ગુજરાત સરકારનો મોટો નિર્ણય: સોસાયટીઓ માટે સ્ટેમ્પ ડ્યુટીમાં 80 ટકા સુધીની રકમ માફ
સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા અલોટમેન્ટ લેટર – શેર સેર્ટિફિકેટથી કરેલી તબદીલી – ટ્રાન્સફર્સ માટે ભરવા પાત્ર ડ્યુટીની ૮૦ ટકા સુધીની ડ્યુટી રકમ માફ કરાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં નાના અને મધ્યમ વર્ગના પરિવારો માટે સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના અને મધ્યમ વર્ગીય પરિવારો – લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે
મુખ્યમંત્રીએ કરેલા આ મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય અનુસાર સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી ૮૦ ટકા સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે.
મધ્યમ વર્ગના માટે હકારાત્મક અભિગમ અપનાવ્યો
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૯ (ક) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે. રાજ્ય સરકાર ના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓના કારણે મધ્યમ વર્ગના લોકો ઉપર આવા તબદીલીના કિસ્સાઓમાં જે નાણાંકીય બોજ આવતો હતો તે સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા નાના મધ્યમ વર્ગીય લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.
આ સંદર્ભમાં તેમણે કરેલા નિર્ણય અનુસાર હવે મૂળ ડયુટીના ૨૦ ટકા તથા દંડની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડયુટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે. ઉપરાંત, રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યુટી ઉપરાંત દંડની ગણતરી થતા સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યુટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે.
સરકારના નિર્ણય બાદ ટ્રાન્સફરના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં. આ નિર્ણયના અનુસંધાને જારી કરેલા જાહેરનામાની જોગવાઈઓ માત્રને માત્ર સોસાયટી, એસોસિયેશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરેલી ટ્રાન્સફર માટે લાગુ પડશે.