Vande Bharat Sleeper Train: રાજધાની ટ્રેનને ટક્કર આપશે વંદે ભારત સ્લીપર ટ્રેન?
નવી દિલ્હીઃ દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મળેલી સફળતા પછી નવા વર્ઝનમાં વંદે ભારત સ્લીપર ટ્રેન લોન્ચ કરવા માટે ઈન્ડિયન રેલવે સમર્થ બની છે. આ યોજનાના ભાગરુપે ટૂંક સમયમાં દેશમાં વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવવામાં આવશે. પંદર ડિસેમ્બર સુધી ટ્રેનને શરુ કરવાની યોજના છે અને એના ટેસ્ટિંગ અને ટ્રાયલ માટે લખનઊ આરડીએસઓ મોકલવામાં આવશે. હાલમાં 78 વંદે ભારત ટ્રેન દેશમાં ઈન્ટરસિટી એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવે છે. વંદે ભારત સ્લીપર ટ્રેન રાજધાની એકસપ્રેસના માફક એસી (એર કન્ડિશન્ડ) હશે, જેમાં 16 સ્લીપર કોચ હશે. લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનના માફક તૈયાર કરવામાં આવી છે, જે ભવિષ્યમાં રાજધાની ટ્રેનને પણ ટક્કર આપે તો નવાઈ નહીં.
પેસેન્જર કેપેસિટી 823 હશે
રાજધાની માફક તૈયાર કરવામાં આવેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને 120 કરોડ ખર્ચે તૈયાર કરવામાં આવી છે. વંદે ભારત સ્લીપર ટ્રેનની ડિઝાઈન આઈસીએફના એન્જિનિયર દ્વારા કરવામાં આવી છે, જ્યારે રેકનું નિર્માણ કાર્ય બીઈએમએલ દ્વારા કર્યું છે. એક રેકમાં થર્ડ એસીના અગિયાર, સેકન્ડ એસીના ચાર અને ફર્સ્ટ ક્લાસનો એક કોચ હશે, જ્યારે ટ્રેનની પેસેન્જર કેપેસિટી 823 પ્રવાસીની હશે. સુરક્ષાની દૃષ્ટિએ અકસ્માત અવરોધક ટ્રેનમાં કવચ (સુરક્ષા પ્રણાલી)થી સજ્જ છે.
ટ્રાવેલ ટાઈમમાં થઈ શકે બચત
વંદે ભારત સ્લીપર ટ્રેન કલાકના 160 કિલોમીટરની રફતારથી દોડાવી શકાશે. રાજધાની એક્સપ્રેસની તુલનામાં ઝડપથી સ્પીડ પકડી શકશે, તેથી પેસેન્જરના ટ્રાવેલ ટાઈમમાં બચત થવાની શક્યતા રહેશે. વંદે ભારત સ્લીપર ટ્રેનના ઈન્ટિરિયરની વાત કરીએ તો અન્ય ટ્રેનના કરતા બર્થમાં બેડ્સને કુશનિંગ સાથે ડિઝાઈન કરી છે, જે રાજધાની કરતા પણ વધુ સારું હશે. દરેક બેડની બાજુમાં પણ એક્સ્ટ્રા કુશનિંગ હશે. અપર બર્થના પ્રવાસીને ચઢ-ઉતર કરવા માટે સરળ સીડી હશે, જેથી તકલીફ પડે નહીં.
વંદે ભારત સ્લીપર ટ્રેન ઓટોમેટિક
વંદે ભારત સ્લીપર ટ્રેન એક ઓટોમેટિક ટ્રેન છે. બંને બાજુ ડ્રાઈવરની કેબિન છે. ટ્રેનને ખેંચવા માટે લોકોમોટિવની જરુરિયાત હોતી નથી. રાજધાની એક્સપ્રેસને લોકોમોટિવની જરુરિયાત રહે છે. આધુનિક ડિઝાઈનને કારણે લાસ્ટ સ્ટેશને ટર્નઅરાઉન્ડ ટાઈમમાં બચત થાય છે. ટ્રેનના દરવાજા ઓટોમેટિક છે, જ્યારે તેને ડ્રાઈવર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. કોચની વચ્ચે પણ ઓટોમેટિક ઈન્ટરકનેક્ટિંગ ડોર છે, જેથી પ્રવાસીની સુવિધા-સુરક્ષામાં વધારો થયો સમજો. છેલ્લે રાજધાની ટ્રેનના માફક વંદે ભારત સ્લીપર ટ્રેનમાં જર્ક લાગવાની શક્યતા ઓછી રહેશે.