February 21, 2026
ટોપ ન્યુઝમુંબઈ

Dombivali MIDC Boiler Blast: 6 જણના મૃત્યુ, 40 જણ ઈજાગ્રસ્ત થયા, મૃત્યુઆંક વધવાની શક્યતા…

Spread the love

ડોમ્બિવલી: ડોમ્બિવલીના એમઆઈડીસી વિસ્તારમાં કેમિકલ ફેકટરીના બોઈલરમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનાના કારણે અત્યાર સુધીમાં 6 જણના મૃત્યુ થયા હોવાની અને 40થી વધુ જણ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. આ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસમાં આવેલી દુકાનો અને ઈમારતના કાચ તૂટી ગયા હતા. અગ્નિશામક દળના જવાનો દ્વારા આ આગ પર કાબુમાં લાવવાના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે.

મળી રહેલી માહિતી પ્રમાણે ડોમ્બિવલીના MIDC વિસ્તારના ફેઝ 2માં આવેલી અંબર કેમિકલ કંપનીના બોઈલરમાં આ બ્લાસ્ટ થયો હતો. આ આગ ફેલાઈ રહી હોવાને આસપાસના વિસ્તારમાં આવેલી ઈમારતો અને દુકાનો ખાલી કરાવવામાં આવી રહ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર ડોમ્બિવલીના MIDC વિસ્તારના ફેઝ-2માં આવેલી એક કેમિકલ કંપનીના બોઈલરમાં ભીષણ બ્લાસ્ટ થયો હતો અને એને કારણે આગ લાગી હતી. ઘટનાસ્થળે અગ્નિશામક દળની ચાર ગાડીઓ હાજર છે. આ વિસ્ફોટની તીવ્રતા કેટલી હતી, તે ક્યાં થયો છે અને કયા કારણે થયો છે એ બાબતે હજી સુધી કોઈ માહિતી મળી શકી નહોતી, એવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ડોમ્બિવલીમાં થયેલી આ દુર્ઘટના બાદ ફરી એક વખત એમઆઈડીસીની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉપસ્થિત થયા છે, કારણ કે 24મી મે, 2016ના પણ આ વિસ્તારમાં ભીષણ વિસ્ફોટ થયો હતો અને 12 જણના મૃત્યુ થયા હતા અને 100થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. જે કંપનીમાં બ્લાસ્ટ થયો હતો એ કંપનીમાં મૃત્યુ પામનારા કર્મચારીઓના મૃતદેહ પણ નહોતા મળ્યા. એ સમયે પણ વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો કે કેટલાક કિલોમીટર દૂર સુધી તેના આંચકા અનુભવાયા હતા.

આ મામલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ડોમ્બિવલીના MIDC ખાતે થયેલી દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. ફસાયેલા લોકોને બહાર કાઢવાના તેમ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!