ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે કર્યા યોગ; આપ્યો આ ખાસ મંત્ર
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડાલી તાલુકાના કેશરગંજ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ ઊઘડતી સવારે કેશરગંજ સમાજવાડી ખાતે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો. કેશરગંજ સમાજવાડી ખાતે પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી તેના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, પ્રતિદિવસ યોગાભ્યાસ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. યોગથી શરીરની લચકતા વધે છે. શરીરમાં લોહીનો સંચાર વધે છે તેથી અનેક રોગોમાં ફાયદાકારક છે.
તેમણે જણાવ્યું હતું કે, યોગ એ ભારતની પ્રાચીન વિરાસત છે જેને વડા પ્રધાન મોદીએ વિશ્વવ્યાપી બનાવી છે. વ્યસ્ત જીવનશૈલીમાં યોગ અને પ્રાણાયામ સ્વસ્થ જીવન માટે અત્યંત જરૂરી છે. યોગ દ્વારા શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત થાય છે, જેના કારણે માનસિક તણાવ દૂર થાય છે અને અભ્યાસમાં વધુ એકાગ્રતા પ્રાપ્ત થાય છે.
તેમણે સુદ્રઢ સ્વાસ્થ્ય અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે ખાસ આગ્રહ કર્યો હતો, અને પોતાની જીવનશૈલીમાં હકારાત્મક બદલાવ લાવવા માટે ખાસ આહવાન કરતા ખોરાકમાં નિયંત્રણ રાખી જમવામાં તેલ અને ચરબીયુક્ત પદાર્થોનું પ્રમાણ ઘટાડવા તેમજ રોજિંદા જીવનમાં યોગ, વ્યાયામ અને શારીરિક શ્રમને મહત્વ આપવા જણાવ્યું હતું.
રાજ્યપાલે કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભ્રામરી, ભસ્ત્રિકા પ્રાણાયામના નિયમિત અભ્યાસથી શ્વસનતંત્ર મજબૂત બનતું હોવાનું તેમજ સારી ઊંઘ અને તણાવ મુક્તિ માટે શવાસન, સર્વાઇકલ માટે વિવિધ આસનો બતાવી યોગ અને પ્રાણાયામને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.
દરમિયાન રાજ્યપાલે ખેડૂતોને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો લોકોને તંદુરસ્ત જીવન આપવાનું કામ કરી રહ્યા છે. આપણા દેશમાં કેન્સર અને અન્ય બીજી અનેક બીમારીઓ દિવસેને દિવસે વધી રહી છે. આચાર્ય દેવવ્રતએ આ પ્રસંગે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ઓછામાં ઓછું ખેતરના એક ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ ઉપસ્થિત ખેડૂતોને જીવામૃત સહિતના બાયો ઈનપુટ્સ બનાવવાની વિધિ તથા તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું.
