હવે શ્રીનગરથી કટરાની મુસાફરી 3 કલાકમાં પૂરી થશે, ક્યારથી શરુ થશે વંદે ભારત?
જમ્મુ કાશ્મીરમાં ભારતીય રેલવેના મંડાણ તો થઈ ચૂક્યા છે, પરંતુ હવે સ્પીડ યુગનો પણ ઉમેરો થઈ રહ્યો છે. રાજ્યમાં યુએસબીઆરએલ પ્રોજેક્ટને કારણે હવે કટરાથી શ્રીનગર ગણતરીના કલાકોમાં પહોંચવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ યોજનાના ભાગરુપે 19 એપ્રિલના કટરાથી શ્રીનગર વચ્ચેની વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપશે, એમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું.
USBRL પ્રોજેક્ટ પછી ઘણા વર્ષોની રાહનો અંત આવશે. જમ્મુ અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ચલાવવાથી ઘણા કલાકોનો સમય બચશે. કટરાથી શ્રીનગરની મુસાફરી હવે ફક્ત 3 કલાકમાં થશે. હાલમાં રોડ માર્ગે મુસાફરી કરવામાં 6થી 7 કલાકનો સમય લાગે છે. હાલમાં કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ચલાવવાનું આયોજન છે. હાલમાં, કાશ્મીર ખીણમાં શ્રીનગરથી સાંગલદાન સુધી ટ્રેનો ચલાવાય છે. હવે, સાંગલદાનથી કટરા સુધીની રેલવે લાઈન શરુ કરવામાં આવ્યા પછી આ ટ્રેનો કટરા સુધી દોડાવી શકાશે.
USBRL પ્રોજેક્ટ: ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક) કાઝીગુંડ-બારામુલ્લા સેક્શન વર્ષ 2009માં શરૂ કરવામાં આવ્યો હતો. 2013માં 18 કિમી બનિહાલ-કાઝીગુંડ સેક્શન, વર્ષ 2014માં 25 કિમી ઉધમપુર-કટરા, વર્ષ 2023માં બનિહાલથી સાંગલદાન અને હવે સાંગલદાનથી કટરા વચ્ચે શરૂ થવા જઈ રહ્યું છે. વિશ્વનો સૌથી ઊંચો રેલ આર્ચ બ્રિજ – ચેનાબ બ્રિજ આ પ્રોજેક્ટનો એક ભાગ છે. હવે આ જ ટનલ, પુલ અને ખીણની વચ્ચેથી ટ્રેન પસાર થતા આ મુસાફરી લોકોની વધુ શાનદાર બનશે. એટલે આગામી દિવસોમાં શ્રીનગરથી કટરા-વૈષ્ણોદેવી પહોંચવાનું વધુ ઝડપી બની શકશે, જ્યારે વંદે ભારતમાં કાશ્મીરનો નજારો જોવાનું પ્રવાસીઓ માટે મુસાફરી યાદગાર સાબિત થઈ શકે છે.
આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિહે કહ્યું હતું કે કાશ્મીરમાં 19મી એપ્રિલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લેશે.એ વખતે પીએમ મોદી પહેલા ઉધમપુર પહોંચશે. ઉધમપુર પહોંચ્યા પછી દુનિયાના સૌથી ઊંચા રેલવે પુલનું નિરીક્ષણ કરશે, ત્યારબાદ તેનું ઉદ્ઘાટન કરશે. વડા પ્રધાન મોદી કટરાથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. વંદે ભારત ટ્રેન શરુ થવાને કારણે કાશ્મીરના લોકોને વંદે ભારત ટ્રેનની સુવિધા મળશે. જોકે, મહત્વાકાંક્ષી રેલ લિંક પ્રોજેક્ટ વર્ષ 1997માં શરૂ થયો હતો, પરંતુ પડકારરૂપ ભૂસ્તરશાસ્ત્રીય, ટોપોગ્રાફિક અને હવામાનશાસ્ત્રીય પરિસ્થિતિઓને કારણે ઘણા વિલંબનો સામનો કરવો પડ્યો હતો. પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં કુલ 119 કિમીમાં ફેલાયેલી 38 ટનલનો સમાવેશ થાય છે, જેમાં 12.75 કિમી લાંબી ટનલ T-49નો સમાવેશ થાય છે, જે ભારતની સૌથી લાંબી પરિવહન ટનલ છે.
અહીં એ જણાવવાનું કે આ સેક્શનમાં આ ઉપરાંત, તેની પાસે 13 કિલોમીટરમાં ફેલાયેલા કુલ 927 પુલ છે, જેમાંથી આઇકોનિક ચિનાબ બ્રિજ સૌથી અલગ છે. 467 મીટરની કમાન સાથેનો 1,315 મીટર લાંબો પુલ નદીના પટથી 359 મીટર ઉપર ઉભો છે – જે તેને એફિલ ટાવર અને વિશ્વના સૌથી ઊંચા કમાનવાળા રેલવેના પુલ કરતા 35 મીટર ઊંચો છે.