મુંબઈની લોકલ ટ્રેનમાં યુવકની હત્યા, પણ નિર્દોષને બચાવવા કોઈએ હિંમત કેમ કરી નહીં?
દેશની આર્થિક રાજધાની મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનમાં 20 વર્ષના સેલ્સમેન મયંક લોહારની સેંકડો પ્રવાસીઓની સામે સનસનીખેજ હત્યાના કિસ્સાના પડઘા આખા દેશમાં પડ્યા. બોરીવલી જીઆરપીએ કેસ નોંધ્યાના 24 કલાકમાં આરોપી રોશન સુવર્ણાની ધરપકડ કરવામાં સફળ રહી હતી. આરોપીની ધરપકડ કરવા માટે 400થી વધુ સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા. આખરે રેલવે પોલીસે આરોપીને પનવેલથી પકડી પાડ્યો હતો, પરંતુ આવા અકસ્માત છાશવારે મુંબઈ રેલવેમાં બને છે, પરંતુ નિર્દોષ લોકોના જીવ બચાવી શકતા નથી એનું સૌને આશ્ચર્ય છે.
ચાલતી ટ્રેનમાં શા માટે થયો હતો વિવાદ
બોરીવલી જીઆરપીના અનુસાર ચર્ચગેટ-નાલાસોપારા ફાસ્ટ લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં વરસાદને કારણે દરવાજો બંધ કરવા મુદ્દે મંગળવારે રાતના 10.42 વાગ્યે રોશન અને મયંક વચ્ચે અંધેરીથી કાંદિવલી વચ્ચે વિવાદ થયો હતો. એના પછી નારાજ રોશને ગાળાગાળી કરીને મયંક પર હુમલો કર્યો હતો.
ચાકુથી હુમલો કર્યા પછી મયંક ગંભીર રીતે ઘવાયો હતો, ત્યાર પછી મયંકને કાંદિવલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરે યુવકની ઓળખ મયંક રમેશ લોહાર તરીકે કરી હતી. અંધેરીના ખાનગી સ્ટોરમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. મંગળવારે રાતના ડ્યૂટી કરીને ચર્ચગેટથી નાલાસોપારા ટ્રેનમાં જતો હતો, ત્યારે આરોપી રોશન અને એના પિતા મુંબઈ એરપોર્ટના કાર્ગો વિભાગમાં કામ કરે છે.
તું દરવાજો બંધ કર, હું શા માટે કરું
પોલીસના જણાવ્યાનુસાર મંગળવારે રાતના ભારે વરસાદ હતો, ત્યારે મયંક ટ્રેનમાં હાજર પ્રવાસી (આરોપી રોશન સુવર્ણા)ને વરસાદનું પાણી અંદર આવે નહીં એથી દરવાજો બંધ કરવા જણાવ્યું હતું, પણ એને કારણે પ્રવાસી ભડકી ગયો હતો અને કહ્યું હતું કે હું શા માટે દરવાજો બંધ કરું, જાતે બંધ કરી લે એમ કહ્યું હતું એના પછી બંને વચ્ચે વિવાદ અને ગાળાગાળી હિંસામાં પરિણમી ગઈ હતી. એટલે સુધી કે રોશને મયંકના પેટમાં ચાકુથી ઘા કર્યા હતા, જેથી તે પેસેજમાં ઢળી પડ્યો હતો. જ્યારે ટ્રેન બોરીવલી પહોંચી ત્યારે પ્રવાસીઓએ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ હોસ્પિટલમાં મયંકને પહોંચાડ્યો હતો, પરંતુ ત્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
અગાઉ મલાડમાં પ્રોસેફરની કરી હતી હત્યા
ચાલતી ટ્રેનમાં સામાન્ય બાબતના વિવાદ પછી આરોપીએ પીડિતની હત્યા કરી નાખી હતી. લોકલ ટ્રેનના પેસેજમાં હત્યા કરીને ચાકુ લહેરાવતો આરોપીનો વીડિયો પણ વાઇરલ થયો હતો, જે વીડિયો જોઈને દુનિયા આખી સ્તબ્ધ બની ગઈ હતી. આ ઘટના મલાડમાં બનેલી પ્રોફેસર આલોક સિંહની હત્યા યાદ કરાવી દીધી છે. મલાડમાં પણ પ્રોફેસરની ધારદાર હથિયારથી હત્યા કરી નાખી હતી. લોકલ ટ્રેનમાં સામાન્ય વિવાદમાં પ્રવાસીની હત્યા કરી નાખવામાં આવે એના અંગે લોકોએ ગંભીર સવાલ ઊભા કર્યાં. પ્રવાસીઓની સુરક્ષા પણ રામભરોસે છે કે શું. આરોપી ઠંડે કલેજે હત્યા કરી નાખી પણ કોઈ કશુ કરી શકે નહીં એ પણ નવાઈની વાત છે. એક હથિયારધારી માણસને દસ-પંદર માણસ રોકી શકે નહીં એ કેવી પુરુષોની મર્દાનગી. જો ચાર-પાંચ લોકો આગળ આવીને પણ એને રોકી શક્યા હોત તો કદાચ એ યુવાન બચી ગયો હતો એવો પણ સોશિયલ મીડિયા પર લોકોએ દાવો કર્યો હતો.
બોરીવલી લોકલ ટ્રેનની ટાઈમલાઈન
10.05 વાગ્યે ચર્ચગેટ-નાલાસોપારા ફાસ્ટ લોકલ ચર્ચગેટથી રવાના થઈ
10.42 વાગ્યે ટ્રેન અંધેરી પહોંચી ત્યાર પછી બંને ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં ટ્રાવેલ કરતા હતા
11.04 વાગ્યે ટ્રેન બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ પર છ પર પહોંચી અને ત્યાર પછી આરોપી ટ્રેન ધીમી પડ્યા પછી ફરાર થઈ ગયો.
11.07 વાગ્યે ટ્રેન પહોંચ્યાની ત્રણ મિનિટમાં રેલવે પોલીસે ઘાયલ પ્રવાસી મદદ કરી અને 11.10 વાગ્યે સ્ટ્રેચર, હમાલની મદદથી બોરીવલી મેડિકલ રુમમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરે તપાસ કરી અને પછી 11.52 વાગ્યે શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
