ગુજરાતમાંથી નિમુબેન બાંભણીયાને મોદીની કેબિનેટમાં મળ્યું સ્થાન, જાણો કોણ છે?
ભાવનગરઃ લોકસભાની ચૂંટણીના પરિણામોમાં એનડીએને મળેલી સ્પષ્ટ બહુમતી પછી રવિવારે વિધિવત રીતે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદે શપથ લીધા તેમની સાથે કેબિનેટમાં 71 પ્રધાનોએ શપથ લીધા. ગુજરાતમાંથી દિગ્ગજ કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલાનું પત્તું કાપ્યા પછી ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પટેલનો સમાવેશ કર્યો છે, જ્યારે ગુજરાતમાંથી મહિલા સાંસદ નિમુબેન બાંભણીયાને લોટરી લાગી છે.
હવે સવાલ થાય કે કોણ છે નિમુબેન બાંભણીયા તો ગુજરાતના ભાવનગરના સંસદીય ક્ષેત્રમાંથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ભાવનગરમાં આમ આદમી પાર્ટી (આપ)ના નારાયણભાઈ મકવાણાને 4.55 લાખ મતથી હરાવ્યા હતા. નિમુબેનને 7.16 લાખ મત મળ્યા હતા. નિમુબેન સાંસદ હોવાની સાથે સામાજિક કાર્યકર્તા પણ છે. વ્યવસાયે શિક્ષિકા એવા નિમુબેન લોકસભાની ચૂંટણી લડયા પૂર્વે મેયર હતા. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આ વખતની ચૂંટણીમાં તત્કાલીન સાંસદ ભારતીબેન શાયલની ટિકિટ કાપીને નિમુબેનને ટિકિટ આપી હતી અને પોતાના હરીફ ઉમેદવારને જોરદાર ટક્કર આપીને મોટા માર્જિનથી પરાસ્ત કર્યા હતા.
તલપડા કોળી સમાજમાંથી આવનારા 57 વર્ષના નિમુબેને સાયન્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. એની સાથે બીએડ કરીને શરુઆતના દિવસોમાં શિક્ષિકા તરીકે વ્યાવાસિયક કારકિર્દી શરુ કરી હતી. પતિ જયંતીભાઈ બાંભણીયા પણ ટિચિંગ ક્ષેત્રે સંકળાયેલા છે. જોકે, મેયર બન્યા પછી સરકારી કાર વાપરવાની મનાઈ કરી હતી.
નિમુબેન તલપડા કોળી સમાજમાંથી આવે છે, જ્યારે ભાવનગરની ઘોઘા સ્ટ્રીટ વિસ્તારમાંથી પણ કોર્પોરેટરની ચૂંટણી જીત્યા હતા. ત્રણ વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે. બે વખત મેયર બનવાની તક મળી હતી. નિમુબેન ભારતીય જનતા પાર્ટી માટે પણ સક્રિયપણે કામ કરી ચૂક્યા છે. ભાવનગરની લોકસભાની ચૂંટણીમાં વિજયી બનેલા બાંભણીયાને કેન્દ્રીય પ્રધાનમંડળમાં તક આપી છે, જ્યારે તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા છે.
