રેલવેનો મોટો નિર્ણય: હવે વેઈટિંગ ટિકિટ માત્ર 25 ટકા સુધી જારી થશે, પ્રવાસીઓને શું થશે ફાયદો?
ACથી લઈને સ્લીપર ક્લાસ સુધી દરેક કોચમાં વેઈટિંગ ટિકિટની મર્યાદા, નવા નિયમથી યાત્રિકોને મળશે કન્ફર્મ ટિકિટની વધારે શક્યતા
રેલવે તરફથી 2013માં જારી કરવામાં આવેલા નિયમ અનુસાર અલગ અલગ કોચમાં વેઈટિંગ લિસ્ટની ટિકિટની સંખ્યા નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે દરેક કોચ માટે એક નિયમના આધારે વેઈટિંગ લિસ્ટનો નંબર જશે. રેલવે દરેક ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસ, એસી સેકન્ડ, એસી થર્ડ, સ્લીપર અને ચેર કારમાં કૂલ બર્થ-સીટના મહત્તમ 25 ટકા વેઈટિંગ ટિકિટ તરીકે જારી કરશે. દિવ્યાંગજન, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે રિઝર્વ સીટ જેમ કે અલગ અલગ ક્વોટાને ધ્યાનમાં રાખીને નવો નિર્ણય લીધો છે.
રિઝર્વેશનની કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધશે
અગાઉ રેલવેએ તત્કાલ ટિકિટની પ્રોસેસમાં ફેરફાર કર્યો હતો તો હવે રેલવેએ પણ ટ્રેનની તમામ કેટેગરી (એસી1, 2 અને 3 સ્લીપર અને ચેરકાર)માં કૂલ સીટના ફક્ત 25 ટકા સુધી વેઈટિંગ ટિકિટ જારી કરવાનો નિર્ણય લીધો છે. વેઈટિંગ ટિકિટ જારી કરવામાં વિકલાંગ અને અલગ અલગ કેટેગરીની સીટ સામેલ કરવામાં આવશે નહીં. રેલવે મંત્રાલય વતી લેવામાં આવેલો આ નિર્ણય પ્રવાસીઓને રિઝર્વેશનની કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધશે.
કન્ફર્મ નહીં થયા પછી પ્રવાસીઓ ટ્રેનમાં ચઢતા ભીડ થતી
રેલવે બોર્ડ તરફથી જારી કરવામાં આવેલા પરિપત્ર તમામ ઝોનલ રેલવેને લાગુ કરવાનું શરુ કર્યું છે. અધિકારીઓએ દાવો કર્યો છે કે પહેલા વેઈટિંગ લિસ્ટની ટિકિટની સંખ્યા વધારે હોવાને કારણે અનેક પ્રવાસીઓ રિઝર્વ કોચમાં ચઢી જતા હતા અને ટ્રેનમાં ભીડ થતી હતી, જેનાથી કન્ફર્મ ટિકિટવાળા પ્રવાસીઓને મુશ્કેલી પડતી હતી. રેલવે અધિકારીઓના જણાવ્યાનુસાર સામાન્ય રીતે 20થી 25 ટકા વેઈટિંગ લિસ્ટવાળા પ્રવાસીઓની ટિકિટ યાત્રા પૂર્વે કન્ફર્મ થતી હતી પણ હવે રેલવેના નવા પરિપત્ર અનુસાર ઝોનલ રેલવેમાં નવા પરિપત્રને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
પહેલા શું નિયમ હતો?
જાન્યુઆરી, 2013ના નિયમ અનુસાર એસી1માં 30, એસી2માં 100, એસી3માં 300 અને સ્લીપરમાં 400 વેઈટિંગ લિસ્ટની ટિકિટ જારી કરવામાં આવી હતી. હવે નવી પોલિસી અનુસાર દરેક ઝોનલ રેલવે બુકિંગ અને કેન્સલેશન પેટર્નના આધારે વેઈટિંગ લિસ્ટ ટિકિટની મર્યાદા નક્કી કરશે. રેલવેના અધિકારીએ કહ્યું હતું કે પહેલા લિસ્ટની ટિકિટ સંખ્યા વધારે હોવાથી કન્ફર્મ ટિકિટ અને ટ્રેનમાં ચઢનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારે અંતર હતું. આ પરેશાનીને દૂર કરવાથી પ્રવાસીઓને ફાયદો થઈ શકે છે. નવો નિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો, મેલ-એક્સપ્રેસ અને અન્ય શ્રેણીની ટ્રેનમાં લાગુ પડશે.
‘અવેલેબલ’ બર્થનું ગણિત શું છે?
‘અવેલેબલ’ બર્થનો અર્થ થાય છે કે સિનિયર સિટિઝન, મહિલા, વિદેશી ટૂરિસ્ટ અને દિવ્યાંગ જેવી અલગ અલગ ક્વોટાની ફાળવણી પછી સામાન્ય બુકિંગ બચે છે. ઉદાહરણ તરીકે જો તમામ ક્વોટા લાગુ કર્યા પછી બુકિંગ માટે 400 બર્થ અવેલેબલ હોય છે તો વેઈટિંગ લિસ્ટ મહત્તમ 100 સીટ જારી કરી શકાય છે. હાલમાં વેઈટિંગ લિસ્ટના ટિકિટની સંખ્યા પીક સિઝનમાં વધારે હોવાથી મુશ્કેલી થાય છે. ખાસ કરીને દિવાળી અને છઠ્ઠના તહેવારમાં અફરાતફરી મચી જાય છે. નવા નિયમ અન્વયે દરેક કોચમાં અવેલેબલ કૂલ બર્થની સંખ્યાના 25 ટકા સુધી વેઈટિંગ લિસ્ટ જારી કરવામાં આવશે. ટૂંકમાં, જો કોઈ ટ્રેનમાં 1,000 સીટ ઉપલબ્ધ છે તો તેમાં મહત્તમ 250 ટિકિટ જારી કરવામાં આવશે. આ નિયમથી પ્રવાસીઓ પોતાની યાત્રા થવાના વધુ ચાન્સ રહેશે, જ્યારે ટ્રેનોમાં પણ ભીડ થશે.
દરેક ઝોનલ રેલવેને વિશેષ અધિકાર આપ્યો
રેલવેના અધિકારીએ કહ્યું હતું કે નવો નિયમ તત્કાલ અને રિમોટ લોકેશનની બુકિંગ પર પણ લાગુ કરવામાં આવશે. જોકે, નવી લિમિટ કન્સેશન ફેર અને સરકારી વોરન્ટ પર જારી કરવામાં આવેલી ટિકિટ પર લાગુ પડશે નહીં. સેન્ટર ફોર રેલવે ઈન્ફર્મેશન સિસ્ટમ્સ તરફથી સોફ્ટવેરમાં ફેરફાર કરવામાં આવશે અને નવા નિયમને લાગુ કરવાની તારીખ પણ વહેલા જાહેર કરવામાં આવશે. ઉપરાંત, દરેક ઝોનલ રેલવેને એ અધિકાર આપવામાં આવશે, જેમાં પોતાના ક્ષેત્રની ટ્રેનમાં બુકિંગ અને કેન્સલેશન પેટર્નના આધારે વેઈટિંગ ટિકિટની મર્યાદા નક્કી કરી શકે છે.