June 30, 2025
બિઝનેસમુંબઈ

Sunday Special: મુંબઈની લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરે છે રિયલ એસ્ટેટ કિંગ, જાણો કેમ?

Spread the love


લક્ઝરી કાર છોડીને રોજ લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે 1.2 અબજ ડોલરની સંપત્તિવાળા ઉદ્યોગપતિ, જાણો કેમ પસંદ કરે છે આ અનોખો રસ્તો

પૈસો, પ્રેમ અને પ્રતિષ્ઠાનું જિંદગીમાં વિશેષ મૂલ્ય હોય છે. સામાન્ય રીતે પૈસા સાથે પ્રતિષ્ઠા હોય તો લોકોમાં ઘમંડ આવી જાય છે, પૈસાનું ગુમાન પણ જોવા મળે છે. આલીશાન ઘર, લક્ઝરી કાર, મોંઘા કપડાનું પણ અભિમાન હોય છે. વ્યક્તિની આગળ પાછળ ગાડીઓની લાઈન લાગે છે, પરંતુ એક અબજોપતિ વ્યક્તિ એવી છે જેના બેંક ખાતામાં લાખ, કરોડ, અબજની રકમ છે. ગણી શકો તો એ શ્રીમંતના બેંક એકાઉન્ટમાં 1,21,20,71,00,000 રુપિયા છે, પરંતુ જિંદગી જીવવાની એકદમ ડાઉન ટૂ અર્થ. લક્ઝરી કારના કાફલા સાથે ટ્રાવેલ કરવાને બદલે મુંબઈની લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરે છે. આ પણ મુંબઈની લોકલ ટ્રેનની પોઝિટિવ સાઈડ છે. એટલે મુંબઈની લોકલ ટ્રેનને એટલે જ મુંબઈગરાની લાઈફલાઈન કહે છે.

ઉદ્યોગપતિની સાદગી તમારું મન મોહી લેશે
વાત કરીએ એવા મુંબઈગરાની કે જે પોતે અબજોની સંપત્તિમાં આળોટતા હોવા છતાં સ્પીડ યા સેફ્ટી માટે મુંબઈની લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરે છે. જી, હા એ ઉદ્યોગપતિ છે હીરાનંદાની ગ્રુપના નિરંજન હીરાનંદાની. તેઓ ઓફિસ જવા માટે મુંબઈની લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરે છે, જે પોતે રિયલ એસ્ટેટ ડાયકૂન છે. પોતે ઈચ્છે તો એકથી એક ચઢિયાતી લકઝરી કારમાં અવરજવર કરી શકે છે. આ ઉદ્યોગપતિની સાદગી લોકો માટે પણ એક પાઠસમાન વાત છે.

ભારતના ટોચના પચાસ ઉદ્યોગપતિઓમાં ધરાવે છે સ્થાન
હુરુન લિસ્ટ અનુસાર ભારતના ટોચના પચાસ સૌથી શ્રીમંત ઉદ્યોગપતિઓમાં સામેલ હીરાનંદાની પાસે 1,21,20,71,00,000 રુપિયાની સંપત્તિ છે. એમની પાસે પોતાની કારનું પણ આગવું ક્લેક્શન ધરાવે છે, પરંતુ મુંબઈના રસ્તા પર ટ્રાફિક જામમાં સમય બરબાદ કરવાને બદલ લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું પસંદ કરે છે. નિરંજન હીરાનંદાની સામાન્ય જનતાની સાથે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું વિશેષ પસંદ કરે છે, જ્યારે સામાન્ય પ્રવાસીઓને પણ એ વાતનો આનંદ થાય છે. અમુક પ્રવાસીને જાણ થયા પછી તેમને મળવાની સાથે સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી.

ભાઈ સાથે મળીને 1978માં ગ્રુપનો પાયો નાખ્યો હતો
વ્યક્તિગત જિંદગીની વાત કરીએ તો પોતાની કારકિર્દીની શરુઆત હીરાનંદાનીએ શિક્ષક તરીકે કરી હતી. એકાઉન્ટિંગના શિક્ષક હીરાનંદાનીએ સીએ (ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ)નો અભ્યાસ કર્યો અને થોડા વર્ષો નોકરી કર્યા પછી ભાઈ સુરેન્દ્ર હીરાનંદાની સાથે મળીને 1978માં હીરાનંદાની ગ્રુપનો પાયો નાખ્યો હતો. બિઝનેસની શરુઆતમાં 1981માં તેમણે કાપડ વણાટનું કામ કર્યુ હતું, પરંતુ એના પછી તેમને રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું અને એ પછી ગ્રુપે સેક્ટરમાં કિંગમેકરની ભૂમિકા ભજવી.

મિલિંદ સોમનની ચેલેન્જ પણ સ્વીકારી હતી
રિયલ એસ્ટેટ કિંગની એક મહત્ત્વની વાત કરીએ તો નિરંજન હીરાનંદાની પોતાના આરોગ્યને લઈને પણ એટલા સતર્ક રહે છે. 75 વર્ષની ઉંમરે અભિનેતા મિલિંદ સોમનની ચેલેન્જ સ્વીકારીને હીરાનંદાનીએ સોમનની સાથે 20 પુશઅપ્સ પણ લગાવ્યા હતા, જે વીડિયોએ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જગાવી હતી. વ્યવસાયની વાત કરીએ તો મુંબઈ જ નહીં, સમગ્ર ભારતમાં તેમના ગ્રુપની નોંધ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં યોગદાન માટે લેવાય છે. હીરાનંદાની ગ્રુપના સહ-સંસ્થાપક તરીકે તેમને મુંબઈની ક્ષિતિજને બદલવા અને પવઈમાં હીરાનંદાની ગાર્ડન, થાણેમાં હીરાનંદાની એસ્ટેટ જેવા લક્ઝરી હાઉસ તૈયાર કરવામાં તેમની મોટી ભૂમિકા રહી છે. નિરંજન હીરાનંદાની ગ્રુપની કૂલ સંપત્તિ લગભગ 1.6 અબજ ડોલરથી વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!