પહલગામ હુમલાનો નવો વીડિયો વાઈરલ થયો, વધુ એક સાક્ષીએ જણાવી હકીકત
શ્રીનગર-નવી દિલ્હીઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા વખતે બૈસરન ઘાટીમાં જિપલાઈન કરી રહેલા ઋષિ નામના શખસનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં આતંકવાદી જોવા મળ્યો હતો. 22 એપ્રિલના પહલગામના આતંકવાદી હુમલામાં 26 લોકોનાં મોત થયા હતા, જ્યારે 20 લોકોને ઈજા પહોંચી હતી. હુમલા વખતે અનેક પ્રવાસીઓ કુદરતના સાંનિધ્યની મોજ લઈ રહ્યા હતા, જ્યારે એક પ્રવાસી જિપલાઈનની મોજ કરી રહ્યો હતો, જે જિપલાઈનિંગ વખતે વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વખતે આતંકવાદી હુમલો સ્પષ્ટ જોવા મળ્યો હતો.
આ પ્રકારનો બનાવ બનશે એની કલ્પના નહોતી
આતંકવાદી હુમલામાં સાક્ષી ઋષિ ભટ્ટના વીડિયોમાં અમુક લોકો ભાગતા જોવા મળ્યા હતા, જ્યારે અમુક લોકો જમીન પર પડતા પણ જોવા મળ્યા હતા. જ્યારે તે જીપલાઈનિંગ કરી રહ્યો હતો ત્યારે ઋષિ ભટ્ટે કહ્યું હતું કે પોતે જિપલાઈનિંગ કરી રહ્યો હતો, પરંતુ આ પ્રકારનો બનાવ બનશે એની કોઈ કલ્પના કરી નહોતી. પોતે પણ અન્ય લોકોના માફક જિપલાઈનનો આનંદ લઈ રહ્યો હતો.
જિપલાઈનના લેન્ડિંગ પૂર્વે કૂદીને ભાગ્યો હતો
વાઈરલ ઈન્ટરવ્યૂમાં ઋષિ ભટ્ટે કહ્યું હતું કે હુમલો બરાબર બપોરના બેથી અઢી વાગ્યાના સુમારે થયો હતો, જ્યાં અમે જિપલાઈનનો અનુભવ લઈ રહ્યા હતા. મારા પહેલા મારી પત્ની અને બાળકોએ જિપલાઈન કર્યું હતું. આતંકવાદી હુમલાની જાણ અંગે કહ્યું હતું કે જિપલાઈન શરુ થયાી 20 સેકન્ડ પછી મને ખબર પડી હતી કે આતંકવાદી હુમલો થયો છે. એ વખતે મારી પત્ની અને બાળકો બૂમો પાડી રહ્યા હતા, ત્યારબાદ મેં જિપલાઈન રોકી અને લેન્ડિંગ પહેલા કૂદીને ભાગ્યો હતો, ત્યારબાદ મારા બાળકો અને પત્નીને જેમ તેમ કરીને લઈને ભાગ્યો હતો.
મારી પત્ની સામે બે લોકોને નામ પૂછીને ગોળી મારી
આર્મી ક્યારે પહોંચી અને આતંકવાદીઓએ આર્મીના કપડા પહેર્યા હોવા અગે કહ્યું હતું કે આ હુમલા પછી આર્મી 20 મિનિટમાં પહોંચી હતી. અમે એ વખતે છુપાઈછુપાઈને નીકળી રહ્યા હતા, ત્યારે આર્મીએ બહાર કાઢવાની પણ મદદ કરી હતી. આર્મીના કપડામાં આતંકવાદીઓ નહોતા, પરંતુ સિક્યોરિટી ગાર્ડના પહેરવેશમાં હતા. જ્યારે અમે ભાગી રહ્યા હતા ત્યારે જોયું હતું કે ત્યાં મૃત પડેલા સિક્યોરિટી ગાર્ડના શરીર પર કપડાં નહોતા. બે ગાર્ડના કપડાં ગાયબ હતા. અમે બહુ ગભરાયેલા હતા. મારી પત્ની સામે જ બે લોકોને તેમના નામ પૂછીને ગોળી મારી હતી.
મારા પહેલા બે જણે ઝડપી જિપલાઈન કર્યું હતું
જિપલાઈનરે અલ્લાહુ અકબરના નારા અંગે કહ્યું હતું કે મારા પહેલા દસેક લોકોએ જિપલાઈન કર્યું હતું. કોઈના પણ નંબર વખતે તેને અલ્લાહુ અકબર કર્યું નહોતું. મારી પત્ની-બાળકોના વખતે પણ બોલ્યો નહોતો, પરંતુ મારા નંબર વખતે નારા લગાવ્યા હતા. આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવો અને તેનો અલ્લાહુ અકબરનો નારો એ બંને એક જ સમયે થયું હતું. જોકે, મારી કિસ્મત સારી હતી કે મારા પહેલા બે યુવકે બહુ ઝડપી જિપલાઈન કરવા કહ્યું હતું, તેથી હું રોકાઈ ગયો અને મારો જીવ બચી ગયો.