ગુજરાતમાં ‘અટલ ભુજલ યોજના’ અન્વયે ભૂગર્ભ જળસ્તર ચાર મીટર સુધી ઊંચા લાવવામાં સરકારને મળી સફળતા
ગાંધીનગરઃ દેશમાં ગુજરાત સહિત વિવિધ ૭ રાજ્યમાં ભૂગર્ભ જળસ્તરને નીચે જતું અટકાવવા અને તેનું સ્તર ઊંચુ લાવવાના ઉમદા હેતુથી રાજ્યમાં ૨૫ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ‘અટલ ભૂજલ યોજના’નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ યોજનાના અમલીકરણના પરિણામે ગુજરાતમાં પસંદગી કરાયેલા ૬ જિલ્લાના ૩૬ તાલુકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં તેમ જ જળ સંચયના લોક ભાગીદારીના સંયુક્ત પ્રયાસોથી કેટલાક વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તરમાં ચાર મીટર સુધી અને તેના કરતાં વધુ ઊંચા લાવવામાં રાજ્ય સરકારને સફળતા મળી છે એમ સરકારે જણાવ્યું હતું.
૪૪૧ સ્ટેશનના ભૂગર્ભ જળ મોનીટરીંગના આંકડાઓનું પૃથ્થકરણ કર્યું
અટલ ભુજળ વિસ્તારમાં પાણીની માંગ ઘટાડવા અને પુરવઠો વધારવા માટે હાથ ધરાયેલ પ્રયાસોથી ભૂગર્ભ જળ લેવલમાં થતા ફેરફારના અભ્યાસની સાથે ભૂગર્ભ જળ લેવલ અને ગુણવત્તાના મોનિટરિંગ માટે પસંદ કરાયેલા છ જિલ્લાના અટલ ભુજલ યોજના વિસ્તારના ૩,૦૬૦ સ્ટેશન પર નિયત સમયાંતરે મોનિટરિંગ હાથ ધરવામાં આવે છે. જે પૈકી અટલ ભૂજલ યોજના ડીસબર્સમેંટ લીક ઈંડીકેટર-૫ની માર્ગદર્શિકા મુજબ ભૂગર્ભ જળ લેવલ નીચા જવાના દરના મૂલ્યાંક્ન માટે ન્યુનતમ ડેટા રીક્વાયરમેંટના માપદંડ મુજબ વિશ્લેષણ પાત્ર થતા ૪૪૧ સ્ટેશનના ભૂગર્ભ જળ મોનીટરીંગના આંકડાઓનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે.
૫૪ સ્ટેશનમાં બેથી ચાર અને ૭૯ સ્ટેશનમાં બે મીટર સુધી જળ સ્તર ઊંચા
અટલ ભૂજલ વિસ્તારમાં વિશ્લેષણ પાત્ર થતા ૪૪૧ મોનિટરિંગ સ્ટેશનમાં ૩૧૦ ગ્રામ પંચાયતમાં આવેલી છે. જે પૈકી ૨૮ તાલુકાની ૧,૫૧૧ ગ્રામ પંચાયતોમાંથી ૧૩૦ ગ્રામ પંચાયતના ૧૯૫ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૩ના પ્રી-મોનસુન અને પોસ્ટ મોનસુનના સરેરાસ વોટર લેવલ સામે વર્ષ ૨૦૨૪માં પ્રી-મોનસુન અને પોસ્ટ મોનસુનના વોટર લેવલ ઊંચા આવ્યા છે. આ ૧૯૫ મોનિટરિંગ સ્ટેશન પૈકી પ્રી-મોનસુનમાં ૬૦ સ્ટેશનમાં ૪ મીટર કરતાં વધારો, ૫૪ સ્ટેશનમાં ૨ થી ૪ મીટર સુધી અને ૭૯ સ્ટેશનમાં ૨ મીટર સુધી જળ સ્તર ઊંચા આવ્યા છે. જ્યારે પોસ્ટ મોનસુનમાં ૭૩ સ્ટેશનમાં ચાર મીટર કરતાં વધુ ૪૯ સ્ટેશનમાં બેથી ૪ મીટર સુધી તેમ જ ૭૧ સ્ટેશનમાં ૨ મીટર સુધી જળ સ્તર ઊંચા આવ્યા છે, એમ જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું.
૬ જિલ્લાના ૩૬ તાલુકાની ૧,૮૭૩ ગ્રામ પંચાયતમાં આ યોજના અમલી
યોજનાનો સમયગાળો પાંચ વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫નો નક્કી કરાયો હતો. જેને વધુ એક વર્ષ ૨૦૨૫-૨૬ સુધી લંબાવાયો છે. એપ્રિલ-૨૦૨૦થી ભૂગર્ભજળમાં વધારો કરવાના મંત્ર સાથે પાયલોટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ગુજરાતમાં બનાસકાંઠા, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા એમ ૬ જિલ્લાના ૩૬ તાલુકાની ૧,૮૭૩ ગ્રામ પંચાયતમાં આ યોજના અમલી બનાવી છે. આ યોજનાનો મુખ્ય ધ્યેય જન સમુદાયના સહયોગથી ભૂગર્ભ જળ વ્યવસ્થાપનના સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો અને ભૂગર્ભ જળ ક્ષેત્રે સુધારાનું વાતાવરણ સર્જન કરવાનો છે. અટલ ભૂજલ યોજના અંતર્ગત ૧,૮૭૩ ગ્રામ પંચાયતના ગ્રામ પંચાયત સમિતિમાં ગામની ભૌગોલિક સ્થિતિ અનુરૂપ વોટર સીક્યોરીટી પ્લાનમાં આયોજીત કરેલ પાણીની માંગ ઘટાડવા ડિમાન્ડ સાઇડના કામો જેવા કે, ડ્રીપ, સ્પ્રિન્કલર અને પૂરવઠો વધારવા માટે સપ્લાય સાઇડનાં કામો જેવા કે ચેકડેમ, તળાવ ઉંડા કરવા, તળાવ ડિસીલ્ટીંગ, રીચાર્જ કૂવા, વોટર શેડ વગેરેના કામો રાજ્યમાં જુદા જુદા વિભાગો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
મહેસાણા, સતલાસણા,વડનગર, વિજાપુર સહિત 12 તાલુકાનો સમાવેશ
ડીસબર્સમેંટ લીક ઈંડીકેટર-૫ની માર્ગદર્શિકા મુજબ જે તાલુકાના કુલ મોનિટરીંગ સ્ટેશન પૈકી ૫૦ ટકા કે તેથી વધુ સ્ટેશનો ૨૦૧૫ થી ૨૦૨૩ના પ્રી-મોનસુન અને પોસ્ટ મોનસુનના સરેરાશ વોટર લેવલ સામે વર્ષ ૨૦૨૪માં પ્રી-મોનસુન અને પોસ્ટ મોનસુનના વોટર લેવલમાં વધારો દર્શાવે તે તાલુકા ક્વોલીફાય ગણાય છે. આ અંતર્ગત ૧૯૫ સ્ટેશન, ૧૩૦ ગ્રામ પંચાયત અને ૧૨ તાલુકાનો સમાવેશ થાય છે. જેમાં દહેગામ, માંડવી, બહેચરાજી, જોટાણા, મહેસાણા, સતલાસણા,વડનગર, વિજાપુર, પાટણ, ઈડર,પ્રાંતિજ અને વડાલી તાલુકાનો સમાવેશ થાય છે.