હેલ્ધી ડાયેટના નામે હાર્ટને જોખમમાં તો નથી નાખી રહ્યા ને? 6 એવા ફૂડ જે હાર્ટ માટે બની શકે છે ખતરનાક…
આજના સમયમાં હેલ્ધી ખાવાની પસંદગી કરવી એ પણ એક મોટું પડકાર બની ગયું છે. પેકેટ પર લખેલા ‘નેચરલ’ કે ‘હાર્ટ-ફ્રેન્ડલી’ જેવા દાવાઓ જોઈને આપણે માની લઈએ છીએ કે એ આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. પરંતુ, શું તમે જાણો છો કે કેટલાક એવા ખોરાક પણ છે જે સામાન્ય રીતે હેલ્ધી ગણાય છે, પણ તે ચોક્કસ પરિસ્થિતિમાં તમારા હૃદયને નુકસાન પહોંચાડી શકે છે?
હાર્ટ ફેલ્યોર અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા એવા છ ફૂડ વિશે જણાવવામાં આવ્યું છે કે જેને આપણે હેલ્ધી માની લઈએ છીએ, પણ હકીકતમાં તો તેઓ આપણા હાર્ટને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. નિષ્ણાતોના મતે કોઈ પણ ખોરાક ‘સારો’ કે ‘ખરાબ’ નથી હોતો, પરંતુ તે તમારી દવાઓ અને સ્વાસ્થ્યની સ્થિતિ સાથે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તે મહત્વનું છે.
કેળાઃ કેળા પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. પરંતુ, જો તમારી કિડની બરાબર કામ ન કરતી હોય અથવા તમે હૃદયની ચોક્કસ દવાઓ (જેમ કે Spironolactone) લેતા હોવ, તો શરીરમાં પોટેશિયમનું સ્તર ખતરનાક રીતે વધી શકે છે. આનાથી હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે.
ગ્રેપફ્રૂટઃ ગ્રેપફ્રૂટ લિવરની દવાઓની પ્રક્રિયામાં અવરોધ પેદા કરે છે. એમાં પણ જો તમે ટ્રાન્સપ્લાન્ટના દર્દી હોવ કે પછી કોઈ ખાસ દવાઓ લેતા હોવ, તો આ ફળના સેવનથી શરીરમાં દવાનું પ્રમાણ સુરક્ષિત મર્યાદા કરતા વધી શકે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.
પાલકઃ પાલક પોટેશિયમથી ભરપૂર હોય છે અને તે ‘વોરફરિન’ જેવી બ્લડ થિનર (લોહી પાતળું કરવાની) દવાઓની અસરમાં ફેરફાર કરી શકે છે. પાલક હેલ્ધી છે, પરંતુ તેનું સેવન સંતુલિત અને ડોક્ટરની સલાહ મુજબ હોવું જોઈએ.
સોયા સોસઃ સોયા સોસમાં સોડિયમ ખૂબ જ વધારે હોય છે અને એને કારણે શરીરમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા પેદા કરી શકે છે. ડૉક્ટર કહે છે કે માત્ર એક દિવસ સોયા સોસયુક્ત ખોરાક લેવાથી બીજા દિવસે શ્વાસ ફૂલવો અને વજન વધવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
લિકોરિસઃ કાળી લિકોરિસ બ્લડ પ્રેશર વધારી શકે છે અને શરીરમાં પોટેશિયમનું સ્તર ઘટાડી શકે છે. તે ઘણીવાર હર્બલ ટી, સપ્લિમેન્ટ્સ અથવા ફ્લેવર્ડ પ્રોડક્ટ્સમાં છુપાયેલી હોય છે, જેની લોકોને ખબર પણ પડતી નથી.
આલ્કોહોલઃ એ વાત તો આપણે સૌથી વધુ સારી રીતે સમજીએ છીએ કે દારૂ એ હેલ્થ માટે સદંતર નુકસાનકારક છે અને દારૂ એ સીધી રીતે હૃદય માટે ઝેર સમાન કામ કરે છે. અનેક દર્દીઓ માટે તો હાર્ટની સ્થિતિ બગડવાનું મુખ્ય કારણ દારૂનું સેવન જ જોવા મળે છે. મદિરાએ હાર્ટના સ્નાયુઓને નબળા પાડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તમારો ખોરાક તમારી લેબોરેટરી રિપોર્ટ અને હૃદયની સ્થિતિ સાથે સુસંગત હોવો જોઈએ. હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો અને તમારા શરીરની જરૂરિયાતોને સમજીને એ અનુસાર જ ભોજનનું સેવન કરો.
