વાઈબ્રન્ટ સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું: CM
ટોચની 500 કંપનીમાંથી ગુજરાતની 100 કંપનીનો સમાવેશઃ ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી(GCCI)ના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે GCCIની 75 વર્ષની યશગાથા વર્ણવતી વિડિયો ફિલ્મ લોન્ચ કરવામાં આવી હતી. વધુમાં, આ પ્રસંગે GCCI દ્વારા આવતા વર્ષે યોજાનારા GCCI એન્યુલ ટ્રેડ એક્સ્પો – GATE 2025ની જાહેરાત કરવામાં આવી હતી તથા તેની વિગતો અને આયોજન દર્શાવવામાં આવ્યા હતા.
ગુજરાતના વિકાસમાં મોદીની દૂરંદેશી નીતિ કામ આવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GCCIના વાર્ષિક સ્નેહમિલન પ્રસંગે GCCIના સ્થાપક કસ્તુરભાઈ લાલભાઈની દિવ્ય ચેતનાને વંદન કરતા જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ અને કાર્યશક્તિના ફળ ગુજરાતને હરહંમેશ મળતા રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યમાં વેપાર ઉદ્યોગ માટે સાનુકૂળ વાતાવરણ, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત માળખાગત જરૂરિયાતોની વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી.
સાબરમતીની કાયાપલટથી રિવફ્રન્ટનો થયો વિકાસ
રાજ્યની વિકાસ યાત્રાના વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં સાબરમતીની કાયાપલટ થકી સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ પામ્યો. તેમણે સૌને સાથે રાખીને રાજ્યને વિકાસના માર્ગે અગ્રેસર રાખ્યું હતું. તેમના માર્ગદર્શનમાં શરૂ થયેલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ધંધા રોજગાર સહિત દરેક ક્ષેત્રે સોનેરી સમય
આજે ટોચની 500 કંપનીમાંથી 100થી વધુ કંપનીઓ ગુજરાતમાં કામ કરી રહી છે એમ જણાવીને તેમણે ઉમેર્યું હતું કે ગ્રીન એનર્જી, સેમિકન્ડકટર જેવા નવીન ક્ષેત્રોમાં આપણે ઉત્તમ વિકાસ સાધી રહ્યા છીએ, તો સાથે સાથે પ્રાકૃતિક કૃષિ જેવી મુહિમના લીધે આપણે મિશન લાઈફનો મંત્રને પણ સાકાર કરી રહ્યા છીએ. ‘યહીં સમય હે, સહી સમય હે’ એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડા પ્રધાનના નેતૃત્વમાં આજે ધંધા રોજગાર સહિત દરેક ક્ષેત્રે સોનેરી સમય છે અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો મંત્ર સાકાર થઈ રહ્યો છે.
મુખ્યમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં GCCI સહિત વેપાર ઉદ્યોગોનું યોગદાન મહત્વનું રહેવાનું છે એમ જણાવીને સૌને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
પરિવર્તન સંસારનો છે નિયમ
આ પ્રસંગે શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક સમયમાં દરેક ક્ષેત્રે પરિવર્તન જરૂરી બન્યું છે. આધુનિક સમયમાં જીવનમાં સુખ દુઃખ, જીવનમૂલ્યો અને સામાજિક આદર્શોના પરિમાણો બદલાયા છે ત્યારે આપણી આવનારી પેઢી વધુ ચારિત્ર્યવાન બને એ આપણી સૌની જવાબદારી છે, એમ તેમણે ઉમેર્યું હતું.