મહારાષ્ટ્ર બાદ છત્તીસગઢમાં તરબૂચ ખાવાથી કિશોરનું મોત
જાંજગીરમાં તરબૂચ ખાધા બાદ 15 વર્ષના કિશોરે જીવ ગુમાવ્યો, અન્ય ત્રણ બાળકો હોસ્પિટલમાં દાખલ
ગયા અઠવાડિયા દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈમાં બિરયાની પછી કલિંગર ખાવાને કારણે એક જ પરિવારના ચાર લોકોના મોત પછી હવે છત્તીસગઢના જાંજગીરમાં પણ કલિંગર ખાવાથી પંદર વર્ષન કિશોરનું મોત થયું છે, જ્યારે તેની સાથે અન્ય ત્રણ બાળકો પણ બીમાર પડ્યા છે. બીમાર થયા પછી ત્રણેયને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કલિંગર ખાવાથી હવે લોકોમાં ધીમે ધીમે ડર વધી રહ્યો છે, જ્યારે ખેડૂતો પણ ચિંતામાં આવી ગયા છે.
વાત કરીએ છત્તીસગઢની. અહીંના જાંજગીર-ચાંપા જિલ્લાના ઘુરકોટમાં તરબૂચ ખાધા પછી પંદર વર્ષના કિશોરનું મોત થયું છે, જ્યારે પરિવારમાં અન્ય ત્રણ બાળકો બીમાર પડ્યા પછી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતક કિશોરની ઓળખ અખિલેશ તરીકે કરી છે.
બાળકો પોતાના સંબંધીને ઘરે ફરવા ગયા ત્યારે આ બનાવ બન્યો હતો. મૃતક બાળક અખિલેશ ધીવર પોડી દલહા ગામનો રહેવાસી હતો. અન્ય બીમાર પડેલા બાળકની પણ હોસ્પિટલમાં પોલીસે ઓળખ કરી છે, જેઓ અવારિદ ગામના રહેવાસી છે, જેમાં એક શ્રીધીવર (4), ખટોલાનો પિંટુ ધીવર (12) અને કોટગઢનો રહેવાસી હિતેશ ધીવર (13) નામ તરીકે ઓળખ કરી છે.
આ બનાવ પછી જિલ્લા હોસ્પિટલના ડોક્ટર એસ કુજુરે જણાવ્યું છે કે રવિવારે સાંજે પહેલા અખિલેશે તરબૂચ ખાધુ હતું અને એના કલાકો પછી ઊલટી અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી એના પછી ત્રણેય બાળકોને પણ એની અસર થઈ હતી. તેમની તબિયત બગડ્યા પછી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં પહેલા અખિલેશને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો, જ્યારે ત્રણેય બાળકની સારવાર ચાલી રહી છે.
આ અંગે પોલીસે જણાવ્યું છે કે કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો, જ્યારે તરબૂચનું પણ પરીક્ષણ કરવામાં આવશે. અધિકારીએ કહ્યું છે કે હાલના તબક્કે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી વાસ્તવિકતા ખબર પડશે, પરંતુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે એવું પણ જાણવા મળ્યું છે કે પહેલા તરબૂચ સવારે કાપ્યું હતું, ત્યાર પછીના કલાકો પછી એને ખાવામાં આવ્યું હતું, જેને કારણે સંક્રમણની શક્યતા વધી જાય છે. સંક્રમણને કારણે કદાચ ફૂડ પોઈઝનિંગ થયું હોઈ શકે છે, પરંતુ એના અંગે પણ તપાસ કરવામાં આવશે.
