વર્લ્ડ મેલેરિયા ડેઃ ભારતમાં દર વર્ષે મેલેરિયાના કેટલા કેસ નોંધાય છે?
2030 સુધીમાં અમદાવાદને આ રોગમાંથી મુક્તિ આપવાનો સરકારનો ઉદ્દેશ
25 એપ્રિલના દિવસે વૈશ્વિક સ્તરે દુનિયા મેલેરિયા ડેની ઉજવણી કરે છે. મેલેરિયાની બીમારીના નિયંત્રણ અને જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ છે. દક્ષિણ પૂર્વ એશિયામાં માલદીવ અને શ્રીલંકા મેલેરિયા મુક્ત છે, જ્યારે નવ એન્ડેમિક દેશ પૈકી ભુટાન, ભારત, નેપાળ અને તિમોર-લેસ્તે 2015થી મેલેરિયાની બીમારીના કેસમાં 63 ટકાથી વધુ ઘટાડો કર્યો છે. 2023ના આંકડા અનુસાર વૈશ્વિક સ્તરે એકલા મેલેરિયાને કારણે 5.97 લાખ લોકોનાં મોત થયા હતા, જેમાં મોટા ભાગના લોકો આફ્રિકાના હતા. ભારતમાં પણ દર વર્ષે 1.5 કરોડ લોકોના કેસ આવે છે, જ્યારે 20,000 લોકોના મોત થાય છે, પરંતુ મોટા ભાગે એમાં ધીમે ધીમે નિયંત્રણ આવ્યું છે. મેલેરિયા એક ગંભીર બીમારી છે, જે ફીમેલ મચ્છર એનાફિલીઝના કરડવાથી થાય છે. મચ્છરના કરડવાની બાબત લોકો હળવેથી લએ છે, પરંતુ એનું જોખમ વધારે છે.
ગુજરાત સરકારે મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૭ સુધી જિલ્લામાં મેલેરિયાના કેસ સ્થાનિક કક્ષાએ શૂન્ય સુધી લઇ જવા તથા વર્ષ ૨૦૩૦ સુધીમાં મેલેરિયા રોગનું નિર્મૂલન કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આ લક્ષ્યાંક અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વાહકજન્ય રોગ સામે તમામ અટકાયતી પગલાં ભરરવામાં આવી રહ્યાં છે, જેના પરિણામે અમદાવાદ જિલ્લામાં છેલ્લાં પાંચ વર્ષની પરિસ્થિતિ જોતાં મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા મેલેરિયા શાખા દ્વારા મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત ખાસ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્લાન હેઠળ વિવિધ તાલુકા આરોગ્ય કચેરીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રોના સંયુક્ત પ્રયાસોથી વર્ષ ૨૦૨૭ સુધીમાં અમદાવાદ જિલ્લામાં મેલેરિયાના ૦ (શૂન્ય) કેસનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકની પૂર્તિ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે તે પછીના ત્રણ વર્ષ દરમિયાન જિલ્લાને મેલેરિયામુક્તિ તરફ લઈ જવાનો પણ ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૧૯ દરમિયાન ૫૮ કેસ, ૨૦૨૦માં ૨૦ કેસ, ૨૦૨૧માં ૫ કેસ, ૨૦૨૨માં ૫ કેસ, ૨૦૨૩માં ૨ કેસ અને ૨૦૨૪માં ૬ મેલેરિયા પોઝિટિવ કેસ નોંધાયા હતા.
વૈશ્વિક રીતે જોવામાં આવે તો 2023માં મેલેરિયાના સૌથી વધુ કેસ આફ્રિકામાં નોંધાયા હતા, જ્યારે મોત પણ આ જ વિસ્તારમાંથી થયા હતા. આફ્રિકામાં સહારા આફ્રિકાવાળા પ્રાંતમાં સૌથી વધુ કેસ નોંધાય છે. એક્ચ્યુઅલી આજનો દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં મેલેરિયા અને મચ્છરના કરડવા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે, જેથી લોકો સમયસર ઉપચાર કરે અને મચ્છરના કરડવાથી દૂર રહે. ટૂંકમાં, મચ્છરોના આતંકથી દૂર રહેશો તો મેલેરિયાથી દૂર રહી શકશો.