June 30, 2025
ટેકનોલોજીહોમ

સોશિયલ મીડિયા દિવસ: જાણો ભારતીયો રોજ કેટલો સમય સોશિયલ મીડિયા પર પસાર કરે છે?

Spread the love

ભારતમાં 49.1 કરોડ સક્રિય યુઝર્સઃ સસ્તા ડેટા પ્લાન અને સ્માર્ટફોનની વધતી બોલબાલાથી ગ્રામીણ વિસ્તારોમાં પણ વ્યાપ વધ્યો

સોશિયલ મીડિયા સામાજિક અવરોધો ઘટાડે છે તેમ જ તે ઓળખના આધારે નહીં પરંતુ, માનવીય મૂલ્યોના બળ આધારે લોકો સાથે જોડે છે. સરકારે પણ છેલ્લાં દાયકામાં દેશમાં ડિજિટલ ક્ષેત્રે આમૂલ પરિવર્તન જોવા મળ્યું છે, આજે ખૂબ ઓછી કિંમતે ઉપલબ્ધ ઈન્ટરનેટ ડેટા પ્લાનના કારણે સ્માર્ટફોન્સના વપરાશકર્તાઓ મોટાપાયે વધ્યા છે. ખાસ કરીને જાહેર સેવામાં સોશિયલ મીડિયા કમ્યુનિકેશનના એક મહત્ત્વના માધ્યમ તરીકે ઊભરી આવ્યું છે.

અંદાજે 49.1 કરોડ સક્રિય સોશિયલ મીડિયા વપરાશકર્તા

આજે વિશ્વ સોશિયલ મીડિયા દિવસના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં સોશિયલ મીડિયાના ઉપયોગ પર એક નજર કરીએ તો ભારતમાં વર્ષ 2025ની શરૂઆતમાં અંદાજે 49.1 કરોડ સક્રિય સોશિયલ મીડિયા વપરાશકર્તા નોંધાયા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના એપ્રિલ 2025ના આંકડા મુજબ, ઈન્ટરનેટ વપરાશ કર્તાઓનો આંકડો 94.3 કરોડને વટાવી ગયો છે. આ વૃદ્ધિમાં મોટાભાગનો હિસ્સો ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલ છે, જ્યાં સસ્તા ડેટા પ્લાનો જે ગ્રામ્યસ્તરે પણ સ્માર્ટફોનનો વધતો વ્યાપ દર્શાવે છે.

આશરે 2.50 કલાકનો સમય પોતાના મીડિયા પર પસાર કરે

ગ્લોબલ ડિજિટલ રિપોર્ટ 2025 અનુસાર ભારતીયો દિવસનો સરેરાશ 2 કલાક 50 મિનિટ જેટલો સમય પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયા પર પસાર કરે છે. ખાસ કરીને યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે, 18થી 35ની વયના લોકોમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પ્રચલિત છે. આ ડિજિટલ ક્રાંતિ જોતાં એવું કહી શકાય કે સોશિયલ મીડિયાએ પારદર્શકતા, સમાવિષ્ટતા અને નાગરિક કેન્દ્રિત માધ્યમ તરીકે સ્થાન જમાવ્યું છે.

મિસ-ઈન્ફર્મેશનના પ્રવાહમાં સાચી માહિતી આપવાનો ડિજિટલ ફેક્ટ-ચેક અભિગમ
જ્યાં એકબાજુ લોકો જરૂરી માહિતી પ્રાપ્ત કરવા માટે સરકારી સોશિયલ મીડિયાને ફોલો કરે છે ત્યારે બીજી બાજુ ખોટી માહિતી ફેલાતી રોકવા અને સાચી માહિતી આપવા માટે પણ સરકાર સજાગ છે. પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરો અને રાજ્ય સરકારની માહિતી નિયામકની કચેરી સક્રિયપણે ફેક ન્યૂઝની ઓળખ કરીને લોકો સમક્ષ સાચી માહિતી પૂરી પાડી રહી છે. આપદાના સમયે રિયલ ટાઈમ ફેક્ટ-ચેક કરીને નાગરિકોને અધિકૃત માહિતી પૂરી પાડતા લોકોમાં ખોટો ભય ફેલાતો અટકે છે તેમજ કોઈ પ્રકારે મૂંઝવણ પણ ઊભી થતી નથી. માહિતી મેળવવા માટે નાગરિકો વિશ્વસ નીય સ્ત્રોત પર આધાર રાખે તે માટેનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આમ, સોશિયલ મીડિયા લોકશાહી અને સરકારના સુશાસનના અભિગમને વધુ મજબૂત બનાવવામાં ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

ક્રાઈસીસ અને આપદા સમયે સોશિયલ મીડિયાની ચાવીરૂપ ભૂમિકા
રાજય સરકાર દ્વારા સંચાલિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી આપદા સમયે લોકોને સાચી અને સચોટ માહિતી ઝડપથી પૂરી પાડવામાં આવે છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, વરસાદી પૂર અંગેની ચેતવણી તેમજ આવા સંજોગોમાં અગમચેતીના પગલાં સહિત તંત્ર દ્વારા કરવામાં આવતી રાહત કામગીરી વગેરે કલેક્ટર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના હેન્ડલ્સ પરથી અપાતા લોકોમાં ભય ઓછો થાય છે. આ સિવાય કોવિડ મહામારી, બિપરજોય વાવાઝોડું જેવી આપદાઓ દરમિયાન લોકોને માહિતગાર કરવા કેન્દ્ર-રાજ્ય સરકારના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ચાવીરૂપ ભૂમિકા ભજવવાની સાથે-સાથે ફેક ન્યૂઝ ફેલાતા અટકાવી વિશ્વસનીય માહિતી પહોંચાડવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

છેવાડાના નાગરિક સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયા ટૂલ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક નાગરિક સુધી સાચી અને અધિકૃત માહિતી પહોંચાડવા માટે એક મજબૂત અને વ્યાપક સોશિયલ મીડિયા નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ નેટવર્કમાં મુખ્યમંત્રીની ઓફિસથી લઈને ગ્રામ પંચાયત સુધીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો સમાવેશ કરવામાં આવશે. આમ સોશિયલ મીડિયા સરકારે નાગરિકો સુધી સીધી, સાચી અને સચોટ માહિતી પહોંચાડવાનો પૂલ બની રહ્યું છે. ડિજિટલ યુગમાં આ ઉપક્રમો પારદર્શક અભિગમ દ્વારા સુશાસનને વધુ મજબૂત બનાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!