છત્તીસગઢમાં 21 દિવસના ઓપરેશનમાં 31 નકસલી ઠારઃ ‘કર્રેગુટ્ટાલુ હિલ્સ’ના રહસ્યો ખુલ્યા
‘નક્સલમુક્ત ભારત’ના સંકલ્પમાં ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરતા સુરક્ષા દળોએ છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કર્રેગુટ્ટાલુ હિલ (KGH) પર નક્સલવાદ વિરુદ્ધ અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશનમાં 31 નક્સલીઓને ઠાર કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કરેગુટ્ટાલુ ટેકરી, જે એક સમયે લાલ આતંકવાદ દ્વારા શાસિત હતી. હવે ગર્વથી ત્રિરંગો લહેરાવે છે. કરેગુટ્ટાલુ ટેકરી PLGA બટાલિયન 1, DKSZC, TSC અને CRC જેવા મુખ્ય નક્સલ સંગઠનોનું એકીકૃત મુખ્યાલય હતું. જ્યાં નક્સલ તાલીમ, તેમ જ વ્યૂહરચના અને શસ્ત્રોનું નિર્માણ થતું હતું. સુરક્ષા દળોએ આ સૌથી મોટું નક્સલ વિરોધી ઓપરેશન ફક્ત 21 દિવસમાં પૂર્ણ કર્યું છે અને આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોમાં કોઈ જાનહાનિ થઈ નથી.
16 મહિલા સહિત 29 નક્સલી કરી ઓળખ
બીજાપુર, છત્તીસગઢમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ડાયરેક્ટર જનરલ જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ, છત્તીસગઢના પોલીસ મહાનિર્દેશક અરુણ દેવ ગૌતમ અને છત્તીસગઢના ADG (નક્સલ વિરોધી કામગીરી) એ સંયુક્ત પત્રકાર પરિષદમાં આ કામગીરી વિશે વિગતવાર માહિતી આપી હતી. છત્તીસગઢ પોલીસ અને સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળો (CAPF) એ છત્તીસગઢ-તેલંગણા સરહદ પર નક્સલીઓનો અભેદ્ય ગઢ ગણાતા કર્રેગુટ્ટાલુ હિલ (KGH) પર 21 દિવસ દરમિયાન થયેલા 21 એન્કાઉન્ટર પછી 31 ગણવેશધારી નક્સલીઓના મૃતદેહ, જેમાં ગણવેશધારી 16 મહિલા નક્સલીઓનો સમાવેશ થાય છે, અને 35 શસ્ત્રો પણ કબજે કર્યા છે. અત્યાર સુધીમાં 28 નક્સલીની ઓળખ કરવામાં આવી છે. જેમના માટે કુલ 1 કરોડ 72 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
કેજીએચ અત્યંત મુશ્કેલ ડુંગરાળ પ્રદેશ છે
સુકમા અને બીજાપુરના સરહદી વિસ્તારો, જે નક્સલવાદીઓના ગઢ છે. જેમાં PLGA બટાલિયન, CRC કંપની અને તેલંગણા રાજ્ય સમિતિ જેવા સૌથી શક્તિશાળી સશસ્ત્ર સંગઠનોનો સમાવેશ થાય છે. તે ઘણા ટોચના કેડરોનું ઘર રહ્યું છે. આ વિસ્તારમાં, પડકારજનક પરિસ્થિતિઓમાં, સુરક્ષા દળોએ અસંખ્ય નવા સુરક્ષા કેમ્પ સ્થાપ્યા, જેનાથી તેમનું વર્ચસ્વ વધ્યું. પરિણામે, નક્સલવાદીઓએ એકીકૃત કમાન્ડની રચના કરી અને છત્તીસગઢના બીજાપુર અને તેલંગાણાના મુલુગુની સરહદ પર સ્થિત અભેદ્ય ગણાતા કર્રેગુટ્ટાલુ હિલ (KGH)માં આશ્રય લીધો હતો. KGH એક અત્યંત મુશ્કેલ ડુંગરાળ પ્રદેશ છે, જે લગભગ 60 કિમી લાંબો અને 5થી 20 કિમી પહોળો છે. જેનો ભૌગોલિક ભૂપ્રદેશ ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક છે. છેલ્લા અઢી વર્ષમાં, નક્સલવાદીઓએ આ વિસ્તારમાં પોતાનો આધાર સ્થાપિત કર્યો છે, જ્યાં PLGA બટાલિયનના ટેકનિકલ વિભાગ (TD યુનિટ) અને અન્ય મહત્વપૂર્ણ સંગઠનો સહિત લગભગ 300-350 સશસ્ત્ર કેડરોએ આશ્રય લીધો હતો.
