July 16, 2026
ગુજરાત

Pharmacy Admission: જો આ બાબતોનું ધ્યાન નહીં રાખો, તો ભણ્યા પછી પણ રજિસ્ટ્રેશન નહીં મળે!

Spread the love

ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ફાર્મસી અધિનિયમ ૧૯૪૮ની જોગવાઈઓ હેઠળ રચાયેલી આ કાઉન્સિલની કાર્યપ્રણાલી કાયદાકીય નિયમોનું ચુસ્ત અમલીકરણ કરે છે, તેથી ફાર્મસી ક્ષેત્રે પ્રવેશ ઈચ્છતા ઉમેદવારોએ પ્રવેશ લેતા પહેલાં તમામ નિયમોની ચકાસણી કરવી આવશ્યક છે.
અધિનિયમની જોગવાઈઓ અનુસાર, ડીપ્લોમા-ઇન-ફાર્મસી અથવા ડીગ્રી ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી અથવા મેથેમેટિક્સના વિષયો સાથે પાસ કરેલી હોવી ફરજિયાત છે.

આ બાબતે ખાસ સ્પષ્ટતા કરવામાં આવે છે કે વિદ્યાર્થીએ ધોરણ-૧૨ની પરીક્ષા સરકાર માન્ય બોર્ડમાંથી જ પાસ કરેલી હોવી જોઈએ. જો કોઈ વિદ્યાર્થી અમાન્ય બોર્ડમાંથી ધોરણ-૧૨ પાસ કરીને ફાર્મસી કોલેજમાં પ્રવેશ મેળવશે, તો તેનો અભ્યાસ પૂર્ણ થયા બાદ પણ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા રજિસ્ટ્રેશનને પાત્ર ગણાશે નહી.

ધોરણ-૧૨ ના પરિણામો જાહેર થયા બાદ ફાર્મસી વિદ્યાશાખામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ વચ્ચે ખૂબ સ્પર્ધા જોવા મળે છે. આ સંજોગોમાં, ગુજરાત કે ગુજરાત બહારની કોઈ પણ કોલેજમાં પ્રવેશ લેતાં પહેલાં, તે સંસ્થાને ‘ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ – PCI દ્વારા યોગ્ય માન્યતા મળી છે કે નહીં તેની અચૂક ચકાસણી કરી લેવી.

આ ઉપરાંત, જે-તે કોલેજમાં કાઉન્સિલ દ્વારા મંજૂર કરવામાં આવેલી બેઠકોની સંખ્યા કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો પણ અમાન્ય ગણાશે.
જો કોઈ વિદ્યાર્થી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરી વગરની સંસ્થામાં પ્રવેશ મેળવશે, મંજૂર બેઠકો કરતાં વધુ બેઠકો પર પ્રવેશ લેશે, અથવા જે સંસ્થાની પરીક્ષા લેતી ઓથોરિટીને PCI ની મંજૂરી ન હોય તેવી જગ્યાએ અભ્યાસ કરશે, તો તેવા વિદ્યાર્થીઓને ફાર્મસીસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન મળવાપાત્ર રહેશે નહીં.

ગુજરાતમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ ફાર્મસી કોલેજોની અધિકૃત યાદી કાઉન્સિલની સત્તાવાર વેબસાઇટ www.pci.nic.in પર ઉપલબ્ધ છે. વધુ માહિતીમાટે વિદ્યાર્થીઓ અને વાલીઓ ‘ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ, જુની નર્સિંગ કોલેજ બિલ્ડિંગ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, બ્લોક નં. ૪/એ, ત્રીજો માળ, કેન્સર હોસ્પિટલ સામે, ગેટ નં. ૬, અસારવા, અમદાવાદ ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે તેમ, ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!