Good News, થાણાથી પ્રવાસ કરનાર પ્રવાસીઓને મળશે રાહત…
મુંબઈ: મુંબઈગરાની લાઈફલાઈન બની ગયેલી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનાર પ્રવાસીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ મધ્ય રેલવે પર એક નવું સ્ટેશન ઉમેરાવવા જઈ રહ્યું છે, જેને કારણે થાણાથી પ્રવાસ કરનારા પ્રવાસીઓને રાહત મળવા જઈ રહી છે. આ માટે રેલવે દ્વારા 185 karod રૂપિયાનું ભંડોળ પણ ફાળવવામાં આવ્યું છે અને 2025 સુધીમાં થાણા- મુલુંડ વચ્ચે આ નવું સ્ટેશન ઊભું કરવામાં આવશે.
રેલવે ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ, ટ્રેક અને સ્ટેશનના અન્ય કામકાજ માટે 185 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. ત્યાર બાદ આ નવા સ્ટેશનના કામકાજને વેગ મળ્યો હોવાની માહિતી એક વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
નવી દિલ્હીના રેલ ભવનમાં બોલાવેલી બેઠકમાં રેલવે પ્રધાન દ્વારા આ બાબતે જાહેરાત કરી હતી. બેઠકમાં થાણા મહાનગર પાલિકાના કમિશનર સૌરભ રાવ, થાણાના સાંસદ નરેશ મ્હસ્કે અને કલ્યાણના સાંસદ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના દીકરા ડો. શ્રીકાંત શિંદે હાજર હતા.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 264 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. એમાંથી કુલ 185 કરોડ રૂપિયા એડમિનિસ્ટ્રેશન ઓફિસ રેલવે ટ્રેક નાખવા અને પ્લેટફોર્મ બનાવવા જેવા કામ માટે આ રકમ ખર્ચ કરવામાં આવશે.
મળી રહેલી માહિતી પ્રમાણે આ પ્રોજેક્ટનું 30 ટકા જેટલું કામ તો 2019માં જ પૂરું થઈ ગયું હતું અને 2025 સુધી આ સ્ટેશનનું 100 ટકા કામ પૂરું થઈ જશે. એક વખત આ સ્ટેશન શરૂ થઈ જશે એટલે થાણા સ્ટેશનની ભીડ ઘટશે એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.

