ખેદ હૈઃ પશ્ચિમ રેલવેમાં મુસાફરી કરવાનો હો તો જાણી લો બે નાઈટ ‘મહાબ્લોક’ની જાણકારી
મુંબઈઃ મુંબઈના માહિમ ખાતે બ્રિજના રી-ગર્ડરિંગને કારણે પશ્ચિમ રેલવેના કોરિડોરની 500થી વધુ ટ્રેનસેવા પર અસર થશે, જેમાં 334 ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે 180થી વધુ ટ્રેનને આંશિક રીતે રદ્દ કરવામાં આવશે, તેથી આગામી બે-ત્રણ દિવસમાં પશ્ચિમ રેલવેમાં મુસાફરી કરવાના હોતો ટાઈમટેબલ ચેક કરીને મુસાફરી કરવાનું ફાયદાકારક રહેશે. આવતીકાલના શુક્રવાર-શનિવાર અને શનિવાર-રવિવારના એમ બે નાઈટ બ્લોકને કારણે મોડી રાતથી લઈને વહેલી સવારથી બપોર સુધીની ટ્રેનો અનિયમિત રીતે દોડશે.
પશ્ચિમ રેલવેમાં માહિમ સ્થિત ખાડી ખાતે બ્રિજના રિ-ગર્ડરિંગને કારણે આવીતકાલે કૂલ મળીને 519 ટ્રેનની સર્વિસ પર અસર થશે, પશ્ચિમ રેલવેમાં 11-12 અને 12-3 એપ્રિલના વિશેષ નાઈટ બ્લોકને કારણે સેંકડો ટ્રેનસેવા પર અસર થશે. માહિમ અને બાંદ્રા સ્ટેશનની વચ્ચે પુલના રી-ગર્ડરિંગને કારણે અનેક લોકલ ટ્રેન અને લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનના શેડયૂલમાં અવરોધ આવી શકે છે. આ મુદ્દે પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે આવતીકાલે રાતના સાડા નવ કલાકનો બ્લોક રહેશે.
પહેલો બ્લોક 11 એપ્રિલના રાતના 11 વાગ્યાથી 12મી એપ્રિલના સવારના 8.30 વાગ્યા સુધી બ્લોક રહેશે, જ્યારે બીજો બ્લોક 12મી એપ્રિલના રાતના 11.30 વાગ્યાથી 13મી એપ્રિલના સવારના નવ વાગ્યા સુધી બ્લોક રહેશે. આ બ્લોક દરમિયાન મુંબઈની લોકલ ટ્રેનસેવા પર ગંભીર અસર થશે, જેમાં સ્લો અને ફાસ્ટ કોરિડોરની ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે કૂલ મળીને 334 ટ્રેન રદ્દ કરવામાં આવી છે, જેમાં 11 એપ્રિલના 132 અને 12 એપ્રિલના 202 ટ્રેનનો સમાવેશ થાય છે, જ્યારે 185 ટ્રેન આંશિક રીતે રદ્દ રહેશે, જેમાં 68 પહેલા અને બીજા દિવસે 117 ટ્રેનનો સમાવેશ થાય છે. વિશેષ સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવે 110 વધુ ટ્રેન પર દોડાવશે, 11 એપ્રિલના 42 અને 12 એપ્રિલના 68 ટ્રેન દોડાવવામાં આવશે. જોકે, લાંબા અંતરની નવ ટ્રેન આંશિક રીતે રદ્દ રહેશે, જ્યારે 11 અન્ય ટ્રેનને રેગ્યુલેટ અથવા રી-શેડયૂલ કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
11-12 એપ્રિલ અને 12-13 એપ્રિલના રાતના માહિમ અને બાંદ્રા સ્ટેશનની વચ્ચે બ્લોકને કારણે અમુક ટ્રેનોને મહાલક્ષ્મી, લોઅર પરેલ, પ્રભાદેવી, માટુંગા રોડ, માહિમ અને ખાર રોડ સ્ટેશન પર હોલ્ટ રહેશે. તમારી યોજના પ્રમાણે ટ્રાવેલ કરવાનું હિતાવહ રહેશે. પશ્ચિમ રેલવે ચર્ચગેટથી પાલઘર જિલ્લાના દહાણુ રોડ સુધી રોજની 1,400થી વધુ ટ્રેન સર્વિસીસ છે, જ્યારે 100થી વધુ એસી લોકલ ટ્રેનનો સમાવેશ થાય છે.