સુરક્ષા દળોએ મોટી સંખ્યામાં વિસ્ફોટક સામગ્રી પ્રાપ્ત કરી
KGH ખાતેના આ ઓપરેશનમાં વિવિધ ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી ટેકનિકલ, માનવ ખાનગી માહિતી અને ફિલ્ડ ઇનપુટ્સના સંગ્રહ, સંકલન અને વિશ્લેષણ માટે એક બહુ-એજન્સી વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. એકત્રિત કરેલી ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને, ટીમે ઓપરેશનનું ઝીણવટભર્યું આયોજન કર્યું હતું. જેમાં તૈનાત દળોની તાકાત નક્કી કરવી, સતત ગતિશીલતાનું સમયપત્રક બનાવવું અને સમયસર બદલી ગોઠવવી સામેલ છે. ખાનગી માહિતીનું સતત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને ફિલ્ડ કમાન્ડરોને વાસ્તવિક સમયમાં મોકલવામાં આવ્યું હતું, જેના કારણે સુરક્ષા દળો નક્સલવાદી કાર્યકરો, તેમના છુપાવાનાં સ્થળો અને શસ્ત્રોના કેશો શોધી શક્યા હતા. સાથે સાથે ઘણી વખત ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)થી થતા જાનહાનિને રોકવામાં પણ મદદ મળી હતી. આ ઇન્ટેલિજન્સ પર કાર્યવાહી કરીને, સુરક્ષા દળોએ IED, BGL શેલ અને અન્ય વિસ્ફોટક સામગ્રીનો નોંધપાત્ર જથ્થો સફળતાપૂર્વક જપ્ત કર્યો હતો.
કુલ 214 નક્સલી ઠેકાણા અને બંકરનો સફાયો કર્યો
અત્યાર સુધીમાં આ કાર્યવાહીમાં કુલ 214 નક્સલી ઠેકાણા અને બંકરોનો નાશ કરવામાં આવ્યો છે અને શોધખોળ દરમિયાન કુલ 450 IED, 818 BGL શેલ, 899 કોડેક્સના બંડલ, ડેટોનેટર અને મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. આ ઉપરાંત, લગભગ 12,000 કિલોગ્રામ ખાદ્ય પુરવઠો પણ મળી આવ્યો છે. આ ઐતિહાસિક 21 દિવસના નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન મળેલી માહિતીના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે ઓપરેશન દરમિયાન ઘણા વરિષ્ઠ નક્સલ કેડર માર્યા ગયા હતા અથવા ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે, મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે, સુરક્ષા દળો હજુ સુધી તમામ ઘાયલ અથવા માર્યા ગયેલા નક્સલીઓના મૃતદેહ મેળવી શક્યા નથી. આ કાર્યવાહીના ભાગ રૂપે, સુરક્ષા દળોએ ચાર નક્સલી ટેકનિકલ યુનિટનો પણ નાશ કર્યો હતો. જેનો ઉપયોગ BGL શેલ, ઘરે બનાવેલા શસ્ત્રો, IED અને અન્ય ઘાતક શસ્ત્રોના ઉત્પાદન માટે થઈ રહ્યો હતો.
ચાર મહિનામાં 197 કટ્ટર નકસલીને ઠાર માર્યા
સુરક્ષા દળોએ 2025માં ચાલી રહેલા નક્સલ વિરોધી કામગીરીના ભાગ રૂપે છેલ્લા 4 મહિનામાં 197 કટ્ટર નક્સલવાદીઓને ઠાર કર્યા છે. 2014માં, 35 જિલ્લાઓ નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત હતા અને 2025 સુધીમાં, આ સંખ્યા ઘટીને ફક્ત 6 થઈ છે. નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 126 થી ઘટીને ફક્ત 18 થઈ ગઈ છે. 2014માં 76 જિલ્લાના 330 પોલીસ સ્ટેશનમાં 1080 નક્સલ ઘટનાઓ નોંધાઈ હતી. જ્યારે 2024માં 42 જિલ્લાના 151 પોલીસ સ્ટેશનમાં ફક્ત 374 ઘટનાઓ નોંધાઈ હતી. 2014માં નક્સલી હિંસામાં 88 સુરક્ષા કર્મચારી શહીદ થયા હતા, જે 2024માં ઘટીને 19 થયા હતા. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા 63થી વધીને 2089 થઈ ગઈ છે. 2024માં 928 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું અને 2025ના પહેલા ચાર મહિનામાં અત્યાર સુધીમાં 718 લોકોએ આત્મસમર્પણ કર્યું છે.