મેવાડના રાજા રાણા સાંગા કોણ હતા, જેમનું ‘અપમાન’ કરવાનો જાગ્યો છે વિવાદ…
1509માં મેવાડના ઉત્તરાધિકારી બન્યા પછી મેવાડના શક્તિશાળી અને સમૃદ્ધ રાજા હતા
રાજસ્થાનના મેવાડના રાજા રાણા સાંગા તાજેતરમાં ચર્ચામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમને રાણા સાંગાને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ઈતિહાસના પાનામાં જોઈએ તો રાણા સાંગા મેવાડના ઉત્તરાધિકારી બન્યા પછી શક્તિશાળી અને સમૃદ્ધ રાજા બનવાનું વર્ચસ્વ મેળવ્યું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે દેશમાં નેતાઓ ઈતિહાસના પાત્રો અંગે ગમે તેવા નિવેદનો આપીને બિનજરુરી વિવાદ ઊભા કરે છે. જાણીએ હિંદુસ્તાનના રાજાના અમર ઈતિહાસને.
રાણા સાંગાનો જન્મ ચિતોડગઢમાં થયો હતો
મેવાડના રાજા રાણા સાંગા જેટલા શક્તિશાળી હતા એટલું જ તેમનું સૈન્ય. યુદ્ધના મેદાનમાં અનેક મહારથીઓને હરાવ્યા હતા. ભારતના ઈતિહાસમાં રાણા સાંગાનું નામ સુર્વણ ઈતિહાસમાં લખાયું હતું અને રાણા સાંગાના નામ લીધા વિના મેવાડનો ઉલ્લેખ અધૂરો છે. રાણા સાંગાએ 16મી સદીમાં શાસન કર્યું હતું. રાણા સાંગાનો જન્મ 12 એપ્રિલ, 1482માં મેવાડના ચિતોડગઢમાં થયો હતો. તેઓ રાણા રાયમલના પુત્ર હતા અને મેવાડના રાજવી પરિવારના દીકરા હતા. તેમનું પૂરું નામ મહારાણા સંગ્રામ સિંહ હતું, પરંતુ તેમને લોકો રાણા સાંગા નામથી જાણતા હતા.
15મી સદીમાં મેવાડની સીમા દક્ષિણ ગુજરાત સુધી હતી
પિતાના મોત પછી રાણા સાંગા 1509માં મેવાડના ઉત્તરાધિકારી બન્યા હતા. મેવાડની સીમા એ જમાનામાં દક્ષિણ ગુજરાતની સરહદ સુધી હતી. તેમની સેનામાં 80,000 ઘોડા, 500 હાથી અને બે લાખ સૈનિક હતા. રાણા સાંગાના નામથી દુશ્મનો કાંપતા હતા. ખાતોલીનું યુદ્ધ 1517માં સુલ્તાન ઈબ્રાહિમ લોદીના નેતૃત્વમાં થયું હતું. આ યુદ્ધ લોદી વંશ અને રાણા સાંગાના નેતૃત્વ હેઠળના મેવાડ પરિવારની વચ્ચે થયું હતું. આ યુદ્ધ રાણા સાંગાએ ઈબ્રાહિમ લોદીને હરાવ્યા હતા. 1518-19ના ઈબ્રાહિમ લોદીએ ફરી રાણા સાંગા પર હુમલો કરીને બદલો લેવાની કોશિશ કરી હતી. આમ છતાં રાણા સાંગાએ ફરી ઈબ્રાહિમ લોદીને હરાવ્યો હતો.
રાણા સાંગાએ ઈબ્રાહિમ લોદી સાથે દિલ્હી, માળવાના રાજાને હરાવ્યા
રાણા સાંગાનું નેતૃત્વ અને સૈન્યની તાલીમ જોરદાર હતી. એટલે રાણા સાંગા દુશ્મનોને ક્યારેય મચક આપવા દેતા નહીં. તેમનું અશ્વદળ વિશેષ મજબૂત હતું, જેમાં 80,000 ઘોડા હતા. યુદ્ધને નિર્ણાયક મોડમાં રાખવાની ક્ષમતા ધરાવતા હતા, જ્યારે સૈન્ય પણ મજબૂત હતું. અશ્વદળ સિવાય તેમની સેનામાં 500 હાથી પણ હતા. ઈતિહાસકારોના જણાવ્યા મુજબ દિલ્હી, માળવા, ગુજરાતના રાજાઓ અને અન્ય રાજાઓ સાથે યુદ્ધ જીત્યા હતા. ઈબ્રાહિમ લોદીએ અનેક વખત રાણા સાંગા સામે યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધને કારણે ઈબ્રાહિમે આધુનિક રાજસ્થાનમાં પોતાની માલિકીની જમીન ગુમાવી હતી. પાર્શ્વનાથ-શ્રવણ-સત્તાવીસી અનુસાર રાણા સાંગાએ મંદસૌરની ઘેરાબંધી કર્યા પછી રણથંભોરમાં ઈબ્રાહિમ લોદીને હરાવ્યો હોવાનો પુરાવો છે.