપ્ટેમ્બરના સાંજે 04.31 કલાકથી થશે અને સમાપન 30મી સપ્ટેમ્બરના સાંજે 06.06 વાગ્યા સુધી દુર્ગાષ્ટમી રહેશે.
આ વખતે 30મી સપ્ટેમ્બરના દુર્ગાષ્ટમી ઉજવવામાં આવશે અને મહાનવમી પહેલી ઓક્ટોબરના રહેશે. મહાનવમીની તિથિ 30મી સપ્ટેમ્બરના સાંજે 06.06 કલાકથી શરૂ થશે અને પહેલી ઓક્ટોબરના સાંજે 7.01 કલાકે સમાપ્ત થશે. કન્યા પૂજનના મુહૂર્તની વાત કરીએ તો નવરાત્રિના અંતમાં કન્યા પૂજન કરવામાં આવે છે. આસો મહિનાની અષ્ટમી કે નવમીના દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિને પૂજાનું પૂરેપૂરું ફળ મળે છે અને ખુશીઓનું આગમન થાય છે.
