July 1, 2025
ગુજરાતમની મેનેજમેન્ટ

ગુજરાતમાં પોસ્ટ વિભાગે વગાડ્યો ડંકોઃ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી 33 લાખથી વધુ ખાતા કાર્યરત

Spread the love

અમદાવાદઃ બેંકિંગ ક્ષેત્રના વધતા કાર્યક્ષેત્ર વચ્ચે પોસ્ટ વિભાગ દ્વારા પણ વિવિધ યોજનાઓને લઈ દેશના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી રહી છે. ગુજરાતમાં પણ વ્યાપ વધારવામાં આવ્યો છે, જેમાં ઈન્ડિયા પોસ્ટ્સ પેમેન્ટસ બેંક (આઈપીપીબી) અંતર્ગત 33 લાખથી વધુ એકાઉન્ટ એક્ટિવેટ કરવામાં આવ્યુ હોવાનું જણાવ્યું હતું.
આપકા બેંક, આપકે દ્વાર યોજના સફળ
ગુજરાતમાં પોસ્ટ વિભાગના ઉપક્રમ તરીકે સ્થપાયેલી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે ‘આપકા બેંક, આપકે દ્વાર’ને પ્રોત્સાહન આપીને તેની 6 વર્ષની સફરમાં ઘણા નવા આયામો સર કર્યાં છે. આજે તે ગ્રામીણ વિસ્તારોમાં નાણાકીય અને ડિજિટલ ઈન્ડિયાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી સરળતાથી પહોંચાડવામાં સફળ રહી છે, એમ અમદાવાદના ઉત્તર ગુજરાત રિજનના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે ‘ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક’ના 7મા સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ જીપીઓ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.
1.19 લાખ લોકોને વીમા કવચ
IPPBની શરૂઆત 1 સપ્ટેમ્બર, 2018ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં કરવામાં આવી હતી. ગુજરાત સર્કલમાં 33 લાખથી વધુ IPPB ખાતાઓ કાર્યરત છે. વર્તમાન નાણાકીય વર્ષમાં ગુજરાતમાં IPPBએ અત્યાર સુધીમાં 1.19 લાખ લોકોને સામાન્ય સુરક્ષા વીમો, CELC હેઠળ 1.80 લાખ લોકોને ઘર આધારિત મોબાઇલ અપડેટ અને 2571 બાળકોની ઘર આધારિત આધાર નોંધણી પ્રદાન કરી છે. 15 લાખથી વધુ લોકોને અંદાજે 242 કરોડ રૂપિયાની ડીબીટી ચુકવણી કરવામાં આવી હતી.
આઈપીપીબી મોબાઈલ બેન્કિંગ તરીકે કાર્યરત
પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો IPPB દ્વારા મોબાઈલ બેંક તરીકે કામ કરે છે. IPPB પોસ્ટમેન દ્વારા 5 વર્ષ સુધીના બાળકોની આધાર નોંધણી અને CELC સેવા દ્વારા મોબાઇલ અપડેટ, ડિજિટલ જીવન પ્રમાણપત્ર, DBT, આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ, બિલ ચુકવણી, વાહન વીમો, આરોગ્ય વીમો, અકસ્માત વીમો, પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરે સુવિધાઓ નાગરિકોને ઘરે-ઘરે પહોંચાડે છે.
તમે પણ પોસ્ટની વિવિધ યોજનામાં ખાતું ખોલાવી શકો
જો તમારી પાસે IPPBમાં ખાતું હોય તો પોસ્ટ ઓફિસના સુકન્યા, RD, PPF, પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સમાં પણ ઓનલાઈન ડિપોઝીટ કરી શકાય છે. આઈપીપીબી એવા લોકોના જીવનને સુધારવા માટે પ્રતિબદ્ધ છે જેમની પાસે વીમા અને અન્ય નાણાકીય સેવાઓની સરળ ઍક્સેસ નથી. આ પ્રસંગે પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે IPPBના સ્વતંત્ર નિયામક જયશ્રી વ્રજલાલ દોશી, IPPBના AGM ડૉ. રાજીવ અવસ્થી, ચીફ મેનેજર શ્રી કપિલ મંત્રી, ચીફ પોસ્ટ માસ્તર શ્રી રિતુલ ગાંધી સાથે કેક કાપીને કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત કામ કરનારા કાર્યકરોનું સન્માન પણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!