દિગ્વિજય સિંહે રાજકારણ છોડ્યું: 80 વર્ષની ઉંમરે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ, હવે કરશે ધર્મરક્ષા
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહની અચાનક મોટી જાહેરાત; દશેરાએ અયોધ્યા યાત્રા કાઢશે, કહ્યું- ‘હવે બીજાને તક આપો’
રાજકારણ હોય કે ફિલ્મ કે પછી પોતાનું મનપસંદ ક્ષેત્ર પણ નિવૃત્તિ તો જરુરી છે. ફિલ્મ ક્ષેત્રે અમિતાભ બચ્ચન હોય કે રાજકારણમાં શરદ પવાર પણ એક તબક્કે તો તમારે તમારી લિમિટ નક્કી કરવાની છે પણ પૈસા, પદ અને પ્રતિષ્ઠા કદાચ કોઈને 100 વર્ષ પછી પણ એક રતિભાર ઓછું કરવાનું ગમતું નથી. પણ આ ભારતીય રાજકારણ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે મંગળવારે અચાનક સક્રિય રાજકારણ છોડવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ હવે ધર્મરક્ષાનું કામ કરશે.
દશેરાના દિવસે યાત્રા કાઢશે
તેમણે કહ્યું કે પાર્ટીએ તેમને અનેક મોટા પદ આપ્યા છે પણ હવે તેઓ બીજાને તક આપવા માગે છે અને દશેરા વખતે અયોધ્યા યાત્રા કાઢવાની જાહેરાત કરી હતી. દિગ્વિજય સિંહે કહ્યું કે હવે તેઓ સનાતન ધર્મને સારી રીતે સમજે છે એની સાથે ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિંદુ પરિષદ અને આરએસએસને પણ સમજવા લાગ્યા છે. તેમણે કહ્યું કે મારો ઉદ્દેશ રાજકારણનો નથી પણ હું આગામી સમયમાં ધર્મની રક્ષા કરવા માગું છું.
80 વર્ષની ઉંમરે લીધો નિર્ણય
દિગ્વિજય સિંહે પોતાની ઉંમરનો ઉલ્લેખ કરતા કહ્યું કે મારી ઉંમર હવે 80 વર્ષની થઈ છે અને પાંચ વખત પાર્ટીએ તેમને વિધાનસભ્ય બનાવ્યા હતા અને એના સિવાય બે વખત લોકસભા અને રાજ્યસભામાં પણ મોકલવામાં આવ્યા હતા, તેથી હવે બીજા કોઈને તક મળવી જોઈએ, એમ જણાવ્યું હતું.
રાજકારણમાં ચર્ચાનો વિષય
80 વર્ષીય દિગ્વિજય સિંહે કરેલી જાહેરાત પછી કોંગ્રેસ અને અન્ય પાર્ટીમાં આ મુદ્દે ચર્ચા છેડાઈ છે, કારણ કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી પણ છે. આ સંજોગમાં સક્રિય રાજકારણમાંથી હટવાની જાહેરાત એ પાર્ટી માટે મોટો સંકેત છે, જ્યારે આગામી દિવસોમાં આ મુદ્દે પાર્ટી તરફથી કોઈ પ્રતિક્રિયા પણ મળી શકે છે. દિગ્વિજય સિંહ માત્ર સાંસદ કે ધારાસભ્ય નથી રહ્યા, પરંતુ તેઓ ૧૯૯૩થી ૨૦૦૩ સુધી સતત ૧૦ વર્ષ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમની નિવૃત્તિથી મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં એક મોટી શૂન્યતા સર્જાશે.
