June 30, 2025
ટોપ ન્યુઝબિઝનેસહોમ

પ્લેન ક્રેશ બાદ ભારતીય એવિયેશન ઈન્ડસ્ટ્રી સામે ઊભા થયેલા ખતરા અને ભવિષ્યના પડકારો

Spread the love

સરકારના અહેવાલ અનુસાર 25,500 ફ્લાઈટ રદ્દ થતા 10.76 લાખ પ્રવાસી રઝળ્યાં

12 જૂન, 2025ના અમદાવાદમાં લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ. પ્લેનમાં સવાર 242માંથી 241 લોકો મોતને ભેટ્યા અને ક્રેશની સાઈટ પર પણ અનેક લોકો અકસ્માતનો શિકાર બન્યા. આ અકસ્માત સમગ્ર ભારત જ નહીં, એવિયેશન ઈન્ડસ્ટ્રી માટે આંખ ખોલનારો હતો. ભારતનું એવિયેશન સેક્ટર દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ ડોમેસ્ટિક હોય કે ઈન્ટરનેશનલ કક્ષાએ વધતી ફરિયાદો પણ ક્ષેત્ર માટે એલાર્મ બેલ છે. ફરિયાદો માટેનું કારણ નબળી સર્વિસ અને ઘણા બધા કારણો જવાબદાર છે, પરંતુ આ અકસ્માતે ઈન્ડસ્ટ્રીની શાખ અને અસ્તિત્વ મુદ્દે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. મહત્ત્વની વાત તો એ છે કે ભારતની ક્રેડિટ પર ભવિષ્યમાં સવાલ ઊભા થાય તો પણ નવાઈ નહીં.

કંપનીના સ્ટાફ અને પરિવારોની ઊંઘ હરામ થઈ
એર ઈન્ડિયાની ફ્લાઈટનો અકસ્માત પછી તપાસનો ધમધમાટ તો ચાલુ છે, જ્યારે ત્રણ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ અકસ્માત પછી એકલા એર ઈન્ડિયા નહીં, પરંતુ તમામ એવિયેશન કંપનીના વિમાનમાં ટેક્નિકલ ખામી યા ઓન એર મુશ્કેલી સર્જાયા પછી ફ્લાઈટને પરત કરવાની નોબત આવી રહી છે. દરેક કંપનીમાં કેન્સલેશનની ફરિયાદો વધી રહી છે, તેનાથી પેસેન્જર, કંપની સાથે સમગ્ર ઈન્ડસ્ટ્રીનો સ્ટાફ અને પરિવારોના તાળવે જીવ ચોંટ્યા છે. અમુક ફ્લાઈટની સર્વિસને પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શોર્ટ રુટ અને અંતરિયાળ રાજ્યના રુટને સંકેલી લેવાને કારણે ફ્લાય કરનારા પ્રવાસીઓની સમસ્યા વધી છે.

ઈન્ડસ્ટ્રીના રોકાણમાં વધારો પણ સમસ્યામાં વધારો
ઈન્ડસ્ટ્રી સૌથી પહેલા તો ભારત-પાકિસ્તાનની એર સ્પેસ બંધ થવાની સાથે યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બિઝનેસ પર અસર થઈ છે, તેમાંય અમદાવાદ જેવા શહેરી વિસ્તારમાં પ્લેન ક્રેશને કારણે સુરક્ષા-સુવિધા માટે અનેક સવાલ ઊભા થયા છે. ઈન્ડસ્ટ્રીમાં જંગી રોકાણની સાથે ટોચની કંપની પોતાનો વિસ્તરણ કરતું હોવા છતાં નબળી સર્વિસીસ, ફ્લાઈટ ડીલે અને કેન્સલેશનની સમસ્યા તો ભારત માટે માથાનો દુખાવો બન્યો છે.

