June 30, 2025
ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિપક્ષનો સફાયો કેમ થયો?

Spread the love

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને ફાળે કેટલી સીટ મળી?

ગાંધીનગરઃ દેશમાં લોકસભાની ચૂંટણી વખતે અપેક્ષા પ્રમાણે ભાજપને બેઠકો મળી નહોતી, પરંતુ ગુજરાતમાં દબોદબો જાળવી રાખ્યો. વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ વટ રાખ્યો, જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિપક્ષોને જરાય મચક આપ્યા વિના જીતનો પરચમ લહેરાવ્યો છે. રાજ્યની નગરપાલિકાના ચૂંટણીના પરિણામોમાં 68 બેઠકમાંથી 67 બેઠકનાં પરિણામ આવ્યા છે, જેમાં 60 સીટ પર વિજચ થયો છે, જ્યારે કોંગ્રેસને ફક્ત સલાયા નગરપાલિકાની બેઠક મળી છે. કોંગ્રેસ સિવાય પોરબંદર જિલ્લામાં કુતિયાણા, રાણાવાવમાં સમાજવાદી પાર્ટી તો આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષને ફાળે ગઈ છે, જ્યારે ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ હતી.

ચાર તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો
આ સિવાય ગાંધીનગર, કપડવંજ અને કથલાલ તાલુકા પંચાયત પણ ભાજપને ફળી છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપને 20 અને કોંગ્રેસ આઠ બેઠક પર વિજય મેળવ્યો હતો, જ્યારે કઠલાલ તાલુકામાં ભાજપનો ભગવો લહેરાયો, જેમાં ભાજપે 18, કોંગ્રેસને બે અને અપક્ષને આઠ બેઠક મળી હતી, જ્યારે કપડવંજમાં ભાજપને અઢાર, કોંગ્રેસને છ અને અપક્ષને બે સીટ મળી હતી.

સ્થાનિક સ્વરાજમાં 1403 સીટ ભાજપને મળી
આ અગાઉ 68માંથી એકાવન નગરપાલિકા પર ભાજપને જીત મળી હતી, પરંતુ આ વખતની જીત એકાવનમાંથી 60 થઈ છે, જ્યારે કૂલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને 1,403 સીટ મળી છે, જ્યારે કોંગ્રેસને 260, સમાજવાદી પાર્ટીને 34, આમ આદમી પાર્ટીને 28 અને બહુજન સમાજવાદી પાર્ટીને 19 સીટ મળી છે. એના સિવાય અપક્ષને 151 સીટ મળી છે. ભાજપ જૂનાગઢ નગર પાલિકામાં ત્રીજી વખત જીત્યું છે, જ્યાં 60માંથી 48 સીટ મેળવી છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ સતત જારી છે અને જનતાએ એટલે મતદાન કર્યું હોવાનું જણાવ્યું હતું.

કોંગ્રેસ સહિતના વિપક્ષને ફટકો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સૌથી મોટો ફટકો પડ્યો છે. પરિણામો તદ્દન નિરાશાજનક રહ્યા હોવા છતાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હજુ હાર માનવા તૈયાર નથી. કોંગ્રેસને ફાળે ફક્ત એક નગરપાલિકાની સીટ મળી છે, જ્યારે આમ આદમી પાર્ટીના ફક્ત 27 ઉમેદવાર વિજય થયા હતા, જ્યારે આમ આદમી પાર્ટીએ મેદાનમાં 500 ઉમેદવાર ઉતાર્યા હતા, જેમાંથી 35 જીત્યા હતા, જે પાર્ટી માટે સિદ્ધિ ગણાવી હતી. ભાજપે ચૂંટણી જીતવા માટે શામ, દામ અને દંડ ભેદની નીતિ અપનાવી હોવાનો દાવો કર્યો હતો. દરમિયાન કોંગ્રેસના પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ભાજપે સત્તાનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસની પાસે આ વખતે માત્ર 12 વિધાનસભ્ય છે, જ્યારે અગાઉની ચૂંટણીમાં 77 હતા, તેથી આ પરિણામો તદ્દન નિરાશાજનક ગણી શકાય નહીં. વિપક્ષ ગમે તે કહે પણ નાક કપાયા પછી ઢાંકપીછોડો કરવા સિવાય કંઈ બાકી રહ્યું નથી.

કમલમમાં વિજયોત્સવમાં સીઆર પાટીલ હાજર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત પછી પાટનગર દિલ્હીથી લઈને ગુજરાત ભાજપના પ્રમુખ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય દિગ્ગજ નેતાઓએ પાર્ટીના કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર ટવિટ કરીને લખ્યું હતું કે ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે અને સમય સાથે વધુ મજબૂત બની રહ્યો છે. કમલમ ખાતે વિજયોત્સવ કરતા ભાજપે આ જીતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની મોટી જીતનું પરિણામ બતાવ્યું હતું. કમલમ ખાતેના વિજયોત્સવમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશપ્રમુખ સીઆર પાટીલ પણ સામેલ થયા હતા. ગુજરાતના રાજકારણમાં રાષ્ટ્રીયસ્તરનું નેતૃત્વ કહો કે પછી રાજ્યસ્તરે કોંગ્રેસના નબળા પ્રભુત્વ અને ઠાલા વચનો હજુ ગુજરાતની જનતાને ગળે ઉતરે તેમ નથી, એમ સૂત્રોએ દાવો કર્યો હતો. વિપક્ષમાં એકલ દોકલ ચહેરા સિવાય હજુ પણ મજબૂત ચહેરાઓ જરુરી છે. બાકી આ જ રફતારથી ચૂંટણીઓ હારતું રહે તો એમાં કોઈ નવાઈ થશે નહીં, એમ રાજકીય વર્તુળે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!