બદરીનાથ-રુદ્રપ્રયાગ હાઈ-વે પર મોટો અકસ્માતઃ ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબકતા 12નાં મોત
બદરીનાથઃ ઉત્તરાખંડના બદરીનાથ-રુદ્રપ્રયાગ હાઈ-વે પર ભીષણ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટેમ્પો ટ્રાવેલરે કાબૂ ગુમાવતા નદીમાં ટેમ્પો પડ્યો હતો. આ અકસ્માતમાં 12 લોકોનાં મોત થયા હોવાનું સ્થાનિક અહેવાલમાં જણાવ્યું હતું.
ઉત્તરાખંડના બદરીનાથ-રુદ્રપ્રયાગ હાઈ-વે પર એક ટેમ્પો ચાલકે નિયંત્રણ ગુમાવતા અલકનંદા નદીમાં ટેમ્પો પડ્યો હતો. દિલ્હીથી ચોપટા લોકો જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા. આ ટેમ્પો ટ્રાવેલરમાં 23 લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં 12 લોકોનાં મોત થયા છે, જ્યારે આઠ જણને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત પછી સ્થાનિક પ્રશાસન દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતક અને પીડિતોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં અમુક લોકો ગૂમ થયા છે તેમને પણ શોધવાની કામગીરી ચાલુ છે.
આ અકસ્માત બદરીનાથ હાઈ-વેના રેંતોલી નજીક થયો. ટેમ્પો ટ્રાવેલરના ચાલકે નિયંત્રણ ગુમાવતા નદીમાં ટેમ્પો સમાઈ ગયો હતો. આ ઘટના પછી ટેમ્પોમાં મુસાફરી કરનારા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી, જ્યારે આસપાસના લોકોને જાણ થયા પછી પોલીસ પ્રશાસનને જાણ કરી હતી.
મળતી માહિતી અનુસાર આ બનાવ આજે સવારે બન્યો હતો, જ્યારે ટેમ્પો ટ્રાવેલરમાં લગભગ 23 પ્રવાસી હતા. 12 લોકોના મોત થયા છે. બનાવ બાદ રેસ્ક્યૂ ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હતી. આમ છતાં નદીમાં પાણીનો પ્રવાહ ઝડપી હોવાને કારણે ઓપરેશનમાં મુશ્કેલી ઊભી થઈ હતી.
સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસે કહ્યું હતું કે આ બનાવ પછી એસડીઆરએફની ટીમને બચાવ કામગીરી માટે મોકલી હતી. આ બનાવ મુદ્દે ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ દુખ વ્યક્ત કર્યું હતું. સોશિયલ મીડિયા પર પુષ્કરસિંહ ધામીએ લખ્યું હતું કે રુદ્રપ્રયાગમાં સર્જાયેલો અકસ્માત અત્યંત પીડાદાયક છે. સ્થાનિક પ્રશાસન અને એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હતી, જ્યારે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
