172 વર્ષ પછી ભારતીય રેલવેનો મોટો નિર્ણયઃ એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રથમવાર સીસીટીવી કેમેરા બેસાડાશે
પ્રવાસીઓની સુરક્ષા અને ગુનાની ઘટનાઓ રોકવા હવે 74,000 કોચ અને 15,000 એન્જિનમાં લગાવાશે આધુનિક કેમેરા, ટ્રાયલ સફળ

દેશમાં બુલેટ ટ્રેન દોડાવવાનું સપનું બતાવનારી ભારતીય રેલવે એક પછી એક આધુનિક ટ્રેન લોન્ચ કરી રહ્યું છે. ભારતમાં ટ્રેન ચાલુ થઈ ત્યારથી પરિવહન માટે એક ઉત્તમ માધ્યમ બન્યું છે. પ્રવાસીઓની સુવિધા માટે રોજના 13,000થી વધુ ટ્રેન દોડાવાય છે, જેમાં પેસેન્જર-મેલ-સુપરફાસ્ટ તમામ પ્રકારની ટ્રેનનો સમાવેશ થાય છે. પ્રવાસીઓની જેટલી સુવિધા પૂરી પાડવામાં આવે છે, તેની સાથે સાથે રેલવે સ્ટેશનના પરિસર અને ટ્રેનમાં ગુનાનું પ્રમાણ વધ્યું છે. ગુનાના નિયંત્રણ માટે સ્ટેશનના પરિસરમાં સીસીટીવી કેમેરા બેસાડવામાં આવ્યા છે, પરંતુ હવે ડગલું આગળ ટ્રેનના કોચમાં સીસીટીવી કેમેરા બેસાડવાનો નિર્ણય લીધો છે, જે ઐતિહાસિક ગણી શકાય.
પશ્ચિમ રેલવેમાં લાખો બેડરોલ ચોરાયા હતા
મુંબઈ સબર્બનની ટ્રેનના મહિલા કોચમાં તો સીસીટીવી કેમેરા બેસાડવામાં આવ્યા છે, પરંતુ હવે પ્રવાસીઓની સુરક્ષા અને ગુનાના નિયંત્રણ માટે પેસેન્જર-મેલ એક્સપ્રેસ ટ્રેનના કોચમાં સીસીટીવી કેમેરા બેસાડવાનો નિર્ણય લીધો છે. એના પાછળના કારણ એક નથી, પરંતુ અનેક છે. રેલવે સ્ટેશનના પરિસર અને ચાલતી ટ્રેનમાં ચોરી-લૂટફાટ, હત્યાના બનાવ વધતા રહે છે. પાટનગર દિલ્હી હોય કે મુંબઈમાં ચાલતી ટ્રેનમાં છાશવારે ચોરીના કિસ્સા વધવાનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. પશ્ચિમ રેલવે ઝોનના એક કિસ્સાની વાત કરીએ તો ટ્રેનોમાં ચોર દ્વારા 1.95 લાખ ટુવાલ, 81,736 ચાદર, 55,573 ઓશિકાના કવર, 5,038 ઓશિકા અને 7,043 ધાબળા ચોરાઈ ગયા હતા. રેલવેએ અગાઉ પણ કહ્યું છે કે રેલવેમાં ચોરી લૂંટફાટના બનાવથી 400 કરોડ રુપિયાનું નુકસાન થયું હતું.
અમુક રુટ્સની ટ્રેનના કોચમાં બેસાડાશે
ચોરી કરનારા પ્રવાસીઓની સાથે રેલવે સ્ટાફની મિલિભગતનું કારણ પણ જવાબદાર હોઈ શકે છે, પરંતુ બુલેટ ટ્રેનનું સપનું બતાવનાર ભારતીય રેલવેએ સૌથી પહેલા પ્રવાસીઓની સુરક્ષા પર ધ્યાન આપીને સીસીટીવી કેમેરા બેસાડવાનો નિર્ણય લીધો છે એ આવકાર્ય છે. પ્રવાસીઓની સુરક્ષા સાથે રેલવેને થનારા નુકસાનમાંથી બહાર નીકળી શકાશે. હવે વાત જાણીએ સીસીટીવી કેમેરાની તો અમુક રુટ્સની ટ્રેનના કોચમાં બેસાડવામાં આવશે, જેનો ટ્રાયલ પણ હાથ ધરવામાં આવશે.
રેલવે મંત્રીએ કહ્યું 74,000 કોચમાં બેસાડાશે
રેલવે અધિકારીએ કહ્યું હતું કે નોર્ધન રેલવેના એન્જિન અને કોચમાં ટ્રાયલ સફળ રહ્યા છે. એના પછી રેલવે મંત્રીએ 74,000 કોચ અને 15,000 એન્જિનના કોચમાં સીસીટીવી કેમેરા બેસાડવાનો નિર્ણય લીધો છે. દરેક કોચમાં ચાર ડોમ ટાઈપ કેમેરા બેસાડાશે. બબ્બે એન્ટ્રન્સ પર દરેક એન્જિનમાં 6 કેમેરા બેસાડાશે, જેમાં આગ, પાછળ અને બંને દિશામાં લગાવાશે. ઉપરાંત, કેબિન (ફ્રન્ટ એન્ડ રિયર)માં એક-એક ડોમ કેમેરા અને બે ડેસ્ક માઉન્ડેટ માઈક્રોફોન લગાવવામાં આવશે.
ડેટા પ્રાઈવસી પણ સુરક્ષિત રાખવામાં આવશે
રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે કેમેરા ફક્ત અવરજવરના હિસ્સામાં લગાવવામાં આવશે, જેમ કે કોચના દરવાજાની નજીક તથા એનો ઉદ્દેશ પણ પ્રવાસીઓની સુરક્ષાનો હશે. કેમેરા કલાકના 100 કિલોમીટરથી વધુ સ્પીડથી ચાલતી ટ્રેનમાં વીડિયો કેપ્ચર કરવાની સાથે લાઈટિંગ પણ બરાબર રહેશે. એસટીક્યુસી સર્ટિફાઈડ આધુનિક કેમેરા લગાવાશે. એની સાથે ઈન્ડિયાએઆઈ મિશનના સહયોગથી સીસીટીવી ડેટાના એઆઈ આધારિત વિશ્લેષણની કરી શકાશે, જેનાથી સંદીગ્ધ ગતિવિધિની ઓળખ કરી શકાશે.
સીસીટીવી લગાવવાના શું ફાયદા થશે
ભારતીય રેલવે દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતીય રેલવેમાં રોજના સરેરાશ 13,000થી વધુ ટ્રેનનું સંચાલન કરવામાં આવે છે, જેમાં સબર્બન લોકલ ટ્રેન-પેસેન્જર ટ્રેન અને મેલ-એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે, જ્યારે રોજના 2.4 કરોડ પ્રવાસી મુસાફરી કરે છે. સીસીટીવી કેમેરાથી ચોરી, છેડતી સહિત અન્ય ગુનાઓને રોકવા માટે મદદરુપ બનશે. ઉપરાંત, ઈમરજન્સી યા કોઈ દુર્ઘટના વખતે ટ્રેનની મૂવમેન્ટ સમજવા અથવા સીસીટીવીના ફૂટેજ પણ અધિકારીઓને ઝડપી નિર્ણય લેવા માટે મદદરુપ બની શકે છે.
