સોનાચાંદીમાં ઈમ્પોર્ટ અને પેટ્રોલના ભાવ વધારા બાદ હવે પીએમ મોદી શું નવું કરશે?
મંત્રીમંડળની આગામી બેઠકમાં મોટા કલ્યાણકારી સુધારા અને ઈઝ ઓફ લિવિંગ પર ફોકસની શક્યતા
પશ્ચિમ એશિયામાં વધી રહેલી અનિશ્ચતતાને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને સોનું ચાંદી નહીં ખરીદવાની અપીલ કરી હતી. ઉપરાંત, પેટ્રોલ-ડીઝલનો ખપ પૂરતો વપરાશ કરવાનો અનુરોધ કર્યો હતો એના બે દિવસ પછી કેન્દ્ર સરકારે સોનાચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી હતી.
હવે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કર્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ત્રણ-ત્રણ રુપિયાનો વધારો કર્યો છે. આ અગાઉ એપ્રિલ, 2022માં વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડીઝલ સિવાય સીએનજીના ભાવમાં બે રુપિયાની વૃદ્ધિ કરી છે. હવે પીએમ મોદી પાંચ દેશની યાત્રાએ પણ રવાના થયા છે, પરંતુ ત્યાંથી પરત ફર્યા પછી ઉચ્ચ સ્તરીય મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે પણ સરકારના એક પછી એક આકરા નિર્ણયોને કારણે સરકાર હજુ કંઈક નવું કરવાની યોજનામાં હોવાનું સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા છે.
વાત એમ છે કે પાંચ દેશની મુલાકાત કર્યા પછી પીએમ મોદીએ 21મી મેના કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બોલાવી છે. 15થી 20 મે સુધી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાતે જાય છે, પરંતુ એના પછી સરકારે બોલાવેલી બેઠકનો ઉદ્દેશ ઈઝ ડુઈંગ બિઝનેસ અને ઈઝ ઓફ લિવિંગના નિયમો અને પ્રક્રિયાઓને સરળ બનાવવાનો છે.
આ બેઠકમાં ડીપીઆઈઆઈટી, કૃષિ, વાણિજ્ય, આરોગ્ય અને ઊર્જા, પર્યાવરણ અને વન, શ્રમ, રોડ પરિવહન અને પરમાણુ ઊર્જા સહિત લગભગ એક ડઝન વિભાગના સચિવ પ્રેઝન્ટેશન આપી શકે છે. બેઠકનો મુખ્ય હેતુ જનતાના કલ્યાણ આધારિત સુધારાની અપેક્ષા છે.
પીએમ મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં દરેક મંત્રાલયની પોલિસી, નિયમો વગેરેને લાગુ કરવામાં આવશે. જોકે એનાથી અલગ મુદ્દે પણ જાહેરાત કરી શકાય છે. આ અગાઉ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક 4 જૂન, 2025ના યોજવામાં આવી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં નિર્માણ થયેલા પડકારોને પહોંચી વળવાની સાથે સુધારાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવી શકાય છે. જે રીતે સરકારે કોવિડ સંકટ વખતે જરુરી સુધારા કર્યા હતા એ જ રીતે સરકાર મુશ્કેલીના સંજોગોમાં નવતર પ્રયોગ કરી શકે છે.
