Election Result: N.D.A.ની જીત, પણ I.N.D.I. ગઠબંધનની મોટી જીત
ભારતીય જનતા પાર્ટી પાસે સ્પષ્ટ બહુમત નહીં હોવા છતાં મોદી બનશે પીએમ, જાણો સમીકરણો
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામ પછી દેશના બંને ગઠબંધન (N.D.A.) અને I.N.D.I. ગઠબંધન દ્વારા સત્તામાં આવવા માટે બેઠકોનો દોર ચાલુ થઈ ગયો છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધને સત્તામાં આવવા માટે 272 સીટની સ્પષ્ટ બહુમતી પાર કરી લીધી છે. ભાજપ 240 સીટ મેળવીને સરકાર બનાવવા માટે 272 સીટ પ્રાપ્ત કરી શક્યું નથી, પરંતુ સાથી પક્ષ ટીડીપી, જનતા દળ યુનાઈટેડ (જેડેયુ), શિવસેના (એકનાથ શિંદે) સહિત અન્ય પાર્ટી સાથે મળીને સરકાર બનાવવવાના ચાન્સ છે.
આમ છતાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સત્તાધારી પાર્ટીએ ચૂંટણી પહેલા 400 પારનો નારો આપ્યો હતો એ તદ્દન ખોટો પડ્યો છે. એની સામે કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધને અનપેક્ષિત જીત મેળવી છે. સાથી પક્ષોને સાથે રાખીને મોદી સરકારને સત્તામાંથી ઉથલાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે, પરંતુ ભાંગફોડ કરીને હવે કોંગ્રેસનું ગઠબંધન પણ સરકાર બનાવવા માટે તમામ પ્રયાસો કરી શકે છે.
મોદી સરકાર બનાવે તેના ઉજળા સંકેતો છે, જેમાં ભાજપ એકલા હાથે 240 સીટ લાવ્યું છે, જ્યારે સામે પક્ષે કોંગ્રેસે આગેવાની લઈને ગઠબંધન બનાવ્યું એ 99 સીટ પર અટકી ગયું છે. આ અગાઉ એનડીએ ગઠબંધન સત્તામાં રહ્યું છે, પણ કોંગ્રેસના ગઠબંધનમાં તમામ બિગ પાર્ટી અને નેતાઓ છે. એનડીએ ગઠબંધનમાં ભાજપની 240, નીતીશ કુમારની 12 (જનતા દળ યુનાઈટેડ)ની છે, જ્યારે ચંદ્રબાબુ નાયડુની 16 સીટનો સમાવેશ થાય છે. ઉપરાંત, શિવસેના (એકનાથ શિંદે)ની સાત, એનસીપીની એક અને જનસેવાની બે સીટ મળી છે. એનડીએના સહયોગી સાથે તાલમેલ રહ્યો તો મોદીને સરકાર બનાવતા કોઈ રોકી શકશે નહીં.
વડા પ્રધાન મોદીએ ભાજપના કાર્યકરોને સંબોધતા પણ કહ્યું હતું કે જનતા જનાર્દનના સહકારથી એનડીએને જીત મળી છે અને હવે એનડીએ જ સરકાર બનાવશે. ત્રીજી ટર્મમાં રિપીટ થવાના સંકેતો સાથે મોદીએ કહ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણ માટે સત્તામાં કોઈ પણ પાર્ટીની દરકાર કર્યા વિના તમામ રાજ્યોની સાથે મળીને કામ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી પહેલા તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ ત્રણ વખત વડા પ્રધાન બન્યા હતા. સૌથી ચોંકાવનારા રિઝલ્ટમાં આ વખતે મોદી જીતી ગયા પણ ઓછા માર્જિનની લોકોએ નોંધ લીધી. આમ છતાં વિપક્ષની એકતાએ એડી ચોટીનું જોર લગાવ્યું એ કામે આવ્યું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ચાહે ભારત જોડો યાત્રા, નમતું જોખીને સાથીપક્ષો સાથે તાલમેલ રાખવાની નીતિ હોય કે પછી સત્તાધારી પાર્ટીની ઈડી, સીબીઆઈ વગેરે એજન્સીનો વધારે પડતો ઉપયોગ કરીને લોકોએ અણગમો વ્યક્ત કર્યો છે. ચૂંટણીમાં જીવનાવશ્ક મુદ્દાઓની બાજુએ રાખીને ફક્ત વિપક્ષ પર દોષારોપણ નીતિ ભાજપને ભારે પડી છે.
ભૂલો વચ્ચે પણ આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સત્તામાં આવે એટલા મત તો મતદારોએ આપ્યા છે. જાણીએ 292 બેઠક સાથે એનડીએના સાથી પક્ષોએ કેટલી સીટ મેળવી. ભાજપ 240, ટીડીપી 16, જેડે (યુ) 12, શિવસેના સાત, એલજેપીઆરવી (લોકજનશક્તિ પાર્ટી રામ વિલાસ) પાંચ, જેડે (એસ) 2, જેએસપી (જનસેના પાર્ટી), જ્યારે ઓલ ઝારખંડ સ્ટુન્ડન્ટસ યુનિયન પાર્ટી, એનસીપી, હિન્દુસ્તાન અવામ મોરચા, અપના દલ (સોનેલાલ) અને આસામ ગણ પરિષદ વગેરે પાર્ટીને એક-એક બેઠક મળી છે.
સામે પક્ષે ઈન્ડિ ગઠબંધનને 234માં સૌથી વધુ 99 બેઠક સાથે કોંગ્રેસ નંબર વન છે. એના પછી સમાજવાદી પાર્ટી 37, ટીએમસી 29, ડીએમકે 22, ઉદ્ધવ ઠાકરે શિવસેના નવ, એનસીપી આઠ, સીપીએમ-આરજેડી ચાર-ચાર, આમ આદમી પાર્ટી અને જેએમએમને ત્રણ-ત્રણ બેઠક મળી છે. આ ઉપરાંત, અપક્ષ સાથે અન્ય નાના પક્ષોની 17 બેઠક થઈ છે. બીજી બાજુ એક્ઝિટ પોલ અને જ્યોતિષીઓ સાથે સટ્ટા બજારના જાહેર કરવામાં આવેલા આંકડા પણ ખોટા પડ્યા છે.
ગઠબંધન પક્ષોની જીતેલી બેઠક
પક્ષ 2024 2019
એનડીએ (NDA) BJP 292 353
ઈન્ડિ (I.N.D.I.A.) 234 91
અન્ય 17 99
