દેશમાં લોકડાઉન લાગશે કે નહીં, જાણો સરકારે શું કહ્યું?
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની દુનિયા પર ગંભીર અસરો પડી રહી છે. હોર્મુઝ ખાડીમાં ઓઈલના પરિવહનનું સંકટ ઊભું થયું છે, જ્યાંથી મર્યાદિત જહાજો આવી રહ્યા છે, પરંતુ એને કારણે શ્રીલંકા, પાકિસ્તાન સહિત એશિયા દેશો પર સંકટ ઊભું થયું છે. ભારત પણ બાકાત નથી સરકારે કહ્યું છે કે દેશમાં બે મહિના ચાલે એટલો સ્ટોક બચ્યો છે, પરંતુ દેશમાં ઇંધણ કટોકટી વચ્ચે લોકડાઉન લાદવાની વાતને ફગાવી દીધી છે.
દેશના અનેક રાજ્યોમાં મર્યાદિત પેટ્રોલિયમ પેદાશ ગ્રાહકોને આપવામાં આવી રહી છે, જ્યારે અનેક જગ્યાએ લોકો લાઈન લગાવીને પેટ્રોલ-ડીઝલ લઈ રહ્યા છે. ઉપરાંત, અમુક શહેરોમાં પેટ્રોલ પંપના માલિકો રેશનિંગના માફક પેટ્રોલ-ડીઝલ વેચી રહ્યા છે, જેની સોશિયલ મીડિયા પર ક્લિપ વાયરલ થયા પછી દેશમાં ઇંધણ કટોકટીના માફક કોરોના મહામારી માફક ફરી દેશવ્યાપી લોકડાઉન લાદવાની સ્થિતિ ઊભી થશે એવી અટકળો વચ્ચે આજે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ પુરીએ સ્પષ્ટ કહ્યું છે કે લોકડાઉનની ખબરો તદ્દન ખોટી છે.

સોશિયલ મીડિયા પર જનતાને જણાવતા લખ્યું હતું કે સરકાર લોકડાઉન લાદવા જેવું કોઈ પગલું ભરવાની નથી. જનતાને અપીલ કરવામાં આવે છે કે હાલના કપરા સંજોગોમાં શાંત રહો અને જવાબદારીપૂર્વક કામ કરવાની સાથે એક રહો. દરમિયાન સંસદભવનમાં મીડિયા સાથે વાત કરતા સંસદીય બાબતના કાર્યમંત્રી કિરન રિજ્જુએ એ જ વાતનું પુનરાવર્તન કર્યું હતું અને કહ્યું હતું કે લોકડાઉનની તમામ વાતો ભ્રામક છે અને લોકોએ એના પર ધ્યાન આપવું જોઈએ નહીં.
સરકારે હાલમાં એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે, જેથી આમ જનતાને કોઈ હેરાનગતિ થાય નહીં. સરકાર વતીથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલમાં ગભરાવવાની જરુરિયાત નથી. લોકોને સલાહ આપવામાં આવે છે કે કોઈ અફવા પર વિશ્વાસ કરશો નહીં. જરુરિયાત કરતા વધુ પેટ્રોલ-ડીઝલ જમા કરશો નહીં, કારણ કે એને કારણે જરુરિયામંદને તકલીફ પડી શકે છે. હાલના તબક્કે સરકાર ઊર્જા પુરવઠાની સ્થિતિ સામાન્ય રહે એના માટે તમામ પ્રયાસો કરી રહી છે, એમ સરકારે જણાવ્યું હતું.
