તમારું વીજળીનું કનેક્શન કપાઈ જશે, આવા મેસેજ તમને મળતા હોય તો વાંચી લો!
નવી દિલ્હીઃ બનાવટી મેસેજ કરનારી કંપનીઓ પર સખત કાર્યવાહી કરવાનો કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે. સાઈબર સેલને પણ કેન્દ્ર સરકારે સંવેદનશીલ નંબરની પણ આપ-લે કરીને તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, તેના સંબંધિત લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર ખાસ કરીને મેસેજ જોરદાર વાઈરલ થયો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે ડિયર કસ્ટમર, આજે રાતના 9.30 વાગ્યે તમારું વીજ કનેક્શન કપાઈ જશે. આ મેસેજ જોરદાર વાઈરલ થયો હતો. આ મેસેજને કારણે અમુક લોકો ડરી પણ ગયા હતા. આ મેસેજ એટલો બધો વાઈરલ થયો હતો કે ઈલેક્ટ્રિક વિભાગને તેના સંબંધમાં તપાસ કરવામાં આવ્યા પછી એ તમામ મેસેજ ફેક હોવાની સ્પષ્ટતા કરી હતી.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ મેસેજ ફક્ત લોકોમાં ડર ઊભો કરવા મોકલ્યા હતા. સરકારી અધિકારીઓએ એના અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ મેસેજ અંગે વ્યવસ્થિત રીતે તપાસ કર્યા પછી ખબર પડી હતી કે એ તમામ મેસેજ પાયાવિહોણા હતા. એના પછી સાયબર સેલને મેસેજ કરનારા લોકની વિગત પૂરી પાડવામાં આવી હતી તેમ જ આ પ્રકારના કોઈ મેસેજ પર વિશ્વાસ નહીં કરવાની અપીલ કરવામાં આવી હતી.
એના પછી સરકારે બનાવટી મેસેજ કરનારા લોકો સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. સાઈબર સેલે પણ અમુક નંબરની ઓળખ કર્યા પછી સંબંધિત લોકોની પૂછપરછ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મેસેજ વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઝડપથી ફેલાયા હતા.
ઈલેક્ટ્રિક વિભાગ દ્વારા જાહેર જનતાને આહવાન કરવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારના મેસેજ મળે તો વિભાગના હેલ્પલાઈનનો સંપર્ક કરે. તમામ રાજ્યના વીજ વિભાગોને પણ જનતાની ફરિયાદ સંબંધમાં કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.