August 20, 2026
ગુજરાત

ગુજરાતમાં સંસ્કૃત સપ્તાહ ૨૦૨૬: ‘વિકાસ પણ, વિરાસત પણ’ સંકલ્પ સાથે ૨૫થી ૩૧ ઓગસ્ટ સુધી ભવ્ય ઉજવણી થશે

Spread the love

CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના જતન માટે નવતર પહેલ

sanskrit saptah

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પિત તથા રાજ્યકક્ષાની ઉચ્ચસ્તરીય સ્થાયી સમિતિમાં નિર્ધારિત ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ અંતર્ગત તા. ૨૫ થી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ગુજરાતમાં સંસ્કૃત સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવનાર છે. આ વર્ષે સંસ્કૃત સપ્તાહને શાળા, મહાવિદ્યાલય અને યુનિવર્સિટી ત્રણેય સ્તરે તથા જિલ્લા અને તાલુકા વહીવટીતંત્રની સક્રિય ભાગીદારી સાથે વ્યાપક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય ઓનલાઈન બેઠકમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ તથા યુનિવર્સિટીના કુલસચિવશ્રીઓ જોડાયા હતા.

આ વર્ષે સંસ્કૃત સપ્તાહની ઉજવણીને માત્ર શિક્ષણ વિભાગ પૂરતી મર્યાદિત રાખવામાં આવી નથી.જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરીય અમલીકરણ સમિતિ,તાલુકા કક્ષાએ મામલતદારની અધ્યક્ષતામાં તાલુકા સ્તરીય અમલીકરણ સમિતિની રચના કરવામાં આવશે.
આ સમિતિઓમાં શિક્ષણ તંત્ર ઉપરાંત સ્થાનિક વહીવટીતંત્ર, સંસ્કૃતજ્ઞો, શિક્ષણવિદો તથા સામાજિક સંસ્થાઓને જોડવામાં આવ્યા છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ સંસ્કૃત ગૌરવ, સંસ્કૃત સંભાષણ, સંસ્કૃત સાહિત્ય તથા સુભાષિત આધારિત વિવિધ કાર્યક્રમો યોજી સંસ્કૃતને જનભાગીદારી સાથે જોડવામાં આવશે.

૨૫ ઓગસ્ટથી સંસ્કૃત ગૌરવ યાત્રાઃ સંસ્કૃત ગીતો, સુભાષિતો, સંસ્કૃત ગ્રંથો તથા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે શોભાયાત્રા વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને નાગરિકોની ભાગીદારીથી ઉજવણી શરૂ કરવામાં આવશે.

૨૭ ઓગસ્ટના સંસ્કૃત સંભાષણ દિવસઃ શાળા, તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાના અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા દૈનિક વ્યવહારમાં સંસ્કૃતનો ઉપયોગ. સોશિયલ મીડિયા પર સંસ્કૃત સંદેશાઓનો પ્રસાર કરાશે.

૨૯ ઓગસ્ટ સંસ્કૃત સાહિત્ય દિનઃ વેદ, ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, મહાકાવ્યો અને સુભાષિતોનું વાચન, વ્યાખ્યાન, પુસ્તક પ્રદર્શન, કાવ્યપઠન અને નિબંધ સ્પર્ધાઓ યોજાશે.

૩૧ ઓગસ્ટના સામૂહિક સુભાષિત પઠનઃ એ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ પ્રસંગોએ ઉલ્લેખિત ૧૦ પ્રેરણાદાયી સંસ્કૃત સુભાષિતોનું સામૂહિક પઠન અને રાજ્યસ્તરીય સમાપન નું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીના સંસ્કૃત પ્રત્યેના સત્સંકલ્પને જનઆંદોલનનું સ્વરૂપ તેમ જ ‘વિકાસ પણ, વિરાસત પણ’ના સંકલ્પ સાથે ભારતની જ્ઞાનપરંપરા અને સાંસ્કૃતિક વારસાના સંવર્ધનને નવી દિશા મળી છે. NEP-2020 માં ભારતીય ભાષાઓ અને સંસ્કૃતને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.

“સંસ્કૃત માત્ર એક ભાષા નથી; તે ભારતની જ્ઞાનપરંપરા, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ચેતનાનું જીવંત સેતુ છે. પરિપત્રનું પ્રસરણ એ કાર્યનો અંત નથી; દરેક શાળામાં પ્રવૃત્તિ થાય, દરેક વિદ્યાર્થી સંસ્કૃત સાથે જોડાય અને સમાજમાં સંસ્કૃત પ્રત્યે ગૌરવની ભાવના જાગે એ જ આ આયોજનની સાચી સફળતા છે.”તેમ શ્રી હિમાંજય પાલીવાલ ચેરમેનશ્રી , ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત શ્લોકપઠન, ગીતા પઠન, નિબંધ-વક્તૃત્વ, પ્રદર્શન, સંસ્કૃત નાટ્ય, અને ડિજિટલ સંસ્કૃત સર્જન સહિતની પ્રવૃત્તિઓથી સમગ્ર રાજ્ય ગૂંજી ઉઠશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!