18 વર્ષ પછી પણ ભાજપ જીતી શક્યું નથી વિસાવદરની બેઠક, સમજો સમીકરણો?
એક જમાનામાં ભાજપનો ગઢ ગણાતા ગુજરાતના વિસાવદરની બેઠક દરેક વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે પડકાર બનતી જાય છે, જે આ વખતની પેટા ચૂંટણીમાં ભાજપને નિષ્ફળતા મળી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી (આપ)ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાને જીત મળી છે. અહીંની બેઠક પરથી ભાજપના કિરીટ પટેલને 17,554 મતથી ગોપાલ ઈટાલિયાએ હરાવ્યા છે, જ્યારે કડીની બેઠક પર પણ ભાજપના રાજેન્દ્ર ચાવડાએ રમેશ ચાવડાને હરાવ્યા છે. સૌરાષ્ટ્રમાં ગઢ સચવાયો નથી, પણ ઉત્તર ગુજરાતમાં સચવાયો છે.
કડીની સીટ પરથી ભાજપના રાજેન્દ્ર ચાવડા જીત્યા
ગુજરાતની વિસાવદરની બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ફરી ભાજપને હરાવ્યું છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ ભાજપના કિરીટ પટેલને 17,000થી વધુ મતથી હરાવ્યા છે, જ્યારે વ્યક્તિગત ઈટાલિયાને 75,942 મત મળ્યા છે. કિરીટ પટેલને 58,388 મત મળ્યા છે. કડીની બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડાએ કોંગ્રેસના રમેશ ચાવડાને 39,452 મતથી હરાવ્યા છે. રાજેન્દ્ર ચાવડાને 99,742 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના પૂર્વ વિધાનસભ્ય રમેશ ચાવડાને 60,290 મત મળ્યા હતા.
અઢાર વર્ષથી વિસાવદરની સીટ ભાજપને જીત મળી નથી
વિસાવદરમાં 2007થી ભાજપને સીટ પર જીત મળી નથી. 18 વર્ષથી અહીની સીટ પર જીત માટે ભાજપ તરસતું રહ્યું છે. આ અગાઉ 2007માં ભાજપને જીત મળી હતી, ત્યાર પછી ભાજપ જીત માટે પૂરી તાકાત લગાવતું રહ્યું છે, પણ સફળતા મળતી નથી. કેન્દ્રીય પ્રધાનો અને ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલ સહિત અન્ય સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ ભાજપને આ સીટ મળી નથી. એક જમાનામાં વિસાવદરની સીટ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલની હતી. 2012માં તેમણે ભાજપ છોડીને ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી) બનાવી અને જીત મેળવી હતી. એના પછી પાર્ટી ભાજપમાં વિલિન થઈ હતી અને દીકરા ભરત પટેલને ટિકિટ મળી હતી, પરંતુ 2014માં કોંગ્રેસના હર્ષદ રિબાડિયાએ હરાવ્યા હતા.
ભાયાણી ભાજપમાં જોડાયા પછી વિસાવદરની સીટ ખાલી થઈ
એના ત્રણ વર્ષ પછી 2017માં પણ રિબાડિયાએ ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. 2022માં રિબાડિયા ભાજપમાં સામેલ થઈ ગયા પણ 2022 વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્ર ભાયાણી સામે હારી ગયા હતા. ડિસેમ્બર, 2023માં ભાયાણીએ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા, જેથી સીટ ખાલી થઈ હતી.
ડિપોઝિટ ગુમાવી કોંગ્રેસે અને પ્રદેશપ્રમુખે આપ્યું રાજીનામું
બીજી બાજુ ભાજપને કડીની સીટ પર જીત નોંધાતા રાહત થઈ છે. આ સીટમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા જીત્યા છે, જ્યારે રમેશ અને જગદીશ ચાવડા હતા. આમ છતાં અહીંની સીટ પર તો મુખ્ય લડત ચાવડાબંધુઓમાં હતી. છેલ્લે છેલ્લે પાર્ટી પ્રમાણે મૂળ લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહી હતી. કડીની બેઠક પર અનુસૂચિત જાતિ માટે રિઝર્વ હતી અને અહીંના ભાજપના વિધાનસભ્ય કરસન સોલંકીના નિધન પછી પેટા ચૂંટણી થઈ હતી. સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડ્યો છે, જેમાં કોંગ્રેસનો પરાજય થયો છે. બંને બેઠક પરથી કોંગ્રેસના નેતાઓની ડિપોઝિટ પણ ગુમાવી પડી છે. કોંગ્રેસ હાર્યા પછી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નૈતિક જવાબદારી લઈને રાજીનામું આપ્યું છે.
પેટા ચૂંટણી પછી ભાજપનું સંખ્યાબળ 162 થયું
ટૂંકમાં, પેટા ચૂંટણીના પરિણામો પછી હવે ગુજરાત વિધાનસભાની વાત કરીએ 182 સીટમાંથી ભાજપના પક્ષે 162, કોંગ્રેસની પાસે 12 સીટ, આમ આદમી પાર્ટી પાસે પાંચ સીટ, જ્યારે અપક્ષ પાસે બે અને સમાજવાદી પાર્ટી પાસે એક સીટ છે. ભાજપ માટે ભલે ગુજરાત ગઢ ગણાય છે, પરંતુ જનતાએ પણ પોતાનો જનમત સ્પષ્ટ આપ્યો છે કે અમુક સીટ પર ભાજપને નિષ્ફળતા દાયકાઓથી મળી રહી છે.