દાહોદમાં સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ, પીએમ મોદીના ડ્રીમ પ્રોજક્ટનો 400 કરોડનો સામાન બળીને ખાખ
દાહોદઃ ગુજરાતના દાહોદ સ્થિત ભાઠીવાડામાં નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાના સમાચાર છે. 70 મેગાવોટનો સોલાર પ્લાન્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ આગ સોમવારે રાતના નવ વાગ્યાના સુમારે લાગી હતી, પરંતુ આગ પછી પવનને કારણે ઝડપથી આસપાસમાં ફેલાતા 400 કરોડ રુપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સોલાર પેનલ, ટ્રાન્સફોર્મર, કેબલ વગેરે વસ્તુ બળીને ખાખ થઈ ગયો તો. આગને કારણે મોટા ભાગનો સામાનને નુકસાન થયું છે.
આગ લાગ્યા પછી એનટીપીસીના કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધી આગમાં બધો સામાન બળીને ખાખ થઈ ચૂક્યો હતો. આગમાં 95 ટકા સામાન બળી ગયો હતો. અનિયંત્રિત આગ હોવાને કારણે અન્ય જગ્યાએ પણ આગ ફેલાઈ હતી. આ આગ કઈ રીતે લાગી એના અંગે કોઈ કારણ જાણવા મળ્યું નથી. આમ છતાં તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે પ્રાથમિક તબક્કે ષડયંત્રની આશંકા સેવવામાં આવી છે.
અહીં એ જણાવવાનું કે થોડા દિવસ પહેલા ગામના લોકોએ આ પ્લાન્ટને લઈ વિરોધ કર્યો હતો તેમ જ પથ્થરમારો પણ કર્યો હતો. ગામના લોકોએ વિરોધ કર્યા પછી પોલીસ પ્રશાસન મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો, ત્યાર બાદ એક દિવસ પછી પ્લાન્ટ પર પથ્થરમારો કર્યો હતો, જે ઘટનાના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. પથ્થરમારાને કારણે કંપનીના કર્મચારી ઘાયલ પણ થયા હતા. હવે આ બાબતને લઈને પણ તપાસ કરવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ અગાઉ પોલીસની આગેવાની હેઠળ ચોથી એપ્રિલથી અઢારમી એપ્રિલ સુધીમાં કંપનીના પરિસરમાં ફેન્સિંગનું કામ કરવામાં આવ્યું હતું. બે દિવસ પહેલા લોકોએ વિરોધ કર્યો ત્યારે કામકાજ રોકવામાં આવ્યું હતું અને એના પછી સોમવારે કામ શરુ કર્યું ત્યારે એક વ્યક્તિ બુલેટ પર આવીને સાત લોકો મારફત પથ્થરમારો કર્યો હતો.