કેન્સલેશન માથાનો દુખાવો, વળતર ચૂકવણી નહીંવત
મીડિયાના એક સર્વે મુજબ 61 ટકા ભારતીય એર પેસેન્જર્સે જણાવ્યું હતું કે તેમને ઓછામાં ઓછી એક વાર ફ્લાઇટ રદ કરવાનો સામનો કરવો પડ્યો હતો અથવા “આંતરિક કારણોસર” ફ્લાઇટ ફરીથી શેડ્યૂલ કરવાની ફરજ પડી હતી, પરંતુ તેમાં કોઈ વળતર મળ્યું નહોતું. જોકે, પાછલા 12 મહિનાના સમયગાળામાં કેસ 74 ટકાથી ઘટ્યા હતા. દરમિયાન બીજી બાજુ સૌથી ચોંકાવનારી વાત તો ઈન્ડિગોએ જણાવી હતી કે છેલ્લા ત્રણ વર્ષમાં 18,000 રુપિયાનું વળતર ચૂકવ્યું હતું, પરંતુ
આ કેન્સલેશનને કારણે 5.47 લાખ પ્રવાસીને અસર થઈ હતી. 2024માં ઈન્ડિગોના ઓન-ટાઈમ પર્ફોર્મન્સ (ઓટીપી)માં ઘટાડો થયો છે, જ્યારે પ્રતિસ્પર્ધી આકાસા એર લાઈનનો ઈન્ડસ્ટ્રીમાં એવરેજે ઓટીપી 74 ટકા સાથે મોખરે છે.

ડોમેસ્ટિક એવિયેશન ઈન્ડસ્ટ્રીમાં 25,500 ફ્લાઈટ રદ
અલબત્ત, ફ્લાઇટ્સ રદ કરવા બદલ પ્રવાસીઓને 50-100 ટકા દંડ ચૂકવવો પડ્યો હતો. જોકે, જ્યારે એરલાઇન્સે પોતે ફ્લાઇટ્સ રદ કરી ત્યારે કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નહોતું, 22 ટકા લોકોને તેમના હવાઈ ભાડાનું રિફંડ મેળવવા માટે પણ લોઢાના ચણા ચાવવા પડ્યા હોવાનું કહી શકાય. જાન્યુઆરી 2022થી સપ્ટેમ્બર 2024 દરમિયાન ડોમેસ્ટિક એવિયેશન ઈન્ડસ્ટ્રીમાં 25,500 જેટલી ફ્લાઈટ કેન્સલ કરી હતી, જ્યારે તેની લગભગ 10.76 લાખ પ્રવાસી પર અસર થઈ હતી, એવું સરકારના અહેવાલમાં જણાવ્યું હતું.

ઈરાન-ઈઝરાયલના યુદ્ધને કારણે સોમવારે 750 ફ્લાઈટ રદ
ફ્લાઈટ કેન્સલેશનના કારણોમાં ખાસ કરીને હવામાનને કારણે 41.56 ટકાનું પરિબળ જવાબદાર હતું. એના પછી ટેક્નિકલ, કમર્શિયલ અને ઓપરેશનલ કામગીરીના પરિબળો કારણભૂત હતા. 2024ના પહેલા નવ મહિનામાં ભારતની ટોચની એરલાઈનમાં ઈન્ડિગોની 60.53 ટકા અથવા 15,464 ફ્લાઈટ રદ થઈ હતી. અન્ય એરલાઈન્સમાં એલાયન્સ એર (2,707), એર ઈન્ડિયા (1,934) અને સ્પાઈસ જેટ (1,731)નો સમાવેશ થયો હતો. છેલ્લે ઈન્ટરનેશનલ લેવલની વાત કરીએ તો ઈરાન-ઈઝરાયલના યુદ્ધ વચ્ચે રોજના સેંકડો ફ્લાઈટ રદ કરવી પડે છે, જેમાં ગઈકાલે એક જ દિવસમાં 750 ફ્લાઈટ રદ્દ કરી હતી. ફ્લાઈટને રદ કરવા પાછળનું કારણ સુરક્ષાનું છે, પરંતુ ઈન્ડસ્ટ્રી ધીમે ધીમે ડચકા ખાઈ રહ્યું છે એમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!