July 1, 2025
ગુજરાતટોપ ન્યુઝ

PM Modi આજે ગુજરાતમાંઃ સ્પેનિશ PM સાથે વડોદરામાં એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે

Spread the love

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી ગુજરાતની મુલાકાતે છે. આ અગાઉ ગુજરાતના કચ્છમાં ભુજ-અમદાવાદ વંદે મેટ્રો અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન શરુ કરવામાં આવી હતી, ત્યાર બાદ આજે પીએમ મોદી વડોદરા અને અમરેલીની મુલાકાત લેશે. પીએમ મોદી સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝ સાથે મળીને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદઘાટન કરશે. સી-295 પ્રોગ્રામ હેઠળ કુલ 56 એરક્રાફ્ટ છે, જેમાંથી 16 વિમાન સીધા સ્પેનથી એરબસ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે અને બાકીના 40 એરક્રાફ્ટ ભારતમાં બનાવવામાં આવશે.
ટીએએસએલ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન થશે
ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ ભારતમાં આ 40 વિમાન બનાવવામાં આવશે. આ સુવિધા ભારતમાં સૈન્ય વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન (એફએએલ) હશે. તેમાં ઉત્પાદનથી લઈને એસેમ્બલી અને પરીક્ષણ એરક્રાફ્ટની સંપૂર્ણ જીવનચક્રની ડિલિવરી અને જાળવણી સુધીની સંપૂર્ણ ઇકોસિસ્ટમના સંપૂર્ણ વિકાસનો સમાવેશ થાય છે. વડા પ્રધાન મોદી અમરેલીનાં દુધાળામાં ભારત માતા સરોવરનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડેલ હેઠળ ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન વચ્ચેના સહયોગથી વિકસાવવામાં આવ્યો હતો. ધોળકિયા ફાઉન્ડેશને ચેકડેમમાં સુધારો કર્યો હતો, જે મૂળભૂત રીતે આ ડેમમાં 4.5 કરોડ લિટર પાણી રહી શકતું હતું, પરંતુ તેને મજબૂત કર્યા પછી તેની ક્ષમતા વધીને 24.5 કરોડ લિટર થશે.
અમરેલીમાં 4,900 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
પીએમ મોદી એક જાહેર સમારંભમાં ગુજરાતનાં અમરેલીમાં આશરે રૂ. 4,900 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ યોજનાઓથી રાજ્યના અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના નાગરિકોને લાભ થશે. PM મોદી 2,800 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રોડ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને શિલાન્યાસ કરશે, જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવશે તેમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 151, રાષ્ટ્રીય રાજમાર્ગ 151એ અને રાષ્ટ્રીય રાજમાર્ગ 51 અને જૂનાગઢ બાયપાસના વિવિધ વિભાગોને ચાર માર્ગીય બનાવવાનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લાના ધ્રોલ બાયપાસથી મોરબી જિલ્લાના આમરણ સુધીના બાકીના વિભાગના ચાર માર્ગીય પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.
ભુજ-નલિયા રેલ ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું ઉદ્ધાટન
વડા પ્રધાન મોદી આશરે રૂ.1,100 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ભુજ-નલિયા રેલ ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ વિસ્તૃત પ્રોજેક્ટમાં 24 મુખ્ય પુલો, 254 નાના પુલો, 3 રોડ ઓવરબ્રિજ અને 30 રોડ અંડરબ્રિજ છે અને તે કચ્છ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસને વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. અમરેલી જિલ્લામાંથી પાણી પુરવઠા વિભાગના 700 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવશે તેમાં નવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન સમાવિષ્ટ થાય છે, જે 36 શહેરો અને બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના 1,298 ગામોના અંદાજે 67 લાખ લાભાર્થીઓને વધારાનું 28 કરોડ લિટર પાણી પૂરું પાડશે. ભાવનગર જિલ્લામાં પાસવી ગ્રુપ ઓગમેન્ટેશન વોટર સપ્લાય સ્કીમ ફેઝ-2નું ભૂમિપૂજન પણ કરવામાં આવશે, જેનો લાભ ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા અને પાલિતાણા તાલુકાના 95 ગામોને મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!