June 30, 2025
ટોપ ન્યુઝધર્મહોમ

ભગવાન જગન્નાથ રથયાત્રા: આ ટોપ ટેન સિક્રેટ વિશે જાણો છો?

Spread the love

ઓડિસાના પુરી ખાતે દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે અને આજે પુરી સહિત અમદાવાદ ખાતે આ રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે આ પ્રસિદ્ધ રથયાત્રા નીકળે છે. આ દિવસે ભગવાન જગન્નાથ પોતાની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરયાત્રા પર નીકળે છે અને પોતાની માસીના ઘર એટલે કે ગુંડિચા મંદિર તરફ પ્રસ્થાન કરે છે. ચાલો આજે તમને આ રથયાત્રા વિશેના 10 રોચક તથ્યો વિશે જાણીએ-
મૂર્તિઓને નથી હાથ-પગ કે પંજા
સાંભળવામાં ભલે થોડું વિચિત્ર લાગે પણ આ હકીકત છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની મૂર્તિને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે ત્રણેય મૂર્તિઓમાં હાથ-પગ કે પંજા નથી. આ પાછળ એક પૌરાણિક કથા છે. આ કથા અનુસાર જ્યારે વિશ્વકર્માજી મૂર્તિઓ બનાવી રહ્યા હતા ત્યારે તેમણે શરત મૂકી હતી કે જ્યાં સુધી મૂર્તિઓ નહીં બને ત્યાં સુધી તેમના કક્ષમાં કોઈ પ્રવેશ નહીં કરે. પરંતુ રાજાએ તેમના કક્ષનો દરવાજો ખોલી દીધો અને વિશ્વકર્માજીએ મૂર્તિઓ બનાવવાનું કામ અધૂરું છોડી દીધું. ત્યારથી આ મૂર્તિઓ અધૂરી જ છે અને આજ સુધી તે પૂરી થઈ શકે છે. આ ત્રણેય મૂર્તિઓ લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે.

ત્રણેયના રથ પણ હોય છે ખાસ
ભગવાન જગન્નાથજીની યાત્રાના રથ ખૂબ જ ખાસ હોય છે અને તે લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે. રથ યાત્રાની તૈયારીઓ વસંત પંચમીથી જ શરૂ થઈ જાય છે. ખાસ વાત તો એ છે કે તેને બનાવવામાં કોઈ પણ પ્રકારની ધાતુનો ઉપયોગ નથી કરવામાં આવતો અને રથ બનાવવા માટેના લાકડા માટે સ્વસ્થ અને શુભ ઝાડની ઓળખ કરવામાં આવે છે.

16 પૈડા અને 332 લાકડાના ટૂકડાથી બને જગન્નાથજીનો રથ
ભગવાન જગન્નાથજીનો રથ ખૂબ જ ખાસ હોય છે અને તેમાં 16 પૈડાં હોય છે અને આ રથ બનાવવામાં લાકડાકા 332 ટૂકડાનો ઉપયોગ કરવામાં આવે છે. 45 ફૂટ ઊંચા આ રથનો રંગ લાલ અને પીળો હોય છે અને અક્ષય તૃતિયાના દિવસે આ રથ બનાવવાની શરૂઆત કરવામાં આવે છે. બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથ કરતાં ભગવાન જગન્નાથનો રથ આકારમાં મોટો હોય છે, જેના પર ભગવાન હનુમાનજી અને નરિસંહ ભગવાનના પ્રતિક કોતરવામાં આવે છે. રથયાત્રામાં આ રથ સૌથી પાછળ હોય છે.

બલરામજીનો રથ 44 ફૂટ ઊંચો હોય છે
બલરામજી ભગવાન જગન્નાથ કરતાં મોટા છે અને એટલે તેઓ બધાનું નેતૃત્વ કરે છે એટલે રથયાત્રામાં સૌથી પહેલાં બલરામજીનો રથ હોય છે અને તેની ઉંચાઈ 44 ફૂટ જેટલી હોય છે. આ રથમાં બ્લ્યુ કલરનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

બહેન સુભદ્રાનો રથ
કૃષ્ણ અને બલરામજીની લાડકી બહેન સુભદ્રા હંમેશા બંને ભાઈઓની દેખરેખ હેઠળ રહે છે. આ જ કારણે સુભદ્રાનો રથ બંને ભાઈઓના રથની વચ્ચે હોય છે અને એની ઊંચાઈ 43 ફૂટ હોય છે. બહેન સુભદ્રાના રથને સજાવવા માટે મોટા પાયે કાળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે.

મૂર્તિઓમાં હોય છે અસ્થિઓના અંશ
પૌરાણિક કથા અનુસાર આ મૂર્તિઓનું નિર્માણ રાજા નરેશ ઈન્દ્રદ્યુમ્ન દ્વારા કરાવવામાં આવ્યું હતું અને તેઓ ભગવાન વિષ્ણુના પરમભક્ત હતા. એવી માન્યતા છે કે ભગવાને રાજાના સપનામાં આવીને તેમને મૂર્તિઓ બનાવવાનો આદેશ આપ્યો હતો. તેમણે સપનામાં જણાવ્યું કે શ્રી કૃષ્ણ નદીમાં સમાઈ ગયા છે અને તેમની પાછળ પાછળ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પણ કલ્પાંત કરતા નદીમાં સમાઈ ગયા. તેમની અસ્થિઓ નદીમાં પડેલી છે. ભગવાનનો આદેશ માનીને રાજાએ નદીમાંથી ત્રણેયની અસ્થિઓ ભેગી કરી અને મૂર્તિના નિર્માણ સમયે પ્રત્યેક મૂર્તિમાં અસ્થિના થોડા થોડા અંશ રાખી દીધા. જગન્નાથજીના મંદિરનું નિર્માણ 1000 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું અને ત્યારથી દર વર્ષે 14 વર્ષે પ્રતિમાઓ બદલવામાં આવે છે.

રથ ખેંચવાથી મળે છે મોક્ષ
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને લોકોમાં એવી માન્યતા છે કે જે પણ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચે છે એને ફરી જન્મ નથી લેવો પડતો અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ માટે જ લોકોમાં ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવાની ભારે હોડ જોવા મળે છે.

હવાથી વિપરીત દિશામાં લહેરાય છે ધજા
ભગવાન જગન્નાથજીને સમર્પિત આ મંદિરનું નિર્માણ 10મી સદીમાં કરવામાં આવ્યું હતું અને એને ચાર ધામમાં સ્થાન આપવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે મંદિરના શિખર પર લહેરાતી ધજા હંમેશા હવાથી વિપરીત દિશામાં જ લહેરાય છે. એવું કહેવાય છે કે અહીં દિવસના સમયે હવા સમુદ્રથી જમીન તરફ આવે છે અને સાંજે તેનાથી વિપરીત દિશામાં હવા વહે છે. પરંતુ મંદિરની ધજા એનાથી વિપરીત દિશામાં લહેરાય છે.

દરરોજ બદલાય છે ધજા
ભારતમાં કોઈ પણ મંદિરની ધજા દરરોજ નથી બદલવામાં આવતી, પરંતુ જગન્નાથજી મંદિર એક માત્ર એવું મંદિર છે જેની ધજા દરરોજ બદલવામાં આવે છે. દરરોજ એક પૂજારી ઊંચા ગૂંબજ પર ચઢીને ધજા બદલાવે છે. જગન્નાથજીની મંદિરની એક એવી માન્યતા છે તે જો મંદિરની ધજા એક દિવસ નહીં બદલવામાં આવે તો મંદિર 18 વર્ષ માટે બંધ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!