સાચવજો, આગામી ત્રણ દિવસ મુંબઈ, થાણે, પાલઘરમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી
મુંબઈ: રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં આકરી ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આજે અને આવતીકાલે મુંબઈ જ્યારે થાણે, રાયગઢ, પાલઘર અને રત્નાગિરીમાં બુધવાર સુધી એટલે કે આગામી ત્રણ દિવસ વરસાદ પડવાનો અંદાજ હવામાન ખાતા દ્વારા કરવામાં આવ્યો છે.
છેલ્લાં કેટલાય દિવસના મુંબઈ અને ઉપનગરના હવામાનની વાત કરીએ તો શહેરમાં અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. આ સિવાય નાગરિકો રાતે પણ પારાવાર ઉકળાટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દરમિયાન હાલમાં વિરૂદ્ધ દિશામાંથી ફૂંકાઈ રહેલા સુક્કા અને ભેજવાળા પવનને કારણે મુંબઈ, થાણે અને પાલઘર વિસ્તારમાં હળવા વરસાદનો અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો છે.
મુંબઈમાં આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાન 31 ડિગ્રીથી 35 ડિગ્રીની વચ્ચે રહેશે. ગઈકાલે કોલાબા ખાતે 33.8 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે સાંતાક્રુઝ ખાતે 33.9 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉષ્ણતામાન નોંધાયું હતું. મુંબઈગરા છેલ્લાં કેટલાય દિવસથી આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે.
એપ્રિલ તેમ જ મે મહિનામાં કેટલીય વખત હવામાન ખાતા દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી હતી અને નાગરિકોને જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવાની તેમ જ લુથી પોતાની જાતને બચાવવાની ભલામણ પણ કરવામાં આવી હતી. રાજ્યની વાત કરીએ સંપૂર્ણ રાજ્યમાં શુક્રવારે હિટ સ્ટ્રોકના 200 જેટલા કેસ જોવા મળ્યા હતા.
મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભના અનેક વિસ્તારમાં રવિવાર, સોમવાર, મંગળવાર અને બુધવારે વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. શનિવારે મુંબઈના પવઈ, વિક્રોલીમાં હળવો તેમ જ મહારાષ્ટ્રના નાશિક, પુણે ખાતે ધોધમાર વરસાદ પડ્યો હોવાની માહિતી મળી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.
જોકે, આગામી દિવસમાં જો વરસાદ પડે તો આકરી ગરમી-હિટવેવમાંથી રાહત મળી શકે છે, એમ પણ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. જો વરસાદ પડે તો સરેરાશ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીની વધઘટ થઈ શકે છે.