June 30, 2025
ગુજરાત

કચ્છના રણમાં બીએસએફના જવાનોને મળ્યા ભૂપેન્દ્ર પટેલઃ જવાનોની ફરજનિષ્ઠાની પ્રશંસા કરી

Spread the love

ભુજ-ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શાળા પ્રવેશોત્સવ – 2025ના ત્રીજા દિવસે કચ્છ જિલ્લાના છેવાડાના ગામ કુરનની શાળામાં બાળકોનું નામાંકન કરાવવા માટે શુક્રવારે મોડી સાંજે કચ્છ પહોંચ્યા હતા તેમ જ મુખ્યમંત્રીએ કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરીટી ફોર્સની 85 બટાલિયનના જવાનોને મળી તેઓ સાથે ભોજન લીધું હતું.

મુખ્યમંત્રીએ આ જવાનો સાથે સંવાદ ગોષ્ઠી કરી રણની વિષમ પરિસ્થિતિમાં પણ દેશની સરહદના સંત્રી તરીકે ખડે પગે રહેવાની તેઓની ફરજનિષ્ઠાની પ્રશંસા કરી હતી. પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષનું નિર્માણ થયું હતું. ઓપરેશન સિંદૂર પછી બંને દેશ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ યુદ્ધના દિવસોમાં કચ્છ સરહદે પણ વાતાવરણ તંગ રહ્યું હતુું. એના પછી ચીફ આર્મી, સંરક્ષણ પ્રધાનથી લઈને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સરહદી વિસ્તારની મુલાકાતના આંટાફેરામાં વધારો થયો છે.

દરમિયાન ગઈકાલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભુજ ખાતે આજરોજ કચ્છ કાનિર્વલનો શુંભારભ કરાવતા કચ્છીમાડુઓને કચ્છી નૂતન વર્ષ અષાઢીબીજની શુભેચ્છા પાઠવીને જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં ઉત્સવો અને તહેવારો તથા મેળાવડાઓ આનંદ-પ્રમોદનું એક માધ્યમ છે. એમાંય કચ્છીઓ તો પોતાના આગવા ખમીર અને ઝમીરથી ઉત્સવો માણવા માટે પ્રખ્યાત હોવાથી દેશ વિદેશથી કચ્છ આવતા લોકોને કચ્છની પરંપરાગત અને ભાતીગળ સંસ્કૃતિ, ખાન-પાન, કલા કારીગરીથી પરિચિત કરાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કચ્છ કાર્નિવલ તથા રણોત્સવનું આયોજન કરી કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતાને વિશ્વથી રૂબરૂ કરાવી હતી.

વડાપ્રધાનએ કચ્છના રણને રણોત્સવ દ્વારા પ્રવાસનનું તોરણ બનાવીને “કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” ની ટેગ લાઈન સાથે વિશ્વમાં કચ્છની આગવી ઓળખ ઉભી કરી છે. હાલ, કચ્છ વડાપ્રધાનના વિકાસના વિઝન અને કમિટમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે.

કચ્છ કાર્નિવલમાં કચ્છીયતના રંગે રંગાઇને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ કાર્નિવલની પરંપરાને વિસ્તારવાના વડાપ્રધાનના પ્રેરક સૂચનને ઝિલનાર સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાને અભિનંદન પાઠવતા ઉમેયું હતું કે, વડાપ્રધાનએ ભૂકંપનો માર ઝીલનાર કચ્છને ફરી બેઠું કરીને પ્રવાસનના વિકાસનો પર્યાય બનાવ્યું છે. કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા વડાપ્રધાનએ કચ્છનું પૂર્નનિર્માણ કરી કચ્છના વિકાસને નવી દિશા આપતા એક સમયનું વેરાન કચ્છ હવે વિશ્વ વિખ્યાત બન્યું છે. વિકાસના કારણે જ યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

કચ્છના વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વિઝન થકી ૨૦૦૧ના વિનાશક ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં બનેલ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલનો વિશ્વના ત્રણ સૌથી સુંદર મ્યુઝિયમમાં સમાવેશ કરાયો છે. તેમના પ્રયાસોથી જ રાષ્ટ્રીયતાના પ્રતીક સમાન શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ – ક્રાંતિ તીર્થ માંડવી ખાતે નિમાર્ણ પામ્યું છે તેમજ યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની પ્રાચીન સંસ્કૃતિનો ભવ્ય વારસો પણ કચ્છમાં સચવાયેલો છે. આમ, કચ્છ આવી પ્રાચીન વિરાસત સાથે વડાપ્રધાનશ્રીએ આપેલા ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને પણ વિકાસના નવા આયોમોથી સાકાર કરી રહ્યું છે તેમાં કોઇ બેમત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!