મહારાષ્ટ્રના આ ગામમાં છે મારુતિની ગાડીઓ ‘બેન’, જોતા જ લોકો કરે છે તોડફોડ… જાણો શું છે કારણ…
હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને? પણ આ હકીકત છે. મહારાષ્ટ્રમાં આવેલા એક ગામમાં મારુતિની ગાડીઓ બેન છે અને એટલું જ નહીં અને મહાબલિ હનુમાનની પૂજા કરવી કે નામ કરવું એ પણ પાપ માનવામાં આવે છે. આ ગામના લોકો રામ ભક્ત હનુમાનના કટ્ટર શત્રુ નિંબા દૈત્યની પૂજા કરે છે વાત કરીએ મારુતિની કાર આ ગામમાં બેન કેમ કરાઈ છે એની તો હનુમાનજીનું બીજું નામ મારુતિ પણ છે. આ જ કારણે અહીંના લોકો મારુતિની ગાડીઓ નથી લેતા. આ ગામના લોકો એ ગામમાં પોતાની દીકરીઓના લગ્ન નથી કરાવતા જ્યાં ભગવાન હનુમાનજીની પૂજા કરવામાં આવતી હોય. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને આ ગામ વિશે જણાવીએ-
નિંબા દૈત્યને લોકો આદિપુરુષ માની કરે છે પૂજા
અમે અહીં જે ગામની વાત કરી રહ્યા છીએ એ મુંબઈથી 350 કિલોમીટર દૂર આવેલા અહેમદનગરમાં સ્થિત છે. આ ગામ પાથર્ડી તાલુકામાં આવેલું છે, જેનું નામ છે નાંદુર. આ ગામના લોકો નિંબા દૈત્યને જ આદિપુરુષ માને છે અને તેમની પૂજા કરે છે. આ ગામમાં ચારે બાજુ નિંબા દૈત્યનું રાજ જોવા મળે છે અને અહીં હનુમાનનું નામ લેવું પણ ઘોર પાપ માનવામાં આવે છે. હનુમાન, બજરંગબલિ, મારુતિ જેવા નામથી આ ગામના લોકો નફરત કરે છે.
નિંબા દૈત્યએ ભગવાન રામનું શરણું સ્વીકાર્યું હતું
આ પાછળ એક એવી લોકવાયકા પ્રચલિત છે કે ભગવાન હનુમાન જે પર્વતને સંજીવની જડીબુટ્ટી માટે ઉઠાવીને લાવ્યા હતા તે અહીં જ આવેલું હતું. આ કારણે અહીંના લોકો હનુમાનજીથી નારાજ છે. આ સિવાય એક બીજી લોકવાયકા એવી પણ છે કે એક વખત હનુમાનજી અને નિંબા દૈત્ય વચ્ચે ધમાસણ યુદ્ધ થયું. યુદ્ધમાં બંને જણ ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. નિંબા દૈત્ય ભગવાન રામનું શરણુ સ્વીકારે છે.
ગામમાં ક્યારેય કોઈ હનુમાનનું મંદિર નહીં બનાવે
ભગવાન રામ શરણે આવેલા નિંબા દૈત્યને સહાય કરે છે અને તેમને વરદાન આપે છે કે આ ગામમાં તારું મંદિર બંધાશે અને લોકો આ સાંભળીને નિંબા દૈત્ય કહે છે કે તમે હનુમાનજીને દરેક ગામમાં તારું મંદિર બંધાશે એવું વરદાન આપ્યું છે, તો આ કઈ રીતે શક્ય બનશે? જેના જવાબમાં ભગવાન રામે કહ્યું કે આ ગામ તારું જ રહેશે. આ ગામમાં ક્યારેય હનુમાનનું મંદિર પણ નહીં બનાવવામાં આવે કે ન તો અહીંના લોકો ક્યારેય હનુમાનનું નામ સ્મરણ કરશે.
ગમે તે ગાડી લઈ જઈ શકે પણ મારુતિ નહીં
રામાયણના સમયથી ચાલી આવેલી આ પરંપરા ગામના લોકો આજે પણ અનુસરે છે અને આ ગામમાં કોઈ પોતાના સંતાનનું નામ મારુતિ કે હનુમાનજીના બીજા નામ પરથી રાખે. એટલું જ નહીં પણ આ ગામમાં જો કોઈના ઘરે મારુતિ કે હનુમાનના બીજા નામ ધરાવતી વ્યક્તિ આવે છે એમને ગામના લોકો નામથી બોલાવતા પણ નથી. આ ગામમાં તમે કોઈ પણ બ્રાન્ડની ગાડી લઈને જઈ શકો છો પણ મારુતિની ગાડીઓ અહીં બેન છે. જો કોઈ વ્યક્તિ આ ગામમાં મારુતિની ગાડી લઈને એન્ટ્રી કરે છે તો ગામવાસીઓ આ ગાડીની તોડફોડ કરે છે, કારણ કે હનુમાનજીનું બીજું નામ મારુતિ છે.